જામકંડોરણા, ૨૧ જૂન ૨૦૨૫: સમગ્ર વિશ્વમાં ૨૧મો જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે જામકંડોરણામાં પણ આ દિવસનું મહત્વ વિશેષ રીતે ઉજવવામાં આવ્યું. યોગ એ માત્ર શારીરિક કસરત નહીં પરંતુ મન, શરીર અને આત્માના સંયમનું પ્રતિક છે. આવા ઉદ્દેશ સાથે જામકંડોરણા ખાતે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી તંત્રના સહયોગથી યોગ દિવસને ઉજવણી તહેવાર સમાન થઇ ગઈ હતી.
જામકંડોરણા ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક કુમાર વિદ્યાલય અને કન્યા વિદ્યાલયના મેદાન પર યોગ દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ. કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સવારે સાત વાગ્યાથી શરુ થયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
કુમાર વિદ્યાલયના મેદાન પર વિદ્યાર્થીઓને યોગાભ્યાસ કરાવતા યોગના વિવિધ આસનો, શ્વાસપ્રક્રિયાઓ અને ધ્યાનની કળાઓ રજૂ કરવામાં આવી. યોગ ટ્રેનરશ્રી રશ્મિબેન બાલધાએ વિદ્યાર્થીમિત્રોને યોગના શારીરિક તેમજ માનસિક ફાયદાઓ અંગે વિસ્તૃત માહિતિ આપી. તેમણે કહ્યુ કે, “યોગ એ આપણા માટે માત્ર કસરત નથી, એ જીવનશૈલી છે. નિયમિત યોગ કરીશું તો શારીરિક તંદુરસ્તી ઉપરાંત માનસિક શાંતિ પણ પ્રાપ્ત થશે. બાળકો આજથી જ યોગને જીવનનો ભાગ બનાવે તો તેમનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બની શકે.”
જામકંડોરણા મામલતદારશ્રી પણ આ વિશેષ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો અને સૌને યોગ જીવનમાં અપનાવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે તેમના સંબોધનમાં કહ્યું કે, “યોગના માધ્યમથી આપણે સ્વસ્થ સમાજ બનાવી શકીએ છીએ. આજે જ્યારે સંસાધનો વધી રહ્યાં છે ત્યારે માનવી અસ્વસ્થ કેમ થાય છે તેનો વિચાર કરવો જોઈએ. યોગ એ સસ્તું, સરળ અને અસરકારક ઉપાય છે.”
વિશેષ બનાવ એ રહ્યો કે જામકંડોરણા કન્યા વિદ્યાલય ખાતે યોજાયેલા યોગ કાર્યક્રમમાં ૨૦૦૦થી વધુ બહેનો જોડાઈ હતી. માતાઓ, વિદ્યાર્થિનીઓ અને મહિલાઓએ એકસાથે યોગ કરીને ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ ના સંદેશને સમર્પિત કરી દીધો. સમગ્ર મેદાન યોગમય બની ગયો હતો અને સૌએ ધ્યાને તલીન થઈ મનની શાંતિ અનુભવી.
આ કાર્યક્રમ દરમિયાન યોગના પરંપરાગત આસનો જેમ કે તાડાસન, ભોજનમુદ્રા, ભસ્ત્રિકા, નાડી શોધન, ભુજંગાસન, વજ્રાસન અને પ્રાણાયામ જેવી શ્વાસ કળાઓ પણ કરાવવામાં આવી. દરેક આસન સાથે તેનો ફાયદો અને યોગ્ય રીત પણ સમજાવવામાં આવી. બાળકોમાં એનિમિયા, કમજોરી, ચિંતા અને ઉર્જાની ઉણપ જેવી તકલીફોને દૂર કરવા યોગ કેટલો ઉપયોગી છે તે યોગશિક્ષિકા રશ્મિબેન બાલધાએ સરળ ભાષામાં સમજાવ્યું.
મહિલાઓમાં પણ યોગને લઇ ઉત્સાહ જોવા મળ્યો. ઘણા મહિલાઓએ જણાવ્યું કે તેઓ હવે નિયમિત યોગ કરવાની શરૂઆત કરશે. કેટલીક બહેનોએ કહ્યું કે આ કાર્યક્રમને લીધે તેમનું યોગ પ્રત્યે ધ્યાન ગયું છે અને તેઓ રોજ સવારે ઘરે યોગ કરવાનો નક્કી કર્યો છે.
સંપૂર્ણ કાર્યક્રમ શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે પસાર થયો. દરેક યોગાસન વખતે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્વક જોડાઈ રહેતાં ઉમદા સમર્પણની ભાવના જોવા મળી.
પ્રારંભમાં યોગ દિવસની મૌલિકતા, તેનું ઇતિહાસ અને પીએમ નરેન્દ્ર મોદીના યોગ પ્રત્યેના દૃષ્ટિકોણ વિશે પણ સંક્ષિપ્તમાં રજૂઆત કરવામાં આવી. સ્કૂલે આ કાર્યક્રમ માટે ખાસ આયોજન કર્યું હતું જેમાં વિદ્યાર્થીઓ માટે વ્હાઇટ યોગ ડ્રેસ, પાણીની વ્યવસ્થા અને પોસ્ટરો પણ તૈયાર કરવામાં આવ્યા હતા.
અંતે તમામ ભાગ લેનાર યોગ સાથીઓએ “યોગ કરો – આરોગ્ય મેળવો” જેવા સૂત્રોચ્ચાર સાથે યોગ દિવસની ઉજવણીને યાદગાર બનાવી.
યોગ ટ્રેનર રશ્મિબેન બાલધાની બાઈટ:
“યોગ એ જીવનશૈલી છે. આજના યોગ દિવસથી વિદ્યાર્થીઓ અને મહિલાઓમાં જે ઉત્સાહ જોવા મળ્યો તે ખુબ જ ઉત્સાહવર્ધક છે. યોગ દ્વારા આપણે આપણા શરીર, મન અને આત્મા ત્રણેને સંવાદી બનાવી શકીએ છીએ. સતત યોગ દ્વારા દબાણ અને બીમારીઓથી મુક્ત રહેવું શક્ય છે. યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવીએ તો જીવન સ્વસ્થ અને સુખમય બની શકે.”
રીપોર્ટર ફિરોઝ જુણેજા
