Election: જામનગરમાં મતદાર જાગૃતિ અને કેળવણી અંતર્ગત દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૨નું આયોજન કરાયું:જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડૉ. સૌરભ પારઘીએ ક્રિકેટ મેચ નિહાળી દિવ્યાંગ સમુદાયને મતદાન કરવા અપીલ કરી.ગુજરાતમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
ત્યારે વધુમાં વધુ લોકો મતદાન કરવા માટે જાગૃત થાય અને લોકશાહીના અવસરમાં ભાગીદાર થાય તે હેતુથી ચૂંટણીશાખા દ્વારા જામનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જામનગર શહેરના ક્રિકેટ બંગલો ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ડૉ. સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ અને કેળવણી (સ્વીપ) અંતર્ગત દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
દિવ્યાંગ સમુદાયને મતદાન માટે પ્રોત્સાહિત કરવા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ જામનગરની શહેર અને ગ્રામ્ય ટીમ જેમાં જામનગરના ટીમ મેનેજર વિવેકભાઈ મંગીની આશા ટીમ સામે ટીમ મેનેજર બિપિનભાઈની દીપ ટીમ વચ્ચે ૧૦ ઓવરની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આશા ટીમે ટોસ જીતી બેટિંગ કરી હતી. દિવ્યાંગ ખેલાડીઓએ ક્રિકેટ રમી તેમજ સિગ્નેચર કેમ્પેઇન થકી દિવ્યાંગ સમુદાયને મતદાન કરવા જાગૃત કરી લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રી ડૉ. સૌરભ પારઘીએ દિવ્યાંગોને શુભેચ્છાઓ પાઠવી ક્રિકેટ મેચ નિહાળી મતદાન કરવા માટે અપીલ કરી હતી.
મતદાર જાગૃતિના સંદેશ સહ યોજાયેલા આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર શ્રી બી. એન. ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કલ્પના ગઢવી, નોડલ ઓફિસરશ્રી (સ્વીપ) ફોરમ કુબાવત, પ્રાંત અધિકારી શ્રી દર્શન શાહ, આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના પ્રમુખ શ્રી સતાર એમ દરજાદા(અસ્થિવિષયક દિવ્યાંગ), પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી એચ. એમ. વાળા, પીડબલ્યુડી નોડલ ઑફિસરશ્રી ડૉ.ઘનશ્યામ વાઘેલા, મદદનીશ નોડલ ઓફિસરો શ્રી એમ. આર.પટેલ અને આર. જે. શીયાર, વિવિધ દિવ્યાંગ કલ્યાણકારી સંસ્થાઓના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં દિવ્યાંગો લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવાના જાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
