Samay Sandesh News
ગુજરાતબનાસકાંઠા (પાલનપુર)

દિયોદર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પૂજ્ય સંત શ્રી સદારામ બાપુની ૧૧૫ મી જન્મ જયંતિ ઉજવણી કરાઇ

દિયોદર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પૂજ્ય સંત શ્રી સદારામ બાપુની ૧૧૫ મી જન્મ જયંતિ ઉજવણી કરાઇ

પૂજ્ય સંત શ્રી સદારામ બાપુએ તેમના ભજન સતસંગ થકી લાખો લોકોને વ્યસન મુક્ત બનાવ્યા છે: મુખ્યમંત્રીશ્રી

બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પૂજ્ય સંતશ્રી સદારામ બાપુની ૧૧૫ મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પૂજ્ય સંત શ્રી સદારામ બાપુએ શિક્ષણ, વ્યસનમુક્તિ અને હિંસાના નિવારણ માટેના અનેક સેવાકીય કાર્યો કર્યા છે. પૂજ્ય સંત શ્રી સદારામ બાપુએ તેમના ભજન સતસંગ થકી લાખો લોકોને વ્યસન મુક્ત બનાવ્યા છે.

બાપુનું સાદું જીવન એજ તેમનો જીવન સંદેશ હતો, તેમણે કહ્યું કે લોકોની મુશ્કેલીઓ અને પીડાઓ દૂર કરતાં કરતાં સાદું જીવન જીવી તેઓ આ ભવસાગર તરી ગયા છે. તેમણે કહ્યું કે વ્યસનો વ્યક્તિ અને કુટુંબને બરબાદ કરી દેતાં હોય છે એ વાત સારી રીતે સમજીને તેમણે કોઈ એક જ્ઞાતિ માટે નહીં પરંતુ સર્વ સમાજના વિકાસ માટે પૂજ્ય બાપુએ કામ કર્યું છે ત્યારે આવા સંતોના જીવનમાંથી પ્રેરણા મળવી વેરઝેર ભૂલીને જીવનમાં આગળ વધીએ. છોડમાં રણછોડની જેમ વ્યક્તિમાં પણ રણછોડના દર્શન કરી સમાજના વિકાસ માટેના કાર્યો કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કોરોના કાળમાં આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભરનો નારો આપીને આપણને નવી દિશા આપી છે ત્યારે તેમણે ચીંધેલા રાહ પર ચાલીને ગુજરાતને આત્મનિર્ભર બનાવીએ.

શિક્ષણ રાજ્યમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, પૂજ્ય સંતશ્રી સદારામ બાપા ભલે આજે આપણા વચ્ચે નથી પરંતુ તેમનો ઉપદેશ અને આશિર્વાદ હંમેશા આપણી સાથે છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં બાપાએ ભજન અને ભક્તિની સાથે સાથે સમાજ સુધારણાનો વિરાટ કાર્ય કર્યું છે. જીવનકાળ ના સાત દાયકાથી પણ વધુ વર્ષો શિક્ષણના અભાવથી સમાજમાં વ્યાપી ગયેલી વ્યસનની બધીને દૂર કરવા ખપાવી દીધા.

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખશ્રી અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, વ્યસનમુક્તિ ઝૂંબેશ ચલાવવાની પ્રેરણા સૌનું ભલુ થાય તેવા શુભાશિષ આપતા સંતશ્રી સદારામ બાપામાંથી મળી. વ્યસનમુક્તિ ઉપરાંત ધર્મ અને ભાઇચારાની ભાવના થકી સર્વ સમાજ એક થઇને રહે તેવી બાપાના ચરણોમાં પ્રાર્થના કરૂં છું.

વધુમાં શ્રી અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, વાવ અને ભાભર વિસ્તાર માટે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા રૂ.100 કરોડ જેટલી માતબર રકમના કામો મંજૂર કરવામાં આવ્યા છે. ખેતી માટે અમૃત સમા નર્મદા મૈયાના નીર આ ધરતી સુધી પહોંચાડવા જે મંજૂરી આપવામાં આવી છે તે માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરૂં છું.

મુખ્યમંત્રીશ્રીએ દિપપ્રાગટ્ય કરી પૂજ્ય સંતશ્રી સદારામ બાપુની આરતીમાં જોડાયા હતા.
આ પ્રસંગે પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ, બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચાૈધરી, પૂર્વ મંત્રી સર્વશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શ્રી કેશાજી ચૌહાણ, બનાસ બેન્કના ચેરમેનશ્રી અણદાભાઇ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, નંદાજી ઠાકોર, સુરેશભાઈ શાહ, નાૈકાબે પ્રજાપતિ, પીરાજી ઠાકોર, દશરથજી ઠાકોર સહિત ઠાકોર સમાજના અગ્રણીઓ, કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ભાવનગર : યુવરાજસિંહ આજે એસઓજી સમક્ષ થયા હાજર-કર્યા ભારે આક્ષેપો

cradmin

બનાસ બેન્કના ચેરમેને રાજીનામાને લઈને ચાલતી ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂક્યુ

samaysandeshnews

દીવ ના દરિયામાં યુવાન ડૂબ્યો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!