Suicide : જામનગર ના કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં ત્રણ માસની માસુમ બાળકી અને પાંચ વર્ષના પુત્ર નો આત્મહત્યાનો પ્રયાસ: જામનગર ના કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં એક વાડીમાં ત્રણ માસની માસુમ બાળકી અને પાંચ વર્ષના પુત્રને કુવામાં ફેંકી દઈ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કરનાર તેણીની જનીતા સામે પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે. જે મહિલા હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ બનાવની વિગતો એવી છે કે કાલાવડ તાલુકાના પીઠડીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પરપ્રાંતીય શ્રમિક બદીયાભાઈ કાનીયાભાઈ પરમાર ની પત્ની ચકુબેને પોતાના બે માસુમ સંતાનો ત્રણ માસની બાળકી અને પાંચ વર્ષના પુત્રને કુવામાં ફેંકી દઇ પોતે પણ કુવામાં ઝંપલાવી દીધું હતું, પરંતુ તેણીને અન્ય લોકોએ બચાવીને બહાર કાઢી લીધી હતી. જે હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસ દ્વારા તેણીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જેમાં પોતે છેલ્લા ત્રણ માસથી ખૂબ જ બીમાર રહેતી હોવાથી પોતાનું જીવવું અશક્ય બની જતાં અને પોતાના વિના સંતાનો પણ જીવી શકે તેમ ન હોવાનું મનમાં વિચારીને પોતાના બંને સંતાનોને કુવામાં ફેંકી દઈ પોતે પણ ઝંપલાવી દીધું હતું. પરંતુ બચી ગઈ હતી.
જે બનાવ મામલે આખરે પોલીસે ચકુબેન સામે પોતાના જ સંતાનોની હત્યા નિપજાવવા અંગે કલમ 302 હેઠળ ગુનો નોંધ્યો છે, અને હાલ તેણી સારવાર હેઠળ હોવાથી પોલીસ જાપતો ગોઠવાયો છે.