આવકવેરા વિભાગના 166મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી આજે અમદાવાદમાં થઈ હતી, જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને કરદાતાઓ તથા આવકવેરા વિભાગના અધિકારીઓનું હાર્દિક ભાવથી સન્માન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, “ભારતના 5 ટ્રિલિયન ડોલર અર્થતંત્રના લક્ષ્ય સુધી પહોંચવામાં આવકવેરા વિભાગની નિષ્ઠા અને કરદાતાઓની પ્રામાણિકતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.”
“આવકવેરા વ્યવસ્થા હવે ભય નહીં, ભરોસાનું પ્રતિનિધિત્વ કરે છે”
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, “કર પ્રણાલી હવે વધુ પારદર્શક, ડિજિટલ અને કરદાતા-મૈત્રીપૂર્ણ બની ગઈ છે. આજે કરદાતાઓને ભય નહીં, પણ સહજતા અને સુરક્ષાનો અનુભવ થાય છે, જે દેશના વિકાસ માટે અત્યંત આવશ્યક છે.”
તેમણે ઉમેર્યું કે, “કર વસૂલાત એ માત્ર રાષ્ટ્રીય આવક એકત્ર કરવાનું સાધન નથી, પણ સમાજમાં ન્યાય અને સમાનતાનું માધ્યમ પણ છે.” તેમણે એવો મહત્વપૂર્ણ સંદેશ પણ આપ્યો કે, “કોઈ અધિકારી જ્યારે કરદાતા સામે બેઠો હોય, ત્યારે તેણે વિચારવું જોઈએ કે જો હું તેમના સ્થાને હોત તો શું મને આ વ્યવહાર યોગ્ય લાગત؟“
ગુજરાતમાં આવકવેરાનો વધતો સંગ્રહ સમાજના સુખદ સંકેત
ગુજરાતના સંદર્ભમાં વાત કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, “ગુજરાતમાંથી આજે વાર્ષિક ₹1,05,421 કરોડનો આવકવેરા સંગ્રહ થાય છે, જે આપણા સમાજની આર્થિક મજબૂતી, કરદાતાઓની નૈતિકતા અને વિભાગની કાર્યક્ષમતા દર્શાવે છે.”
ડિજિટલ સુધારાઓ, કરમુક્તિ અને ફેસલેસ પ્રક્રિયા સરકારના સકારાત્મક વલણનું પ્રતિબિંબ
રાજ્યપાલશ્રીએ ખાસ નોંધ્યું કે, “ફેસલેસ એસેસમેન્ટ, ડિજિટલ કર નિભાવ, અને ₹12 લાખ સુધીની આવક પર કરમુક્તિ સરકારના પ્રજાનુકૂળ વલણનું સંકેત આપે છે. આજે કરદાતા પોતાની ઘર બેઠી ટેક્સ ભરવા અને રિફંડ મેળવવાની વ્યવસ્થા ભોગવે છે.”
તેમણે આજની આવકવેરા વ્યવસ્થાને “વિશ્વસનીયતા અને નૈતિકતા આધારિત” ગણાવતાં કહ્યું કે આ સમગ્ર પ્રક્રિયા અર્થતંત્રમાં સહકાર અને સહઅસ્તિત્વની ભાવના ઊભી કરે છે.
મુખ્ય આયકર આયુક્ત શ્રી સતીશ શર્માનું નિવેદન
મુખ્ય આયકર આયુક્ત શ્રી સતીશ શર્માએ જણાવ્યું કે આવકવેરા વિભાગ હવે એક દંડાત્મક તંત્ર નહીં, પણ સેવા આધારીત સંસ્થા બની ચૂક્યું છે.
તેમણે જણાવ્યું કે:
-
1990માં આવકવેરા વિભાગ સંપૂર્ણપણે કાગળ આધારિત હતો, જ્યારે હવે આખી કામગીરી ડિજિટલ છે.
-
આજકાલ રિટર્ન ફાઈલ કર્યા પછી 10 દિવસમાં રિફંડ મળી જાય છે.
-
અત્યાર સુધી મહત્તમ ટેક્સ દર 60% હતો, જે હવે 30% સુધી આવી ગયો છે.
-
કરદાતાઓની સંખ્યા 40 લાખથી વધીને 9 કરોડ થઈ છે.
-
ચકાસણીના કેસોનું પ્રમાણ 5%માંથી ઘટીને હવે માત્ર 0.2% થયું છે.
તેમણે નવી ટેકનોલોજી વિશે ઉમેર્યું કે, “ટીડીએસ રિટર્નના આધારે હવે દર વર્ષે 60 કરોડથી વધુ નાણાકીય વ્યવહારોની માહિતી મળતી રહે છે, જે ટેક્સની પ્રક્રિયાને સચોટ અને પારદર્શક બનાવે છે.”
તેમણે આશા વ્યક્ત કરી કે આગામી વર્ષ 2025માં લાગુ પડનાર નવો આવકવેરા કાયદો ટેક્સ પ્રણાલીને વધુ સરળ અને ન્યાયી બનાવશે.
વિદ્યાર્થીઓનો પણ સન્માન
આ પ્રસંગે ટેક્સ અવેરનેસ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીએ પાત્રતા મુજબ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કર્યા. તેમજ વિભાગના શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને પણ રાજ્યપાલશ્રીએ સન્માનિત કર્યા.
ઉપસ્થિત રહી આગવી પધ્ધતિથી ઉજવાયો દિવસ
આ પ્રસંગે મુખ્ય આયકર આયુક્ત (ટીડીએસ) શ્રીમતી અપર્ણા અગ્રવાલે સ્વાગત ઉદબોધન આપ્યો હતો. ઉપરાંત મુખ્ય આયકર આયુક્ત (અમદાવાદ-1) શ્રી રાજેશ ગુપ્તા, આવકવેરા મહાનિદેશક (તપાસ) શ્રી સુનિલકુમાર સિંહ, તેમજ અન્ય અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આર્થિક સમૃદ્ધિ એ ધર્મ, નૈતિકતા અને જીવંત પરંપરાનું પરિણામ
અંતે, રાજ્યપાલશ્રીએ ભારતીય સંસ્કૃતિનું ઉલ્લેખ કરતાં કહ્યું કે, “અર્થ એ ધર્મ, નૈતિકતા અને સામાજિક ભલાઈ સાથે સંકળાયેલ છે. જો આપણે લોકહિતમાં ધનનું વહન કરીએ, તો તે મોક્ષ સુધીનો માર્ગ ખોલે છે.” તેમણે “વિકસિત ભારત-૨૦૪૭” ના લક્ષ્ય માટે આવકવેરા વિભાગને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ રીતે આવકવેરા વિભાગના 166મા સ્થાપના દિવસની ઉજવણીમાં અર્થવ્યવસ્થાની નબળાઈઓને દુર કરવા માટે કરદાતા અને સરકાર વચ્ચે વિશ્વાસ જમાવવાના સંદેશો સાથે સમારોહ ઉર્જાથી ભરપૂર રહ્યો.
WhatsApp link-
https://chat.whatsapp.com/L18FV1R9B1r42hmCOLc6QL
FACEBOOK LINK –
https://www.facebook.com/SamaySandesh…
Instagram link –
https://t.me/joinchat/g1_gPdcFxtM1NDZl
TELEGRAM LINK –
https://t.me/joinchat/uIljpkLp6VViYjRl
જનતાના અવાજને અમે કરીશુ ઉજાગર…
સંપર્ક કરો. +91 88660 66060
