જામનગર તા. ૨૮ ઓક્ટોબર, ગુજરાત સરકારશ્રી ના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં રહેલ કલા વારસોને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ કલા પ્રકારોમાં મુખ્યત્વે ગરબા, રાસ, લોકનૃત્યો, આદિવાસી નૃત્યો, ભવાઈ, કઠપૂતળી, શેરી નાટકો વગેરેને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તુરી, રાવણ હથ્થો, ગાગર પર સંગીત આપતા સંગીતકારો તથા તેના જેવી કલાકારોની કલા લુપ્ત થવાને આરે આવી છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
વળી, આર્થિક કારણોસર તથા આયોજનની ઉણપના કારણે નાના કલાકારોને પોતાની કલા રજુ કરવાની તક પ્રાપ્ત થતી
નથી ત્યારે નાના કલાકારોને પોતાની કલા રજુ કરવાની તક પ્રાપ્ત થાય તેવા હેતુથી સાંસ્કૃતિક વારસાના જતન માટે જામનગર મહાનગરપાલિકા કક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ગત તા.૧૯/૧૦/૨૦૨૧ના રોજ સાંજે ૫ કલાકે એમ્યુઝમેન્ટપાર્ક, જામનગર ખાતે તેમજ તા.૨૪/૧૦/૨૦૨૧ના રોજ સાંજે ૬ કલાકે લાખોટા તળાવના ઓપન થીયેટર, જામનગર ખાતે રાખવામાં આવેલ હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જામનગર શહેરના વિવિધ કલા સંસ્થાઓના કલાકારો દ્વારા ગરબા, રાસ, નૃત્યો, વાદન-ગાયન રજુ કરેલ હતા. આ કાર્યક્રમમાં ૩૬૦ જેટલા કલાકારોએ ભાગ લીધેલ હતો.
આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના મેયરશ્રી બીનાબેન કોઠારી, રોટરી કલબના પ્રમુખશ્રી લલીતભાઈ જોશી, જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી નીતાબેન વાળા, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી મહેશજી ઠાકોર, ભગીરથસિંહ જાડેજા, ભરતભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.