રાષ્ટ્રીય સમારંભો અને શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના યોગ્ય પ્રયોગ અંગે સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ જો કોઈ કાર્યક્રમમાં બંને રજૂ કરવામાં આવતા હોય તો પહેલા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ અને ત્યારબાદ રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ રજૂ કરવાનું રહેશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રગીત અથવા રાષ્ટ્રગાન વાગે કે ગાવવામાં આવે ત્યારે સૌએ સાવધાન સ્થિતિમાં ઊભા રહેવું ફરજિયાત રહેશે. રાષ્ટ્રીય સન્માન જળવાઈ રહે તે માટે આ નિયમોનું પાલન જરૂરી ગણાવવામાં આવ્યું છે.

શાળાઓ માટે ખાસ સૂચના:
શૈક્ષણિક સંસ્થાઓમાં દિવસની શરૂઆત રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના ગાન સાથે કરવાની સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના અને શિસ્ત વિકસે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
ફિલ્મ દરમિયાન રાષ્ટ્રગીત અંગે સ્પષ્ટતા:
જો કોઈ ફિલ્મના ભાગરૂપે રાષ્ટ્રગીત વાગતું હોય તો દર્શકો માટે ઊભા થવું ફરજિયાત નહીં ગણાય. આ મુદ્દે અગાઉ થયેલા વિવાદોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
ક્યારે વગાડાશે રાષ્ટ્રગીત:
સરકારી માર્ગદર્શિકા મુજબ નીચેના પ્રસંગોએ રાષ્ટ્રગીત વગાડી શકાય છે –
• નાગરિક સન્માન સમારોહ દરમિયાન
• રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલના સત્તાવાર આગમન અને વિદાય સમયે
• પરેડ દરમિયાન રાષ્ટ્રીય ધ્વજને લાવવામાં આવે ત્યારે
• દૂરદર્શન અને આકાશવાણી પર રાષ્ટ્રપતિના સંબોધન પહેલા અને પછી
સરકારે જણાવ્યું છે કે રાષ્ટ્રીય પ્રતિકો પ્રત્યે માન અને સંવેદના જળવાઈ રહે તે માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જરૂરી હતી. આ સૂચનાઓના અમલથી કાર્યક્રમોમાં એકરૂપતા રહેશે અને ગેરસમજ દૂર થશે.
આ રીતે હવે રાષ્ટ્રીય કાર્યક્રમો, શાળાઓ અને સત્તાવાર સમારંભોમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના પ્રયોગ અંગે સ્પષ્ટતા આવી ગઈ છે.
26









