સૂત્રો મુજબ, શરદ પવારનું સ્વાસ્થ્ય હાલમાં સ્થિર છે. જોકે, તેમની વધતી ઉંમર અને તાજેતરના સ્વાસ્થ્ય ઇતિહાસને ધ્યાનમાં રાખીને, તેમને સાવચેતીના પગલા તરીકે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરો તેમના તમામ તબીબી અહેવાલોના પરિણામોની રાહ જોઈ રહ્યા છે.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી શરદચંદ્ર પવાર જૂથના વડા અને મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવારની તબિયત ફરી એકવાર બગાડતાં તેમને મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની પુત્રી અને સંસદ સભ્ય સુપ્રિયા સુળેએ આ માહિતી શૅર કરી. હૉસ્પિટલમાં દાખલ થવાને કારણે, શરદ પવારની આજની બારામતીની મુલાકાત રદ કરવામાં આવી હતી.
ખરેખર શું થયું?
શરદ પવાર બે દિવસ પહેલા દિલ્હીથી પરત ફર્યા હતા અને ત્યારબાદ તેમને બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના હાથમાં ઈજા થતાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે તેમને રજા આપવામાં આવનાર હતી; જોકે, ડૉક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી હોવાથી, તેમને હૉસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. મીડિયા સાથે વાત કરતા, સુપ્રિયા સુળેએ જણાવ્યું હતું કે શરદ પવારને નિયમિત તપાસ અને અનેક મહત્ત્વપૂર્ણ તબીબી પરીક્ષણો માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં વિવિધ પરીક્ષણો ચાલી રહ્યા છે, અને રિપોર્ટ આવ્યા પછી જ તેમના સ્વાસ્થ્યની સ્થિતિ અંગે સ્પષ્ટ અપડેટ ઉપલબ્ધ થશે.
હાલ સ્વાસ્થ્ય સ્થિર, ફક્ત સાવચેતી તરીકે દાખલ
સૂત્રો મુજબ, શરદ પવારનું સ્વાસ્થ્ય હાલમાં સ્થિર છે. જોકે, તેમની વધતી ઉંમર અને તાજેતરના સ્વાસ્થ્ય ઇતિહાસને ધ્યાનમાં રાખીને, તેમને સાવચેતીના પગલા તરીકે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરો તેમના તમામ તબીબી અહેવાલોના પરિણામોની રાહ જોઈ રહ્યા છે, ત્યારબાદ વધુ સારવાર કે રજા અંગે નિર્ણય લેવામાં આવશે.
અગાઉ હૉસ્પિટલમાં દાખલ
ગયા મહિને જ, શરદ પવારની તબિયત વધુ ખરાબ થતાં તેમને પુણેની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા દિવસની સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી અને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. જોકે, હવે તેમને ફરી એકવાર હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. આગાઉ શરદ પવાર જ્યારે પુણેની હૉસ્પિટલમાં દાખલ હતા, ત્યારે હૉસ્પિના મુખ્ય કાર્ડિયોલોજિસ્ટ અને ચૅરમૅન તેમજ મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. પૂર્વેજ ગ્રાન્ટે જણાવ્યું હતું કે પવારની હાલત ગંભીર નહોતી. તેમની સારવાર ડૉ. ગ્રાન્ટ અને કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડૉ. અભિજીત લોઢા દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી હતી.
બારામતીમાં મહત્ત્વની મીટિંગમાં નહીં જાય પવાર
હૉસ્પિટલમાં દાખલ થવાને કારણે, શરદ પવાર તેમના નિર્ધારિત કાર્યક્રમોમાં હાજરી આપી શકશે નહીં. બારામતીમાં યોજાનારી અંતિમ પ્રચાર રૅલીને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. જોકે, સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર, તેઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં.
બારામતી બેઠક માટે ચૂંટણી ક્યારે છે?
બારામતી વિધાનસભા બેઠક માટે મતદાન 23 એપ્રિલે યોજાવાની છે, જ્યારે મતગણતરી 4 મેના રોજ થશે. પવાર પરિવારનો ગઢ ગણાતી, બારામતી બેઠક મહારાષ્ટ્રના સૌથી પ્રતિષ્ઠિત રાજકીય મતવિસ્તારોમાંની એક માનવામાં આવે છે; આ ચૂંટણી હવે રાજકીય વારસો, ભાવનાત્મક બંધનો અને વિકાસ મોડેલ માટે એક અગ્નિ કસોટી બની ગઈ છે.








