કારના બે ટુકડા; યુવક-યુવતીનું મોત, બે મિત્રો ગંભીર ઈજાગ્રસ્ત
રાજકોટ જિલ્લાના જેતપુર નજીક આવેલ જેટલસર જંકશન રેલવે પુલ પર આજે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢ ખાતે મહા શિવરાત્રિના મેળાના દર્શન કરીને પરત ફરી રહેલા મિત્રો સાથે થયેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.પ્રાપ્ત માહિતી મુજબ, મિત્રમંડળ કારમાં સવાર થઈ જૂનાગઢથી પરત ફરી રહ્યું હતું ત્યારે જેતલસર પાસે અચાનક અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને ગાડી બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. ઘટનાસ્થળે કારની હાલત જોઈને અકસ્માતની તીવ્રતા સહેલાઈથી અંદાજી શકાય તેવી હતી.
બે યુવાનોનું સ્થળ પર જ મોત
આ દુર્ઘટનામાં મુસ્કાન બગડા અને અરુણ વાળા નામના યુવાન-યુવતીએ કરૂણ રીતે જીવ ગુમાવ્યો હતો. બંનેને ગંભીર ઈજાઓ થતા તેઓને બચાવી શકાયા નહોતા.જ્યારે કારમાં સવાર અમિત પરમાર અને જયદીપ ચૌહાણને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરાઈ હતી અને બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હાઈવે પર ટ્રાફિક જામ
અકસ્મતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનચાલકોની ભીડ અને અકસ્માતગ્રસ્ત કારને કારણે વાહનવ્યવહાર થોડા સમય માટે ઠપ થઈ ગયો હતો. પોલીસ દ્વારા ટ્રાફિકને ડાયવર્ટ કરી સ્થિતિ નિયંત્રિત કરવામાં આવી હતી.
પોલીસની કાર્યવાહી
સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પંચનામું, વાહનનો ટેક્નિકલ અભ્યાસ અને સાક્ષીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.પ્રાથમિક અંદાજ મુજબ કારની ઝડપ વધુ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે પોલીસ દ્વારા સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી.
મહા શિવરાત્રિનો આનંદ શોકમાં ફેરવાયો
જૂનાગઢમાં મહા શિવરાત્રિના પવિત્ર મેળાના દર્શન કરીને પરત ફરતા મિત્રો માટે આ સફર જીવલેણ સાબિત થઈ. ભક્તિભાવથી શરૂ થયેલી મુસાફરી અંતે દુર્ઘટનામાં બદલાતા પરિવારોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
માર્ગ સુરક્ષા અંગે ફરી ચિંતા
આ અકસ્માતે ફરી એકવાર માર્ગ સુરક્ષા, ઓવરસ્પીડિંગ અને રાત્રિ મુસાફરી દરમિયાન સાવચેતીના મુદ્દાઓને ચર્ચામાં લાવ્યા છે. ખાસ કરીને પુલ અને વળાંકવાળા વિસ્તારોમાં ઝડપ નિયંત્રણ, સીટબેલ્ટનો ઉપયોગ અને થાકેલા હાલતમાં ડ્રાઈવિંગ ન કરવા અંગે જાગૃતિ જરૂરી હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.
આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારને ઝંઝોડી નાખ્યો છે. મૃત્યુ પામેલ બંને યુવક-યુવતીના પરિવારોમાં શોકની લાગણી વ્યાપી છે, જ્યારે ઈજાગ્રસ્ત યુવાનોના સ્વાસ્થ્ય અંગે લોકો પ્રાર્થના કરી રહ્યા છે.
27








