દ્વારકાનાં વાચ્છુ ગામે શ્રી પંચમુખી હનુમાનજી નૂતન મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા, હનુમાન ચરિત્ર કથા, મહા પ્રસાદ અને સાહિત્ય લોક ડાયરા જેવા વિવિધ ધાર્મિક આયોજનો કરાયા.
ધારાસભ્ય પબુભા માણેક અને માણેક પરિવારનાં આ ધાર્મિક આયોજનને ઓખામંડળ બારાડી ની ધર્મ પ્રેમી જનતાએ મનભરીને માણ્યો. શ્રી હનુમાન જન્મ જયંતિ નાં પાવન અવસરે વાચ્છુ ગામે બદ્રિનાથધામના સંત બાલક યોગેશ્વર દાસજીની વિશેષ ઉપસ્થિતિમાં ૪ દિવસ સુધી ધાર્મિક પ્રસંગો ઉજવાયા.

શ્રી પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિની બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાનથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.
આ પ્રસંગે સંતો,મહંતો, રાજકીય આગેવાનો, વિવિધ જ્ઞાતિના વડીલો, ક્ષત્રિય વાઘેર સમાજ અને ઓખા મંડળની અબાલ વૃદ્ધ સૌ કોઈ એ પોતાની હાજરી આપીને પ્રસંગને દીપાવ્યો હતો.
પ્રથમ દિવસે હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયા બાદ હનુમાન ચરિત્ર કથાનું દરરોજ આયોજન કરવામાં આવ્યું હતું. ચરિત્ર કથાનાં વિરામનાં દિવસે રાત્રે ૧૦ વાગે હનુમાનજી મંદિરનાં વિશાળ પટાંગણમાં ભવ્ય અને સુંદર સાહિત્ય લોક ડાયરા નું આયોજન કરાયું હતું. આ લોક ડાયરામાં ઓખા મંડળનાં પસંદિદા લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને અનુભા ગઢવી ની જોડીએ દર્શકોને પોતાની આગવી શૈલી અને સંગીતનાં તાલે સાહિત્ય અને વીર રસની વાતોથી મંત્ર મુગ્ધ કર્યા હતા.
આ લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો, ખાસ કરીને આમંત્રિત મહેમાનો અને પબુભા ના પુત્રો ઉપરાંત પબુભા પોતે પણ સાહિત્ય કલાકારો ઉપર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. વિશેષમાં આ લોક ડાયરામાં ડોલરનો વરસાદ પણ કરવામાં આવ્યો હતો.
આ લોક ડાયરામાં ઓખા મંડળ અને બારાડી પંથકના સંગીત સાહિત્યનાં શોખીનો ઉમટી પડ્યા હતા.
