ધાર્મિક નગર દ્વારકામાં આગામી 3 માર્ચ 2026ના રોજ ભવ્ય ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. જોકે એ જ દિવસે ચંદ્રગ્રહણ પડતું હોવાને કારણે દ્વારકાધીશ મંદિરના દર્શન સમયમા મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા ભાવિકોને નવી સમયસૂચિ મુજબ દર્શન કરવા અપીલ કરવામાં આવી છે.
મંદિર તરફથી મળતી માહિતી મુજબ 3 માર્ચના રોજ સવારે 4 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. ત્યારબાદ ગ્રહણકાળ દરમિયાન મંદિરના દ્વાર બંધ રાખવામાં આવશે. રાત્રે 8 વાગ્યાથી ફરી મંદિર ખુલશે અને મધરાતે 12 વાગ્યા સુધી દર્શન થઈ શકશે.
ફૂલડોલ ઉત્સવ દ્વારકાધીશ મંદિરમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે ભગવાનને ફૂલોથી શણગારવામાં આવે છે અને વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો દ્વારકા પહોંચતા હોય છે, ત્યારે આ વર્ષે ગ્રહણના કારણે દર્શન સમય મર્યાદિત રાખવામાં આવતા ભાવિકોને સમયનું ખાસ ધ્યાન રાખવાની વિનંતી કરવામાં આવી છે.
ગ્રહણ દરમિયાન શાસ્ત્રીય માન્યતાઓ મુજબ મંદિરોના દ્વાર બંધ રાખવાની પરંપરા છે. ગ્રહણ પૂર્ણ થયા બાદ મંદિરનું શુદ્ધિકરણ કરીને ફરી દર્શન માટે ખુલ્લું મુકવામાં આવે છે. તેથી સાંજના સમય દરમિયાન દર્શન ઉપલબ્ધ નહીં હોય.
મંદિર પ્રશાસને જણાવ્યું છે કે ભાવિકો ભીડ ટાળવા માટે વહેલા સમયમાં દર્શન કરે અને નક્કી કરાયેલા સમયપત્રકનું પાલન કરે. ખાસ કરીને ફૂલડોલ ઉત્સવના દિવસે દ્વારકામાં ભારે ભીડ રહેતી હોવાથી સુરક્ષા અને વ્યવસ્થા માટે વિશેષ આયોજન કરવામાં આવશે.
દ્વારકા શહેરમાં પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ અને ભાવિકોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. બહારગામથી આવનારા ભાવિકોને પણ સમયસર દર્શન મળી રહે તે માટે માર્ગદર્શન કેન્દ્રો ઉભા કરવામાં આવશે.
આ રીતે ફૂલડોલ ઉત્સવની ભવ્યતા વચ્ચે ચંદ્રગ્રહણના કારણે દર્શન સમયમાં ફેરફાર કરાયો હોવા છતાં ધાર્મિક વિધિઓ નિયમ મુજબ સંપન્ન થશે. મંદિર પ્રશાસને ભાવિકોને અપીલ કરી છે કે નવા સમય અનુસાર દર્શન કરી સહકાર આપે.
31








