Latest News
ભાણવડ નગરપાલિકામાં બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપોનો ધડાકો: ઈન્ચાર્જ ચીફ ઓફિસર વિરુદ્ધ તપાસની માંગ સાથે સભ્યની સત્તાવાર ફરિયાદ. એર મુસાફરોને મોટી રાહતઃ ૪૮ કલાકમાં ટિકિટ કૅન્સલ કરો તો મળશે પૂરું રીફન્ડ, DGCAના નવા નિયમો લાગુ. સર્વાઇકલ કૅન્સર સામે રાષ્ટ્રીય જંગઃ અજમેરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની HPV વૅક્સિન ઝુંબેશને લીલી ઝંડી. રાધનપુર કોંગ્રેસમાં સંગઠનાત્મક ભૂકંપઃ સાંતલપુર પ્રમુખની વરણી બાદ ૧૦૦થી વધુ કાર્યકરોના રાજીનામા, ચૂંટણી પૂર્વે પક્ષ માટે મોટો ઝટકો. રાધનપુર નગરપાલિકામાં રાજકીય ભૂકંપઃ કોંગ્રેસના વોર્ડ-૨ના કોર્પોરેટર અને વિપક્ષના નેતાનું રાજીનામું, આંતરિક અસંતોષની ચર્ચાઓ તેજ. E20 યુગનો પ્રારંભઃ પહેલી એપ્રિલથી દેશભરમાં ૨૦ ટકા ઇથેનૉલ મિશ્રિત પેટ્રોલ ફરજિયાત, જૂના વાહનો માટે ચિંતાના સંકેત.

બોરીવલીની વિટ્ટી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફી વધારાનો વિવાદ વકર્યો, વાલીઓના ગંભીર આક્ષેપ; ધારાસભ્ય કક્ષાએ મુદ્દો પહોંચ્યો.

બોરીવલી :
મુંબઈના બોરીવલી વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ગણાતી વિટ્ટી ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. શાળાના ફી માળખામાં કરાયેલા અચાનક અને આડેધડ વધારાને લઈને વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. છેલ્લા કેટલાય દિવસોથી વાલીઓ દ્વારા આ મુદ્દે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે, ત્યારે હવે આ વિવાદ રાજકીય સ્તરે પણ પહોંચી ગયો છે. વાલીઓએ બોરીવલીના ધારાસભ્ય સંજય ઉપાધ્યાય સમક્ષ રજુઆત કરી છે અને શાળા વહીવટીતંત્ર પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

ફી વધારાને લઈને વાલીઓમાં ભારે અસંતોષ

બોરીવલીના શિમ્પોલી રોડ પર આવેલી વિટ્ટી ઇન્ટરનેશનલ સ્કૂલે ફીના મામલે કરેલા અયોગ્ય અને અણધાર્યા ફેરફારોને કારણે વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે ફરી એકવાર વાલીઓએ “ગુજરાતી સમય સંદેશ”નો સંપર્ક કરીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. વાલીઓએ જણાવ્યું કે શાળાએ ફી વધારાની કોઈ સ્પષ્ટ માહિતી કે યોગ્ય કારણ આપ્યા વગર અચાનક ફીમાં મોટો વધારો કરી દીધો છે, જે સામાન્ય મધ્યવર્ગીય પરિવારો માટે અસહ્ય બોજ સમાન છે.

વાલીઓએ એવા દસ્તાવેજી પુરાવા પણ રજૂ કર્યા છે, જેમાં એક જ ઘરના બે બાળકોની ફીમાં નોંધપાત્ર તફાવત અને અસામાન્ય વધારો જોવા મળે છે. આ બાબતે વાલીઓનું કહેવું છે કે ફી વધારાનો આ પ્રકારનો નિર્ણય સંપૂર્ણપણે અનિયમિત અને અનૈતિક છે.

ધારાસભ્ય સમક્ષ રજુઆત

ફી વધારાની સમસ્યાને લઈને વાલીઓએ બોરીવલીના ધારાસભ્ય સંજય ઉપાધ્યાયને મળીને પોતાની ફરિયાદ રજૂ કરી છે. વાલીઓએ ધારાસભ્યને આપેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે શાળાની નીતિ અને ફી માળખા અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. વાલીઓનું કહેવું છે કે શાળા વહીવટીતંત્ર તેમની ફરિયાદો સાંભળવા કે ઉકેલવા તૈયાર નથી.

આ મુદ્દે આજે ફરી વાલીઓ ધારાસભ્યના કાર્યાલયે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓની ફીમાં થયેલા અનિયમિત વધારા અંગે લેખિત ફરિયાદ નોંધાવી હતી. વાલીઓની રજૂઆતને ગંભીરતાથી સાંભળ્યા બાદ તેમને આશ્વાસન આપવામાં આવ્યું કે વિદ્યાર્થીઓના હિતમાં અને વાલીઓને ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.

ધારાસભ્યના પ્રતિનિધિનું નિવેદન

આ સમગ્ર મામલે “ગુજરાતી સમય સંદેશ” સાથે વિશેષ વાતચીત કરતાં ધારાસભ્ય સંજય ઉપાધ્યાયના પ્રતિનિધિ સુશીલ સિંઘે જણાવ્યું હતું કે,
“અમારી ઓફિસ તરફથી એકથી વધુ વખત વિટ્ટી ઇન્ટરનેશનલ સ્કૂલનો સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ કોઈ અધિકૃત જવાબદાર વ્યક્તિ મળવા આવી નથી. એક વ્યક્તિ મળવા આવી હતી, પરંતુ તેણે પોતે માત્ર સંદેશો પહોંચાડનાર હોવાનું જણાવ્યું.”

તેમણે વધુમાં કહ્યું કે,
“શાળા તરફથી વાલીઓને 17 ડિસેમ્બર સુધીમાં સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી અને ફી ભરવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી હોવાનું પણ જણાવાયું હતું. આ અંગેનો પુરાવો વીડિયોમાં સ્પષ્ટ છે. તેમ છતાં અત્યાર સુધી શાળા પ્રશાસન તરફથી કોઈ નક્કર પહેલ કે સ્પષ્ટતા કરવામાં આવી નથી.”

‘આર્થિક કૌભાંડ’ના આરોપો

સુશીલ સિંઘે શાળાની ભૂમિકા પર કડક ટીકા કરતા જણાવ્યું હતું કે,
“ફી વધારાને લઈને કોઈ સ્પષ્ટતા નથી. મારા મત મુજબ આ સમગ્ર બાબત આર્થિક કૌભાંડ જેવી લાગે છે. જો સ્કૂલ પ્રશાસન તરફથી કોઈ સ્પષ્ટ જવાબ નહીં મળે કે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો અમે સ્કૂલનું NOC રદ કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે પહેલ કરીશું. આ શાળાની સમગ્ર ફાઈલ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.”

વાલીઓએ ઉઠાવેલી અન્ય ગંભીર સમસ્યાઓ

વાલીઓએ ફી વધારા સિવાય પણ શાળાની કામગીરી અંગે અનેક ગંભીર મુદ્દાઓ રજૂ કર્યા છે. તેમનો આરોપ છે કે શાળા મહારાષ્ટ્ર સરકારના નિયમોનું પાલન કરતી નથી.

વાલીઓના જણાવ્યા મુજબ,

  • શાળામાં ફરજિયાત હોવા છતાં વાલી-શિક્ષક સમિતિ (PTA) રચવામાં આવી નથી.

  • મોટા ધોરણો માટે છેલ્લા ચારથી છ મહિનાથી આચાર્ય (પ્રિન્સિપલ) નથી, જેના કારણે શાળાનું સંચાલન અસરગ્રસ્ત થયું છે.

  • અનેક સાંસ્કૃતિક અને અભ્યાસેતર પ્રવૃત્તિઓ માટે અલગથી ફી વસૂલવામાં આવે છે, જેના કારણે વાલીઓ પર વધારાનો આર્થિક બોજ પડે છે.

  • શાળામાં શિક્ષકોની વારંવાર બદલીઓ થતી રહે છે, જેના કારણે શિક્ષણની ગુણવત્તા પર પ્રશ્નો ઊભા થાય છે.

  • કેટલાક કિસ્સાઓમાં તો આઇબી બોર્ડ માટે જરૂરી લાયકાત ધરાવતા શિક્ષકોની અછત હોવાનો પણ આરોપ વાલીઓએ લગાવ્યો છે.

વાલીઓના ચોંકાવનારા ખુલાસા

એક વાલીએ “ગુજરાતી સમય સંદેશ”ને જણાવ્યું કે તેમના બન્ને સંતાનો આ જ શાળામાં અભ્યાસ કરે છે, પરંતુ અલગ અલગ વર્ષમાં પ્રવેશ લીધાના કારણે ફીમાં મોટો તફાવત જોવા મળે છે.
વાલીના જણાવ્યા મુજબ, દીકરાને સિનિયર કેજીમાં દાખલ કરતી વખતે વાર્ષિક ફી 1.35 લાખ રૂપિયા હતી, જ્યારે આઇબી બોર્ડમાં પ્રથમ ધોરણમાં પ્રવેશ માટે હવે 2.60 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી રહી છે. આ લગભગ સો ટકા જેટલો વધારો હોવાનું વાલીઓનું કહેવું છે.

વાલીઓનો આરોપ છે કે એડમિશન સમયે શાળાએ દર વર્ષે માત્ર 10થી 12 ટકા ફી વધારો થશે એવી ખાતરી આપી હતી, જેને વાલીઓએ સ્વીકારી હતી. પરંતુ હવે 60થી 100 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જે અયોગ્ય અને અનૈતિક છે.

ભવિષ્યની ચિંતા

અન્ય એક વાલીએ જણાવ્યું કે જો હાલના માળખા પ્રમાણે દર વર્ષે 12 ટકા ફી વધારો ચાલુ રહેશે, તો તેમનું બાળક દસમા ધોરણમાં પહોંચે ત્યારે વાર્ષિક ફી છ લાખ રૂપિયા સુધી પહોંચી જશે, જે “ઉઘાડી લૂંટ” સમાન છે. અગાઉ વાલીઓના વિરોધ બાદ થોડો ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ લાંબા ગાળાના ઉકેલ અંગે કોઈ સ્પષ્ટ નીતિ અપનાવવામાં આવી નથી.

વાલીઓની મુખ્ય માગણીઓ

વાલીઓએ શાળા વહીવટીતંત્ર સમક્ષ સ્પષ્ટ માગણીઓ કરી છે.

  • ફી વધારાના કારણો અંગે પારદર્શક અને વિગતવાર માહિતી આપવામાં આવે.

  • ભવિષ્યમાં અચાનક આઘાતજનક ફી વધારો ન થાય તે માટે લાંબા ગાળાનું ફી આયોજન રજૂ કરવામાં આવે.

  • ફી વધારાની સમીક્ષા કરી તેને 12 ટકા કરતાં વધુ ન રાખવામાં આવે.

આગળ શું?

હાલ આ મુદ્દો રાજકીય અને વહીવટી સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. વાલીઓ ન્યાયની માંગ સાથે અડગ છે, જ્યારે ધારાસભ્ય કાર્યાલયે પણ કડક વલણ અપનાવવાનો સંકેત આપ્યો છે. જો શાળા પ્રશાસન સમયસર સ્પષ્ટતા નહીં કરે તો આ વિવાદ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. વાલીઓ હવે શાળા સામે કાયદેસર કાર્યવાહી કરવાની પણ તૈયારી દર્શાવી રહ્યા છે.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?