– ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ના મંત્રથી ઇટ્રામાં ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ –
હાલાર ભૂમિ પર યોગની જાગૃતિને વધુ વેગ આપવા અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા (ઇટ્રા), જામનગર ખાતે ૨૧ જૂનના રોજ ભવ્ય રીતે ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ “યોગ સંગમ” થીમ હેઠળ ઉજવાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે લોકપ્રિય સંસદ સભ્ય પૂનમબહેન હેમતભાઈ માડમ ઉપસ્થિત રહી યોગાભ્યાસમાં સહભાગી બની, સમગ્ર કાર્યક્રમને યોગમય અને ભાવસભર બનાવ્યો હતો.
દેશવ્યાપી યોગ લહેરનો ભાગ બનેલું ઇટ્રા
આયુષ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં ૧૦ સિગ્નેચર ઇવેન્ટ્સ યોજાઇ રહી હતી જેમાં ઇટ્રા પણ એક મુખ્ય કેન્દ્ર તરીકે યોગપ્રેમીઓને એકત્રિત કરતું બન્યું. “યોગા ફોર વન અર્થ, વન હેલ્થ” જેવી અર્થપૂર્ણ અને વૈશ્વિક થીમ અંતર્ગત યોજાયેલી આ ઉજવણીએ યોગને માત્ર શારીરિક વ્યાયામના સ્તર સુધી સીમિત ન રાખી, પરંતુ તેને માનસિક શાંતિ, સામાજિક સુમેળ અને વૈશ્વિક સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી પણ ઓળખાણ આપી હતી.
ધન્વંતરી મેદાન પર યોગનો જયઘોષ
વિશાળ ધન્વંતરી મેદાન પર સવારે વહેલાંથી જ યોગસાધકો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિશાખાપટ્ટનમ ખાતેના યોગ કાર્યક્રમના જીવંત પ્રસારણ સાથે થઈ. વડાપ્રધાને આપેલા સંદેશ અને યોગ પ્રત્યેની અડગ નिष्ठા સમગ્ર શ્રોતાગણમાં નવી ઉર્જા ભરી ગઈ. ત્યારબાદ કોમન યોગા પ્રોટોકોલ અનુસાર સહભાગીઓએ યોગાભ્યાસ કર્યો. પ્રાણાયામ, આસનો અને ધ્યાન સહિતના વિવિધ યોગક્રમોનું નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ અમલ કરાયું.
વિધાર્થીઓની યોગમય સંસ્કૃતિક રજૂઆતો
યોગાભ્યાસ બાદ ઇટ્રાના વિધાર્થીઓએ યોગનૃત્ય, વાદ્યવૃંદ તેમજ થિમેટિક નાટ્ય પ્રસ્તુતિઓ રજૂ કરી. “એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય”ના મંત્રને અભિપ્રાય આપતી આ પ્રસ્તુતિઓએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. યોગના ઐતિહાસિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક પાસાંને સ્પર્શતી આ વિઝ્યુલ રજૂઆતો દ્વારા યોગના મૂલ્યને સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડવામાં આવ્યું.
પૂનમબહેન માડમ દ્વારા યોગના મહિમાનું વ્યાખ્યાન
સંસદસભ્ય પૂનમબહેન માડમે પોતાના ઉદબોધનમાં યોગના અનેક પાસાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે, “યોગ એ માત્ર શારીરિક કસરત નથી, એ આપણા શ્વાસ સાથે સંવાદ કરવાની પદ્ધતિ છે. યોગ દ્વારા આપણે આપણું સ્વાસ્થ્ય તો સુધારી શકીએ છીએ, સાથે સાથે આંતરિક શાંતિ અને માનસિક સ્થીરતાને પણ પ્રાપ્ત કરી શકીએ છીએ.” તેમણે વધુમાં જણાવ્યું કે આજના યુગમાં જયાં માનસિક તણાવ અને જીવનશૈલીજન્ય રોગો વધી રહ્યાં છે, ત્યાં યોગ એક પરિપૂર્ણ ઉપાય છે જે આપણને શાંતિ, સમતુલન અને સકારાત્મકતા તરફ દોરી શકે છે.
ઇટ્રાના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીનો સંદેશ
આ અવસરે ઇટ્રાના ડાયરેક્ટર પ્રોફેસર તનુજા નેસરીએ યોગવિદ્યાની વૈશ્વિક વિસ્તૃતતાને દર્શાવતા માહિતી આપી. તેમણે જણાવ્યું કે, “ભારતીય સંસ્કૃતિના મૂળમાં રહેલો યોગ આજે સમગ્ર વિશ્વ દ્વારા સ્વીકારવામાં આવી રહ્યો છે. ઇટ્રા દ્વારા આયોજિત આવા કાર્યક્રમો એ યોગવિદ્યાને નવું દિશા અને ગતિ આપે છે.” તેમણે લોકોમાં યોગ પ્રત્યે શ્રદ્ધા વધે, અને રોજિંદા જીવનમાં તેનો સમાવેશ થાય તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં હોવાનો પણ ઉલ્લેખ કર્યો.
યોગનું વૈજ્ઞાનિક મહત્વ – પ્રો. અર્પણ ભટ્ટ
યોગવિજ્ઞાની પ્રો. વૈદ્ય અર્પણ ભટ્ટે પણ વિશેષ રીતે યોગના વૈજ્ઞાનિક અને વૈશ્વિક મંચ પરના મહત્વ અંગે વાત કરી. તેમણે જણાવ્યું કે, “યોગ એ વૈશ્વિક સ્વાસ્થ્ય માટે એકમાત્ર એવુ પધ્ધતિ છે જે જેવીઆંચળમાં, વિવિધ ભાષા કે સંસ્કૃતિ ધરાવતા લોકોમાં સમાન અસરકારકતાથી કાર્ય કરે છે. યોગ એ એવી પધ્ધતિ છે જે મફત છે, ઔષધવિહીન છે અને આખા વિશ્વ માટે સમાન રીતે લાગુ પડે છે.”
તેઓએ આ પણ ઉમેર્યું કે યોગ એ માત્ર શરીર માટે નહીં, પરંતુ મગજ અને આત્માની સાથે સંબંધ ધરાવતી આખી માનવીય સત્યતા માટે પાંખો આપે છે. યોગ એ માનવતા માટે વિશ્વસનીય ઈલાજ છે – માનસિક આરોગ્ય માટે, જીવનશૈલી રોગો માટે, અને તણાવભર્યા સમયમાં આંતરિક શાંતિ માટે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ની ઇટ્રા ખાતેની ઉજવણી એ યોગપ્રેમીઓ માટે એક યાદગાર અનુભવ રહી. યોગના પ્રાચીન જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનું મીલન “યોગ સંગમ” કાર્યક્રમમાં અનુભવાયું. વિવિધ વર્ગોના સહભાગથી યોગનો ઉત્સવ લોકોત્સવ બની ગયો. આ અવસરે સંસ્થા દ્વારા જનસામાન્ય માટે યોગ શિબિરો તથા ઓનલાઈન અભ્યાસક્રમોની જાહેરાત પણ કરાઈ હતી.
યોગ એ માત્ર દિવસ પૂરતો નથી – એ જીવનશૈલી છે. અને ઇટ્રા દ્વારા યોજાયેલા આવા કાર્યક્રમો યોગને જીવનના દરેક પગલાં સાથે જોડવાનો પ્રેરણાદાયી પ્રયાસ સાબિત થાય છે.
FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો

Author: samay sandesh
