અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ”નો કૃષિ મંત્રીના હસ્તે શુભારંભ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારની કૃષિ, બાગાયત અને પશુપાલન સંબંધિત તમામ યોજનાઓનો અમલ અને સહાય ચૂકવણું આઈ-ખેડૂત પોર્ટલના માધ્યમથી થઈ રહ્યું છે. જેના પરિણામે ખેડૂતોને અનેક કૃષિલક્ષી યોજનાઓના લાભ ઘરે બેઠા, આંગળીના ટેરવે જ મળી રહ્યા છે. ખેડૂતો માટેના આ મહત્વપૂર્ણ “આઈ-ખેડૂત પોર્ટલ”ને નવીન ટેકનોલોજીના સહારે હવે વધુ અદ્યતન અને સુવિધાયુક્ત બનાવવામાં આવ્યું છે. આજે કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે નવીન “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ”નો ગાંધીનગર ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યો છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ”નો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારના નાગરિકોને સરળતાથી સરકારી સેવા અને યોજનાકીય લાભો મહત્તમ રીતે મળી રહે એ જ સુશાસન છે. એટલા માટે જ, ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪માં શરૂ કરેલું “આઈ-ખેડૂત પોર્ટલ” એ સુદ્રઢ સુશાસનિક વ્યવસ્થાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ટેકનોલોજીના કાર્યક્ષમ ઉપયોગથી ખેડૂતોને સંપૂર્ણ પારદર્શિતા, સરળતા અને ઝડપથી વિવિધ કૃષિલક્ષી યોજનાના લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારે આઈ-ખેડૂત પોર્ટલનો નવતર અભિગમ અપનાવ્યો હતો.

મંત્રી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, આઈ-ખેડૂત પોર્ટલ શરુ થયું ત્યારથી અત્યાર સુધીમાં ૪૧ લાખથી વધુ ખેડૂતોએ કુલ રૂ. ૭,૬૭૦ કરોડથી વધુના યોજનાકીય લાભો આઈ-ખેડૂત પોર્ટલ મારફત મેળવ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ હવે ખેડૂતોને સરકાર સુધી અને સરકારને ખેડૂતો સુધી પહોંચવા માટેનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયું છે. ત્યારે, સમયની માંગ અને આઈ-ખેડૂત પોર્ટલ બાબતે ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઈ નવીન ટેકનોલોજી આધારિત “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ” વિકસાવવામાં આવ્યું છે.

https://youtu.be/Fb3xDdugV6U

વર્ષ ૨૦૨૫-૨૬ માટે કૃષિ વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો અરજી કરી શકે તે હેતુથી આ નવીન આઈ-ખેડૂત પોર્ટલ તા. ૨૪ અપ્રિલ,૨૦૨૫ થી આગામી તા. ૧૫ મે,૨૦૨૫ સુધી, એમ કુલ ૨૨ દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેમાં અત્યારે ખેતીવાડી વિભાગના ૪૫ ઘટક અને બાગાયત વિભાગના ૫૦ ઘટક માટે અરજી મેળવવામાં આવશે. પશુપાલન વિભાગ માટે પણ પોર્ટલ ટૂંક સમયમાં ખુલ્લું મૂકવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ વેળાએ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું હતું કે, નવીન આઈ-ખેડૂત ૨.0 પોર્ટલનો પ્રારંભ થતા કૃષિ વિભાગની યોજનાઓમાં હવે વધુ પારદર્શિતા જળવાશે. ખેડૂતોને વધુ સુવિધાયુક્ત સેવાઓ મળે અને નાના-નાના કામો માટે ધક્કા ન ખાવા પડે તે હેતુથી નવીન પોર્ટલમાં અનેકવિધ સુધારાઓ કરવામાં આવ્યા છે. મહત્તમ ખેડૂતોને યોજનાકીય સહાય મળે તે માટે હવેથી નવીન પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા-તાલુકા કક્ષાએથી ડ્રો કરીને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે અને પૂર્વ મંજૂરી આપવામાં આવશે.

આ શુભારંભ પ્રસંગે ખેતી નિયામક પ્રકાશ રબારીએ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કરીને આઈ-ખેડૂત ૨.0 પોર્ટલની ઝીણવટભરી તમામ માહિતી પૂરી પાડી હતી. બાગાયત નિયામક એચ. કે. ચાવડા, ખેતીવાડી અને બાગાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ, વર્ચ્યુઅલ માધ્યમથી ખેતી, બાગાયત અને પશુપાલન કચેરીના અધિકારી-કર્મચારીઓ, ગ્રામસેવકો, VCE તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા.

https://samaysandeshnews.in/૨૫-એપ્રિલ-વિશ્વ-મેલેરિયા/

૨૫ એપ્રિલ : વિશ્વ મેલેરિયા દિવસ: મેલેરિયામુક્ત જિલ્લો બનવા તરફ અમદાવાદના આગેકદમ

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજય સરકારે મેલેરિયા નાબૂદી અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૭ સુધી જિલ્લામાં મેલેરિયાના કેસ સ્થાનિક કક્ષાએ શૂન્ય સુધી લઇ જવા તથા વર્ષ ૨૦૩૦ સુધીમાં મેલેરિયા રોગનું નિર્મૂલન કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. આ લક્ષ્યાંક અંતર્ગત અમદાવાદ જિલ્લામાં વાહકજન્ય રોગ સામે તમામ અટકાયતી પગલાં ભરરવામાં આવી રહ્યાં છે, જેના પરિણામે અમદાવાદ જિલ્લામાં છેલ્લાં પાંચ વર્ષની પરિસ્થિતિ જોતાં મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

 

અમદાવાદ જિલ્લા પંચાયત સંલગ્ન જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા મેલેરિયા શાખા દ્વારા મેલેરિયા નાબૂદી અભિયાન અંતર્ગત ખાસ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્લાન હેઠળ વિવિધ તાલુકા આરોગ્ય કચેરીઓ,

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રોના સંયુક્ત પ્રયાસોથી વર્ષ ૨૦૨૭ સુધીમાં અમદાવાદ જિલ્લામાં મેલેરિયાના ૦ (શૂન્ય) કેસનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ લક્ષ્યાંકની પૂર્તિ માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે તે પછીના ત્રણ વર્ષ દરમિયાન જિલ્લાને મેલેરિયામુક્તિ તરફ લઈ જવાનો પણ ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.

અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૧૯ દરમિયાન ૫૮ કેસ, ૨૦૨૦માં ૨૦ કેસ, ૨૦૨૧માં ૫ કેસ, ૨૦૨૨માં ૫ કેસ, ૨૦૨૩માં ૨ કેસ અને ૨૦૨૪માં ૬ મેલેરિયા પોઝિટિવ કેસ નોંધાયા હતા. એટલું જ નહીં, ચાલું વર્ષે મેલેરિયાના એક પણ કેસ અત્યારસુધીમાં નોંધાયો નથી. આમ, વર્ષ ૨૦૨૧થી મેલેરિયાના કેસો સિંગલ ડિઝિટમાં નોંધાઇ રહ્યા છે. સતત ત્રણ વર્ષથી નેગેટિવ ગામો તથા સતત ત્રણ વર્ષથી પોઝિટિવ ગામોમાં નિયમિત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લાં ૫ વર્ષમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કારણે એક પણ મૃત્યુ થયેલું નથી‌, એ મોટી સિદ્ધિ છે.

https://youtu.be/yzPPywu5Tkw

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના સુપરવિઝન હેઠળ અમદાવાદ જિલ્લાને મેલેરિયા મુક્તિ તરફ લઈ જવા ખાસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. પાછલા વર્ષોમાં જે તાલુકા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં મેલેરિયાના કેસ નોંધાયા હતા ત્યાં વર્ષ ૨૦૨૭ સુધી મેલેરિયા પોઝિટિવ ૦ કેસ કરવા સઘન સર્વેલન્સ સહિતના આદેશ આપવામાં આવ્યા છે.

વર્ષ ૨૦૩૦ સુધી અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા તમામ વિસ્તારોને મેલેરિયામુક્ત રાખવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જે લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સઘન સર્વેલન્સ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે, તેમ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું.

મચ્છર ઉત્પત્તિ સ્થાનોની નિયમિત ચકાસણી થકી મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો

તમામ ગામોમાં ફિવર સર્વેલન્સ, પોરાનાશક કામગીરી, ફોગિંગ કામગીરી, આઇ.ઇ.સી. પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અમદાવાદ જિલ્લામાં ટ્રાન્સમિશન સીઝન પહેલા માર્ચ, એપ્રિલ, મે માસમાં તમામ ગામોમાં એક માસમાં બે રાઉન્ડ એવા કુલ ૬ રાઉન્ડ સર્વેલન્સ અને પોરાનાશક કામગીરીના હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લાની તમામ જી.આઇ.ડી.સી., એસ.ટી. ડેપો, ટાયર પંકચરની દુકાન, તમામ સરકારી સંસ્થા, શાળામાં મચ્છર ઉત્પત્તિ સ્થાનોની નિયમિત ચકાસણી કરવામાં આવે છે. પ્રાઇવેટ હોસ્પિટલ અને પ્રાઇવેટ લેબોરેટરીની નિયમિત મુલાકાત કરવામાં આવે છે. મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનીયા જેવા વાહકજન્ય રોગોની માહિતી મેળવી તમામ કેસોમાં રોગ અટકાયતી પગલાં હાથ ધરવામાં આવે છે, જેના પરિણામે અમદાવાદ જિલ્લામાં મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે
મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધવા AI આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ

https://samaysandeshnews.in/મુખ્યમંત્રીશ્રી-ભૂપેન્-2/

AI આધારિત ડ્રોન ટેકનોલોજીની મદદથી મચ્છર ઉત્પત્તિસ્થાનો શોધવા અને લાર્વીસાઇડ છંટકાવ બાબતની કામગીરીનો પ્રોજેકટ અમદાવાદ જિલ્લાના ચાંગોદર GIDC અને સાણંદ GIDCના સનાથલ, નવાપુરા, ચાંગોદર, મોરૈયા, ચા.વાસણા, બોળ, શિયાવાડા, છારોડી વિસ્તારોમાં વર્ષ ૨૦૨૪માં નવેમ્બરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટના ઉપયોગ થકી ૫૪૧ જેટલા મચ્છર ઉત્પત્તિ સ્થાનો જોવા મળ્યા હતા અને તમામને નોટિસ પણ આપવામાં આવી છે. ઉક્ત GIDC વિસ્તારમાં ડ્રોનથી દવા છંટકાવ બાદ અત્યાર સુધી વાહકજન્ય રોગનો એકપણ કેસ બન્યો નથી. અત્યારે ચાલુ વર્ષે મેલેરિયાનો એકપણ કેસ નથી અને આ શૂન્ય કેસને જાળવી રાખવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

AI આધારિત ડ્રોન ટેકનોલોજીની મદદથી મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધવા અને લાર્વીસાઇડ છંટકાવ બાબતને લઇને અમદાવાદ જિલ્લા મલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડને ગ્રીપ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.

વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મહેસાણાના આખજ ખાતે રાજ્યકક્ષાના રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્ષ કાર્યક્રમ યોજાયો
મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂપિયા 27.22 કરોડથી વધુના ખર્ચે વિવિધ જિલ્લાઓની ગ્રામ પંચાયતોમાં 172 વિકાસલક્ષી કામોનું ઈ-લોકર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરાયું.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા માટે બે મિનિટનું મૌન પાળી શોકાંજલિ પાઠવી

મુખ્યમંત્રીશ્રી

પંચાયતી રાજ વ્યવસ્થાના અસરકારક અમલથી અમૃતકાળને પંચાયતી રાજ વિકાસનો સુવર્ણકાળ બનાવીએ

વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌએ સહભાગી થવું પડશે

વડાપ્રધાનશ્રીએ આપેલા નવ સંકલ્પોના અમલ પર મુખ્યમંત્રીશ્રીએ ભાર મૂક્યો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ મુખ્યમંત્રીશ્રી સહિત ઉપસ્થિત સૌએ નિહાળ્યું

મહેસાણા, ૨૪ એપ્રિલ ૨૦૨૫, ગુરૂવાર

મહેસાણા જિલ્લાના આખજ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્ષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રૂપિયા 27.22 કરોડથી વધુના ખર્ચે વિવિધ જિલ્લાઓની ગ્રામ પંચાયતોમાં 172 વિકાસલક્ષી કામોનું ઈ-લોકર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ

https://youtu.be/7P4NjzFlP78

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ કાર્યક્રમમાં પોતાના સંબોધનની શરૂઆત કરતા પહેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે બે મિનિટનું મૌન પાળી શોકાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીની સાથે કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત તમામે પોતાના સ્થાન પર ઊભા રહીને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે છેવાડાનો માનવી મુખ્ય પ્રવાહમાં કેવી રીતે ભળી શકે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હર હંમેશ પ્રયત્નશીલ છે અને રાજ્ય સરકાર પણ ગ્રામ્ય સ્તર સુધી વિકાસ પહોંચે તે માટે સતત કામ કરી રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌએ સહભાગી થવું પડશે. આ માટે વડાપ્રધાનશ્રીએ આપેલા નવ સંકલ્પોના અમલ પર મુખ્યમંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો. જે મુજબ ‘કેચ ધ રેઈન વોટર ‘ અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ કરવો, ‘એક પેડ માઁ કે નામ ‘ અંતર્ગત વૃક્ષારોપણ કરવું, ‘ સ્વચ્છતા મિશન’ અંતર્ગત લોકોએ સ્વચ્છતા જાળવવી, ‘ વોકલ ફોર લોકલ થકી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું, ‘ ભારત દર્શન’ થકી દેશના પ્રવાસન સ્થળોની મુલાકાત કરવી,’ પ્રાકૃતિક ખેતી દ્વારા રસાયણ મુક્ત ખેતી અપનાવવી , ‘ મેદસ્વિતા મુક્ત ભારત અંતર્ગત આરોગ્યપ્રદ જીવનશૈલીનુ પાલન કરવું અને બને તેટલી ગરીબોની મદદ કરી તેઓના જીવનને સુધારવામાં ભાગીદાર બનવા તત્પર રહેવું જોઈએ.

https://youtube.com/shorts/jefdQSyLziU?feature=share

વધુમાં પંચાયતી રાજ વ્યવસ્થાના અસરકારક અમલથી આ અમૃતકાળને પંચાયતી રાજ વિકાસનો સુવર્ણકાળ બનાવીએ તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

પંચાયતી રાજ દિવસના કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન દરમિયાન આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,”વિકાસ સંકલ્પને સાકાર કરી ગામડાને સમૃદ્ધ અને મજબૂત કરવા સરકારને સહયોગ આપીએ. શહેરના વિકાસ અને નાગરિકોના માઈગ્રન્ટ વચ્ચે ગામડાની આન બાન શાન જળવાઈ રહે સરકાર તેવા પ્રયત્નો કરે છે. ઘર આંગણે ઈ-ગ્રામ દ્વારા ગ્રામ્યસ્તરે વિવિધ યોજનાઓના લાભ આપવાની વ્યવસ્થા ઊભી થઈ છે, ત્યારે ગ્રામ વિકાસની આગેવાની સરપંચોએ કરવાની છે એમ આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે,” પંચાયત દિવસ એ જાગૃતિ ફેલાવવાનો દિવસ છે. ગ્રામસભાના માધ્યમથી ગ્રામજનોની રજૂઆતો, સમસ્યાઓ, પ્રશ્નો, ફરિયાદોનો નિકાલ કરવા પ્રયત્ન કરાય અને માળખાકીય અને પ્રાથમિક સુવિધાઓ ગ્રામ્ય સ્તરે મળે. ગ્રામ્ય અને શહેરના તમામ લોકો વિકસિત બને તેવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ સાથે રાજ્ય સરકાર તેમના નકશે કદમ પર ચાલી રહી છે ત્યારે માત્ર એક દિવસ નહીં પરંતુ સમગ્ર વર્ષ પંચાયત દિવસ બને એવા પ્રયત્નો કરીએ. આ પ્રસંગે તેમણે ગામડાઓમાં ગ્રામસભા કરવાનો સંદેશો ગામમાં ચરિતાર્થ કરશો એવો અનુરોધ પણ કર્યો હતો.

આ પ્રસંગે રાજ્ય કક્ષાના પંચાયત મંત્રીશ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, ૨૪ મી એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, એક એવો દિવસ છે જે ગામડાની લોકશાહીની ઉજવણીનો દિવસ છે, જનતાના સશક્તિકરણનો દિવસ છે અને ગ્રામ સ્વરાજના સપનાને સાકાર કરવાની દિશામાં પગલાં ભરવાનો સંકલ્પ દિન છે. ૭૩ મા સંવિધાન સુધારા દ્વારા ૧૯૯૩ માં પંચાયતી રાજ વ્યવસ્થાને બંધારણીય સ્થાન મળ્યું. તેમજ તેના થકી ગ્રામ પંચાયતોને સ્થાનિક શાસનનો અધિકાર મળ્યો.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આજે ભારત સરકાર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓનું સારી રીતે અમલીકરણ થઇ રહયું છે જેને કારણે ગ્રામ પંચાયત વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ જેમ કે રસ્તા, પાણી, સ્વચ્છતા બાબતે ગુજરાતની ગ્રામ પંચાયતો દેશભરમાં મોડલ રૂપ બની છે. ગ્રામ પંચાયત વિસ્તારો સુવિકસિત થવાના કારણે આજે શહેરો જેવી સુવિધાઓ ગામડામાં મળતી થઇ છે.

https://samaysandeshnews.in/કાશ્મીરના-પહેલગામમાં-આતં/     

આ કાર્યક્રમમાં મધુબની બિહાર ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ મુખ્યમંત્રીશ્રી સહિત ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, ધારાસભ્ય સર્વે શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી સુખાજી ઠાકોર, શ્રી કે. કે .પટેલ, શ્રી સરદારભાઈ ચૌધરી, ડો. સી .જે. ચાવડા, અગ્રણી શ્રી ગીરીશભાઈ રાજગોર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી કલ્પનાબેન પટેલ, પંચાયત વિભાગ સચિવશ્રી મનીષા ચંદ્રા, વિકાસ કમિશનરશ્રી એચ .કે. કોયા, અધિક વિકાસ કમિશનર શ્રી ગૌરવ દહીંયા, જિલ્લા કલેકટરશ્રી એસ. કે .પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો.હસરત જૈસમીન તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા..

પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતાં યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુ:ખદ અવસાન થયું છે.

તેમના મૃતદેહને ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક સંતૃપ્ત પરિવારજનોને ઘરે જઈ પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં પિતા-પુત્રના મૃતદેહોને ઈન્ડિગોની ફ્લાઈટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદથી રોડ માર્ગે બન્ને મૃતદેહને મધ્યરાત્રીએ ભાવનગર લવાયા હતા.

મુખ્યમંત્રીની સાથે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્યો સર્વ જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા, ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનોજકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, રેન્જ આઇ.જી ગૌતમ પરમાર સહિતના અગ્રણીઓએ મૃતક પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ દુ:ખની ઘડીમાં સહભાગી બન્યા હતા.

કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોને આમ આદમી પાર્ટી – સુરત દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

વરાછા રોડ બરોડા પ્રિસ્ટેજથી કાપોદ્રા સુધી કેન્ડલ માર્ચ કાઢી મૃતકોને અંજલિ આપવામાં આવી

આવા આતંકી કૃત્યો કરનારાઓ સામે સરકાર ગંભીર પગલાં લે : ‘આપ’ પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક

કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર આતંકી કૃત્યો કરનારાઓનો સફાયો કરવામાં આવે : વિપક્ષ નેતા પાયલ સાકરીયા

ગૃહમંત્રીની સરેઆમ નિષ્ફળતાને લીધે નિર્દોષોના ભોગ લેવાયા : રજનીકાંત વાઘાણી

ગતરોજ કાશ્મીરના પહેલગામ ખાતે ત્રણ ગુજરાતી પર્યટકો સહીત અનેક લોકોના આતંકવાદી હુમલામાં મૃત્યું થયા હતાં, જેના પરિણામ સ્વરૂપ આજે સુરત ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વરાછા રોડ ખાતે બરોડા પ્રિસ્ટેજથી કાપોદ્રા ખાતે રેલમાં વિશાળ માત્રામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, તમામ કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહીને કેન્ડલ માર્ચ કાઢી હતી.

આ બાબતે આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ ધડુકે જણાવ્યું હતું કે, પહેલગામ ખાતે આતંકવાદી હુમલાનો ભોગ બનેલ સૌને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને તેમના પરિવારજનોને આમ આદમી પાર્ટી સાંત્વના પાઠવે છે. આ દુઃખની ઘડીમાં આમ આદમી પાર્ટી મૃતકોના પરિવારની સાથે ખડેપગે ઉભી છે. આવા આતંકી કૃત્યો કરનાર કોઈ પણ હોય, તેને પકડી કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી આમ આદમી પાર્ટીની માંગ છે.

આ મુદ્દે વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ પોતાની ઉગ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો. ભારતમાં ઘુસીને આપણા નાગરિકોનો જીવ લેનાર કોઈને પણ છોડવા ન જોઈએ. સરકારને અપીલ કરીએ છીએ કે નિર્દોષોને મોતને ઘાટ ઉતારનાર આવા જે કોઈ તત્વો હોય તેને પકડી તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આતંકવાદીઓનો સફાયો થવો જોઈએ તેવી અમારી માંગ છે.

‘આપ’ સુરત લોકસભા પ્રભારી રજનીકાંત વાઘાણીએ પણ પોતાના એક વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે, આતંકવાદનો સફાયો કરવામાં અમે સરકારની સાથે છીએ. આવા કૃત્યો કરનાર સામે સરકાર જે કોઈ આકરા પગલાં લેશે તેને અમે સમર્થન આપીશું. રજનીકાંત વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ આતંકી હુમલો ગૃહમંત્રાલયની ખામી દર્શાવે છે. દેશના ગૃહમંત્રીને નાગરિકોના રક્ષણ કરતા વધારે વિપક્ષને કેવીરીતે ડરાવવા ધમકાવવા, કઈ રીતે વિપક્ષના સાંસદો ધારાસભ્યોને ખરીદવા એ બધામાં જ રસ છે. ગૃહ મંત્રીની પણ સરેઆમ નિષ્ફળતાને લીધે નિર્દોષોના ભોગ લેવાયા તેવું સ્પષ્ટ શબ્દોમાં રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું.