Latest News
જામનગર જિલ્લામાં વિવિધ 1396 સ્થળોએ કરાશે યોગ દિવસની ઉજવણી:3.31 લાખથી વધુ નાગરિકો થશે સહભાગી જામનગર જિલ્લામાં ગ્રામ પંચાયત ચુંટણી માટે તંત્ર ચુસ્ત: ૪.૪૨ લાખ મતદારો ચૂંટણીમાં આપશે મતાધિકાર, ૨૨ જૂને યોજાશે મતદાન અને ૨૫ જૂને થશે મતગણતરી અહેવાલે ઊંડી દુખદ ઘટના વચ્ચે માનવતા ઝળકાવતી કામગીરી: અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અવસાન પામેલા જામનગરના દંપતી માટે વહીવટી તંત્ર બન્યું આધારેતરું બળ પાટણમાં 143મી રથયાત્રાની તૈયારીઓ ભરઉમંગે: નગરપાલિકા દ્વારા માર્ગોની સફાઈ અને માર્ગ સુઘારણા કાર્ય જોરશોરે ચાલુ વિશ્વ યોગ દિવસ 2025: પાટણ જિલ્લામાં 1584 યોગ કાર્યક્રમોનું આયોજન – 2.61 લાખથી વધુ લોકો જોડાશે, રાણીની વાવ જેવા ઐતિહાસિક સ્થળોએ પણ કાર્યક્રમ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સેવારત કેટલાક એવા ચહેરાઓ, જેણે હતભાગીઓના પરિજનોનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરી..

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં સેવારત કેટલાક એવા ચહેરાઓ, જેણે હતભાગીઓના પરિજનોનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરી..

અમદાવાદ, સંજીવ રાજપૂત: મેઘાણીનગર વિસ્તારમાં ગત તા. ૧૨ જૂનના રોજ બનેલી વિમાન દુર્ઘટનાના ઇજાગ્રસ્તો અને હતભાગીઓના પરિવારજનોને આરોગ્ય વિભાગ દ્વારા આવશ્યક તમામ સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે.

દુઃખની એ ઘડીમાં હતભાગીઓના પરિવારોનો સંપર્ક સાધી, મનોસાંત્વના આપીને ભાવિ યંત્રણાઓથી પરિવારોને મુક્ત કરવા જરૂરી પરામર્શન કરવાની સાથે પાર્થિવ શરીરને તેના ઘર સુધી માનભેર પહોંચાડવા સુધીની યાત્રાની કામગીરી સૂઝબૂઝપૂર્વક નિભાવતાં સિવિલ હોસ્પિટલ સ્થિત મનોચિકિત્સકો, પરામર્શકો, કોલ સેન્ટરના કર્મીઓ અને પરિવહન સંચાલકોની ભૂમિકા આ વિમાન દુર્ઘટના બાદ ઘણી મહત્ત્વપૂર્ણ બની છે. તારે આ કામગીરીમાં જોડાયેલા કર્મશીલોની કહાની તેમની જ જુબાનીમાં અત્રે રજૂ કરી છે:

એ મને ભેટીને રડી પડ્યા અને કહ્યું કે તું પણ એકદમ મારી દીકરી જેવી જ છે: સુરેખા રાવલ, સ્ટાફ નર્સ

અમદાવાદ વિમાન દુર્ઘટનાના હતભાગીઓના ડીએનએ મેચિંગ થયા બાદ તેમના પાર્થિવદેહ તેમજ માલસામાન સોંપવા સહિતની તમામ દસ્તાવેજી પ્રક્રિયામાં કોઈ પણ સ્વજનને મુશ્કેલી ન પડે, તે માટે ઉચ્ચ અધિકારી સહિતની ડેડિકેટેડ ટીમ મૂકવામાં આવી છે.

આવી જ એક ટીમમાં કાઉન્સેલર તરીકે જોડાયેલાં સ્ટાફ નર્સ સુશ્રી સુરેખા રાવલ કહે છે કે, ‘અમે લોકો પહેલાં દિવસથી જ આ કામગીરી સાથે જોડાયેલા છીએ. ડીએનએ મેચ થયા પછી પરિવારજનો અહીં આવે છે. જેમના ઓળખ કાર્ડથી માંડીને તેમને ડેથ સર્ટિફિકેટ મળી રહે તે માટેની તમામ પ્રક્રિયામાં અમે સાથે રહીને જરૂરી તમામ મદદ કરીએ છીએ અને સતત તેમને માનસિક હિંમત બંધાવતાં રહીએ છીએ.’

‘આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમારે સતત એ પરિવારની નજીક રહેવાનું થાય છે. જેના કારણે થોડા સમય માટે પણ એક પ્રકારની આત્મીયતા કેળવાઈ જવી સ્વાભાવિક છે. મને યાદ છે. મેં એક પરિવારને તેમની પુત્રી કે બહેનનો પાર્થિવ દેહ મળી રહે તે માટે કાઉન્સેલિંગ કર્યું હતું. એ આન્ટીએ કહ્યું કે મારો ચહેરો પણ તેમણે જે સ્વજન ગુમાવ્યું છે એકદમ તેના જેવો જ છે. એટલું કહીને તેઓ રડવા લાગ્યાં અને મને ભેટી પડ્યાં. મેં ફરી એમને ધીરજ આપી અને તેમના સ્વજનના નશ્વર અવશેષો સાથે વિદાય કર્યાં.

‘કસોટી ભવનથી માંડીને પાર્થિવ દેહ સોંપવા સુધીના દરેક તબક્કે હિંમત બંધાવતા રહેવું પડે છે: ડૉ. નિશા પ્રજાપતિ, મનોચિકિત્સક’*

વિમાન દુર્ઘટનાના સમાચાર મળતાં જ તમામ યાત્રીઓના પરિવારજનો આવવા લાગ્યા હતા. સૌ પ્રથમ તેમના ડીએનએ કલેક્ટ કરવાના હતા. ત્યાર બાદ સેમ્પલ મેચ કરવાના અને ત્રીજા તબક્કામાં પાર્થિવ દેહ પરિવારને સોંપવાની કામગીરી કરવાની હતી. આ કામગીરી સાથે ૧૦ જેટલાં મનોચિકિત્સકોની ટીમ અલગઅલગ શિફ્ટમાં પ્રથમ દિવસથી જ કાર્યરત છે. જેમના દ્વારા આશરે ૩૫૦થી વધુ પરિજનોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે.

આ દરેક તબક્કે પરિજનોને સાંત્વના આપતાં રહેવું પડે છે અને ધીરજ બંધાવતાં રહેવું પડે છે. ત્યારે પ્રથમ દિવસથી આ કામગીરી સાથે સંકળાયેલા મનોચિકિત્સક ડૉ. નિશા પ્રજાપતિ તેમના અનુભવ વિશે વાત કરતાં કહ્યું કે…

‘મને યાદ છે, કસોટીભવન પર એક અંકલ તેમના ડીએનએ સેમ્પલ આપવા આવ્યા હતા. તેઓ એટલા દુ:ખી હતા કે મેં તેમને ખૂબ સમજાવ્યા, પરંતુ તેઓ સાવ જ ભાંગી પડ્યા હતા અને સતત રડતાં હતા. સ્વજનને ગુમાવ્યાનું દુઃખ તેમના માટે અસહ્ય હતું. આખરે મેં અમારા હેડને જાણ કરી અને લગભગ મોડી રાત્રે અમે તેમને સમજાવી શક્યા.’

‘આમ છતાં, અનેક વખત પાર્થિવ દેહ સ્વીકારતી વખતે પરિવારજનોની હિંમત તૂટી જતી હોય છે અને તેઓ ભાંગી પડતાં હોય છે. ખાસ કરીને, અનેક વખત પરિવારજનો પોતાના સ્વજનોનો ચહેરો જોવાની જિદ કરે છે અથવા તેમની અંતિમ યાદગીરીરૂપ તેમની ચીજવસ્તુઓ આપીએ, ત્યારે પણ તેઓ અત્યંત ભાવુક થઈ જતાં હોય છે. આવી અનેક પરિસ્થિતિમાં અમારે તેમને સતત હૂંફ અને સાંત્વના આપતાં રહેવું પડે છે.

‘ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ પરિવારને જાણ કરવાની સાથે પાર્થિવ દેહને સન્માનભેર પહોંચાડવા ટની વ્યવસ્થા કરવામાં મદદ કરીએ છીએ: ડૉ. અલ્પા માંકડિયા

ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ પરિવારજનોનો સંપર્ક કરતી ટીમ સાથે સંકળાયેલાં ડૉ. અલ્પા માંકડિયા જણાવે છે કે, ‘ડીએનએ સેમ્પલ મેચ થયા પછી અમને જાણ કરવામાં આવે છે. એટલે તુરંત અમારી ડેડિકેટેડ ડૉક્ટર્સની ટીમ એક્ટિવ થઈ જાય છે. આ માટે જેમના ડીએનએ સેમ્પલ લીધા હોય તેમને ફોન કરીને જાણ કરીએ છીએ અને તેઓ ક્યારે આવી શકે તેમ છે, સાથે કયા દસ્તાવેજો લાવવા સહિતની માહિતી આપીએ છીએ અને તેમણે પાર્થિવ દેહને કયા સ્થળે લઈ જવો છે સહિતની બાબતો વિશે પૂછીને તેની આનુષાંગિક વ્યવસ્થાઓ કરાવીએ છીએ.’

પાર્થિવ દેહને તેના ગંતવ્યસ્થાન સુધી પહોંચાડવા માટે આરટીઓ દ્વારા વાહન વ્યવસ્થા ગોઠવાઈ: બી.વી. ભાદાણી, એઆરટીઓ

અમદાવાદ વિમાન દુર્ઘટનાના હતભાગીના પરિવારજનોને તેમના નશ્વર અવશેષો સોંપ્યા બાદ તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવા માટે અમદાવાદ આરટીઓ કચેરી દ્વારા વાહન વ્યવસ્થા તેમજ એર ઇન્ડિયા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અંગે એઆરટીઓ બી.વી. ભાદાણીના જણાવ્યા અનુસાર અમદાવાદ આરટીઓ કચેરી દ્વારા હાલ ૧૫ જેટલાં વાહનની વ્યવસ્થા કરવામાં આવી છે. ડૉ. કાપડિયાની ટીમ દ્વારા કેટલા પરિવારજનો પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, તેની માહિતીના આધારે આરટીઓ કચેરી દ્વારા વાહન મૂકવામાં આવે છે. જે પાર્થિવ દેહ સહિત સમગ્ર પરિવારને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે છે.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?