જસદણ – ૧ જુલાઈ, ૨૦૨૫
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ સંકલ્પને અનુરૂપ ગુજરાત સરકાર રાજ્યના ઐતિહાસિક ધાર્મિક સ્થળોની જાળવણી અને આધુનિકીકરણ માટે સતત કાર્યરત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ઐતિહાસિક શૌર્યના પ્રતીક સમા ‘ઘેલા સોમનાથ મહાદેવ મંદિર’નો પણ નવીન વિકાસ થવાની દિશામાં રાજ્ય સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે.
રાજ્યના પવિત્ર યાત્રાધામોના કાયાકલ્પ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ ભવ્ય અને ભાવનાત્મક યાત્રાધામ ખાતે અંદાજે ૧૦ કરોડ રૂપિયા ખર્ચે આધુનિક સુવિધાઓ અને સાંસ્કૃતિક સમૃદ્ધિના સંગમરૂપે એક વિશાળ વિકાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
ઘેલા સોમનાથ મંદિર – ઐતિહાસિક ગૌરવની ઓળખ
સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના સોમપિપલિયા નજીક આવેલું ઘેલા સોમનાથ મહાદેવ મંદિર માત્ર ધાર્મિક મહત્ત્વ જ નહીં, પણ ઐતિહાસિક શૌર્યનું પ્રતીક પણ છે. કહેવાય છે કે મોગલ આક્રમણકારીઓ સામે ધર્મની રક્ષા માટે અહીં શિવલિંગ બચાવવા માટે અનેક શૂરવીરો શહીદ થયા હતા. રાજ્ય સરકારે આ શૌર્યગાથાને સમર્પિત મંદિરની ગૌરવયાત્રાને વધુ તેજ આપતી નવીન યોજના અમલમાં મૂકી છે.
લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો – ઈતિહાસ થશે જીવંત
આ યોજના અંતર્ગત અંદાજે રૂ. ૪ કરોડના ખર્ચે આધુનિક લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થશે, જે ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના ઈતિહાસ, શૌર્યગાથા અને ધાર્મિક મહત્ત્વને શ્રદ્ધાળુઓ સમક્ષ જીવંત બનાવશે. આ કાર્ય માટે કન્સલ્ટન્ટની નિમણૂક થઈ ચુકી છે અને કામગીરી પણ શરૂ થઈ ગઈ છે.
ગુજરાતના અમૂલ્ય યાત્રાધામો જેમ કે સોમનાથ, અંબાજી વગેરે સ્થળોએ લેઝર શો થકી શ્રદ્ધાળુઓને આકર્ષે છે, તેવી જ રીતે હવે ઘેલા સોમનાથ મંદિર પણ આ શ્રેણીમાં શામેલ થવાનું છે.
આધુનિકતાની સાથે સંસ્કૃતિનો સંગમ – વિવિધ સુવિધાઓનો ઉમેરો
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના માર્ગદર્શન હેઠળ જે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે તેમાં નીચેના મુખ્ય મુદ્દાઓ સામેલ છે:
-
મંદિરનો કાયાકલ્પ અને રીનોવેશન
જેમાં મુખ્ય દ્વાર, યજ્ઞશાળા, સમાધિ સ્થળ, બેસવાની વ્યવસ્થા, paved માર્ગો, લેન્ડસ્કેપિંગ, બગીચા, શહીદ સ્મારક વગેરેનો સમાવેશ થશે. -
શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ
જેમ કે મહિલા-પુરુષ સ્નાન ઘાટ, ચેન્જિંગ રૂમ, પાર્કિંગ સુવિધા, મંદિરથી ઘાટ સુધી પાથવે, શોપિંગ સેન્ટર વગેરે ઊભું કરાશે. -
શિવ શિલ્પો અને ચિત્ર પેઇન્ટિંગ
રેમ્પના બંને બાજુઓ પર શિવજીના વિવિધ સ્વરૂપો દર્શાવતા શિલ્પો તથા પથ્થરની કમાનો અને દિવાલો પર શણગારાત્મક ચિત્રપટો ઉભા કરાશે. -
માર્બલ કલેડિંગ અને ગર્ભગૃહનું સુંદરીકરણ
મંદિરના આંતરિક ભાગમાં ગુણવત્તાવાળું માર્બલ અને પથ્થર દ્વારા કંગરા, પલિન્થ સહિતના ભાગોનું ક્લેડિંગ કરાશે. -
શોપિંગ માટે દુકાનો
યાત્રાળુઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી મંદિરના બંને બાજુ દુકાનો બનાવાશે.
જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાની વિશેષ ભૂમિકા
ઘેલા સોમનાથ મહાદેવ જે વિધાનસભા મત વિસ્તારમાં આવે છે તે જસદણના ધારાસભ્ય તથા રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા મંદિરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. તેમના સહયોગ અને આગ્રહથી આ પ્રોજેક્ટે ઝડપી ગતિ પકડી છે અને ટૂંક સમયમાં તે ધરાતળ પર જોવા મળશે.
વારસાની સંભાળ સાથે આવતીકાલનું યાત્રાધામ
આ પ્રોજેક્ટ માત્ર ધર્મસ્થળનો રીનોવેશન નથી, પણ એક સંસ્કૃતિના પ્રતિબિંબને જીવંત રાખવાનો યત્ન છે. ઘેલા સોમનાથ મહાદેવ મંદિર આજે શ્રદ્ધાનો કેન્દ્ર છે, તો આવતીકાલે આધુનિક ટેક્નોલોજી, વિશ્વસ્તરિય સુવિધાઓ અને ઐતિહાસિક ગૌરવના સમન્વયથી એક આધુનિક યાત્રાધામ રૂપે ઉભરશે.
મંદિર વિકાસની આ યાત્રા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની દ્રષ્ટિ – “વિકાસ ભી, વિરાસત ભી” – ને સફળતા પૂર્વક રાજ્યના મૂળમાં ઉતારતી સ્પષ્ટ છબી રજૂ કરે છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની આ પહેલ, માત્ર રાજ્ય નહિ પણ સમગ્ર રાષ્ટ્રીય વારસાને જીવંત રાખવાનો સુંદર ઉદાહરણ બની રહેશે.
INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/
FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો
