જામનગર તા ૫, જામનગર શહેરમાં આગામી રામ નવમી ના તહેવાર ઉપરાંત આંબેડકર જયંતિ સહિતના જુદા જુદા તહેવારોને અનુલક્ષીને શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તેના ભાગરૂપે જામનગર જિલ્લાના એસ.પી પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

આગામી રામનવમીના તહેવારને લઈને શહેરમાં નીકળનારી રામ સવારી સંદર્ભે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને, અને શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા સંપન્ન થાય, તેના ભાગરૂપે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક બનેલું છે, તેવી જાણકારી આપી હતી, અને તમામ હિન્દુ મુસ્લિમ અગ્રણીઓને તહેવારોને અનુરૂપ જરૂરી સૂચનો કર્યા હતા.
આ વેળાએ તેઓની સાથે જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી. જે. એન. ઝાલા ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા, પોલીસ હેડ ક્વાર્ટરના ડીવાયએસપી વી.કે. પંડ્યા, સીટી એ. ડિવિઝન ના પી.આઈ. એન.એ. ચાવડા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે રામ સવારી ના આયોજન દરમિયાન ડી.જેમ સિસ્ટમ લઈને જોડાનારા ડી.જે. ઓપરેટરની પણ એક અલગથી બેઠક યોજવામાં આવી હતી, અને તેમાં ભગવાન શ્રીરામ ની ધુનોને લગત અને રામધૂન સાથેના ગીતો ભજનો વગાડવા માટેનું જરૂરી- સૂચન કર્યું હતું. તેમ જ કોઈ બિનજરૂરી ગીતો- સંવાદો નહીં વગાડવા તાકીદ કરી હતી.