અમદાવાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. ભારતીય સેનાના સાહસ, શૌર્ય અને પરાક્રમ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવતી તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી થયા સહભાગી*
ભારતીય સેનાના અપ્રતિમ સાહસ, શૌર્ય અને પરાક્રમ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવવા દેશભરમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં અમદાવાદના સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.
તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે નળ સરોવર ચોકડીથી એકલિંગજી રોડ પર આવેલા મહારાણા પ્રતાપ સ્ટેચ્યૂ સુધી પદયાત્રા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ યુવાનો અને ગ્રામજનોના ઉત્સાહને આવકાર્યો હતો.
તિરંગા યાત્રામાં અમદાવાદ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના શિક્ષકો તથા અધિકારીઓ/કર્મચારીઓ ૬૮૦ મીટર લાંબા ધ્વજ સાથે જોડાયા હતા. આ ઉપરાંત,
મોટી સંખ્યામાં સાણંદ અને આસપાસના વિસ્તારોના પ્રજાજનો, સામાજિક અને રાજકીય અગ્રણીઓએ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થઈને ભારત માતાના જયઘોષથી વાતાવરણને જીવંત બનાવ્યું હતું તથા ભારતીય સેનાના સાહસ અને શૌર્યને વધાવ્યું હતું.
તિરંગા યાત્રામાં સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ધંધૂકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા, જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, રાજકીય અગ્રણી શૈલેષભાઈ દાવડા, હર્ષદગિરિ ગોસ્વામી, જિલ્લા અને તાલુકા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર, સ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહના વરદ હસ્તે ગાંધીનગર શહેર અને જિલ્લામાં અંદાજે રૂ. ૭૦૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં અંદાજે રૂ. ૭૦૮ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં કોલવડા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રૂ. ૨૦૦.૯૪ કરોડના ખર્ચે વિવિધ લોકાર્પણ તેમજ રૂ. ૩૫૨.૭૬ કરોડના ખર્ચે ખાતમુહુર્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રૂ. ૪૫.૭૦ કરોડ તેમજ ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રૂ. રૂ.૧૦૭.૮૫ કરોડના ખર્ચે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
આ લોકાર્પણ – ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત કુલ રૂ. ૮.૯૧ કરોડના ખર્ચે બાસણ, પાલજ અને પોર ખાતે આર.સી.સી. અને સી.સી. રોડનું લોકાર્પણ, રૂ. ૫.૪૩ કરોડના ખર્ચે વાવોલ તથા પેથાપુર ખાતે પી.એચ.સી. સેન્ટર, રૂ. ૧૫.૦૨ કરોડના ખર્ચે અંબાપુર, વાવોલ અને કોલવડા ખાતે તળાવ, રૂ. ૪.૧૯ કરોડના ખર્ચે કોટેશ્વર, જુના કોબા અને નવા કોબા ખાતે ગાર્ડન, રૂ. ૪.૬૮ કરોડના ખર્ચે ચ-૦ થી ઘ-૦ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ જગ્યાએ કરવામાં આવેલ લેન્ડસ્કેપીંગ, રૂ. ૪.૯૮ કરોડના ખર્ચે સેક્ટર-૧૩,૨૪,૨૯, ઇન્દ્રોડા અને બાસણ ખાતે સ્કૂલો, રૂ. ૭૫.૦૮ કરોડના ખર્ચે બોરીજ, અંબાપુર, વાવોલ, રાંદેસણ, કોલવડા, સરગાસણ અને ટી.પી. વિસ્તારમાં પાણીની લાઈન અને ગટરની લાઈ, રૂ. ૩૦.૯૭ કરોડના ખર્ચે ભાટ ખાતે 1 STP, રૂ. ૭.૯૭ કરોડના ખર્ચે સરગાસણ ખાતે નવીન ફાયર સ્ટેશન, રૂ. ૧૬.૪૫ કરોડના ખર્ચે ચ-રોડ પર સેક્ટર-૨૧થી ૨૨ ને જોડતા રસ્તા ઉપર અન્ડરપાસ, રૂ. ૧૦.૯૦ કરોડના ખર્ચે સરગાસણ કેનાલની બંને બાજુએ ડેવલપ કરેલ રોડ, રૂ. ૫.૧૭ કરોડના ખર્ચે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ અને સોલાર પેનલ તેમજ રૂ. ૧૧.૧૯ કરોડના ખર્ચે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એમ્બ્યુલન્સ, સ્પોર્ટસ કીટ, સેન્ટ્રલ લેબોરેટરી, સ્ટોર બિલ્ડીંગ જેવી સુવિધાઓ સહિત રૂ. ૨૦૦.૯૪ કરોડના ખર્ચે વિવિધ લોકાર્પણ કરવામાં આવ્યા હતા.
તેવી જ રીતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ. ૨૬.૫૭ કરોડના ખર્ચે ખોરજ, જુના તેમજ નવા કોબા, સરગાસણ, કોલવડા, વાવોલ, પેથાપુર અને રાંધેજા ખાતે આર.સી.સી. અને સી.સી. રોડનું ખાતમુહુર્ત, રૂ. ૧૦ કરોડના ખર્ચે સેક્ટર-૭,૨૧,૨૨,૨૩, ધોળાકુવા, બોરીજ અને ઇન્દ્રોડા ખાતે પી.એચ.સી. સેન્ટર, રૂ. ૪.૨૫ કરોડના ખર્ચે સેક્ટર-૪ ખાતે તળાવ, રૂ. ૫૦.૨૩ કરોડના ખર્ચે કોલવડા, નભોઈ, પેથાપુર, વાવોલ અને સરગાસણ ખાતે પાણીની લાઈન અને ગટરની લાઈન, રૂ. ૭૭.૫૮ કરોડના ખર્ચે ઝુંડાલ, ભાટ, કોટેશ્વર, અમિયાપુર,સુઘડ તથા સેક્ટર-૧ થી ૩૦ વિસ્તાર તથા ટી.પી.૨૩૮,૨૩૯ અને ૮૦ ખાતે વરસાદી પાણીની (સ્ટ્રોમ વોટર લાઈન) લાઈન, રૂ. ૩૫.૬૮ કરોડના ખર્ચે કોલવડા, રાયસણ તેમજ નભોઈ ખાતે ૩ STP, રૂ. ૪૧.૪૩ કરોડના ખર્ચે કુડાસણ તથા ક-૭ ખાતે ૨ નવીન ઝોનલ ઓફીસનું તથા કુલ રૂપિયા ૦.૮૫ કરોડના ખર્ચે ESRU બિલ્ડીંગ, રૂ. ૩.૪૦ કરોડના ખર્ચે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારની હાલની કાર્યરત આંગણવાડીઓને થીમ આધારિત અદ્યતન ટેકનોલોજીથી સજ્જ રીનોવેશન કામ, રૂ. ૪.૧૪ કરોડના ખર્ચે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર શૌચાલયો, રૂ. ૨૬.૮૨ કરોડના ખર્ચે કુડાસણ,અમિયાપુર અને પોર ખાતે ટાઉનહોલ, કોમ્યુનિટી હોલ તેમજ પાર્ટી પ્લોટ, રૂ. ૧૭.૮૯ કરોડના ખર્ચે ઇન્દ્રોડા ખાતે ગુજરાત દર્શન પાર્ક, રૂ. ૧૨.૫૫ કરોડના ખર્ચે પોર, અમિયાપુર, બાસણ ખાતે ટ્યુબવેલ તથા ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નવીન રીચાર્જવેલ, રૂ. ૯.૯૨ કરોડના ખર્ચે ટી.પી.૦૯ ખાતે નવીન પી.એમ. ઈ-બસ ડેપો, રૂ. ૧.૩૮ કરોડના ખર્ચે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ જગ્યાએ ચીપ ટાઈપ શોપિંગ, રૂ. ૦.૮૪ કરોડના ખર્ચે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ જગ્યાએ બોક્ષ ક્રિકેટ, રૂ. ૧૩.૨૯ કરોડના ખર્ચે પાલજ ખાતે કોતરનું રી-મોડલિંગ, રૂ. ૧૫.૯૪ કરોડના ખર્ચે સેક્ટર-૧ થી ૩૦ માં વિવિધ જગ્યાએ કમ્પાઉન્ડ વોલ સહિત કુલ રૂ. ૩૫૨.૭૬ કરોડના ખર્ચે ખાતમુહુર્ત કરવામાં આવ્યા હતા.
https://www.instagram.com/samay__sandesh/
આ ઉપરાંત ગૃહમંત્રીએ ગાંધીનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રૂ. ૪૫.૭૦ કરોડના ખર્ચે કુલ ૧૬ કામોનું ઇ-લોકાર્પણ તથા ખાતમુહુર્ત તેમજ ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રૂ. ૮.૦૨ કરોડના ખર્ચે સરઢવ, પીપળજ, ઉવારસદ, શેરથા, પુન્દ્રાસણ, શાહપુર, લેકાવાડા તથા આલમપુર ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ડ્રેનેજનું લોકાર્પણ સહિત કુલ રૂ.૧૦૭.૮૫ કરોડના ખર્ચે લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યા હતા.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ભારતીય પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓનો પાંચ લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે લાભ આપવામાં આવ્યો હતો.
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.
ગાંધીનગર, સાયબર ક્રાઇમ સમગ્ર વિશ્વમાં એક પડકારરૂપ બની રહ્યો છે ત્યારે દેશમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે સાયબર ક્રાઇમ અટકાવવા તેમજ સાયબર ક્રાઇમ કરતા ગુનેગારોને પકડવા મક્કમતાથી કાર્યવાહી થઇ રહી છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ રોકવા અવેરનેસ ઝુંબેશની સાથે સાથે અધ્યતન સંસાધનો અને તજજ્ઞ અધિકારીઓની ટીમની મદદથી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. આ બજેટમાં કરોડો રૂપિયાના ખર્ચે હાઇટેક સાયબર એક્સલેન્સ સેન્ટર તૈયાર કરવા પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
છેલ્લા 15 દિવસમાં રાજ્યના ચાર મહાનગરો – અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમો તથા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે 12 મહત્વના કેસો ઉકેલીને ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા ગુનાઓ આચરનારા ભેજાબાજોને ઝડપી પાડ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ સફળતા બદલ ગુજરાત પોલીસની તમામ ટીમો અને તેમને માર્ગદર્શન આપનાર અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે.
*અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા*
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 16 મે 2025ના રોજ કમ્બોડિયા અને નેપાળથી સંચાલિત ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના 6 સભ્યો – મનન ગોસ્વામી, રાહુલ યાદવ, આરીફ સૈયદ, ગૌતમ ઉર્ફે માર્કો, ચિરાગ ઢોલા અને યશ યાદવને ઝડપી પાડ્યા. આ ગેંગે પ્રણય ભાવસાર નામના વ્યક્તિનું ICICI બેંક ખાતું હેક કરી, રૂ. 48.85 લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આરોપીઓએ પ્રણયને નેપાળની હોટેલમાં 6 દિવસ ગોંધી રાખી, ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ટેલિગ્રામ ટાસ્ક ફ્રોડ જેવા ગુનાઓ આચર્યા હતા. ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ અમદાવાદ અને સુરતથી પકડાયા. આ ખાતાઓ સામે NCCRP પોર્ટલ પર 200થી વધુ ફરિયાદો નોંધાઈ છે.
14 મે 2025ના રોજ અન્ય એક કેસમાં, ડિજિટલ એરેસ્ટ દ્વારા રૂ. 14.94 લાખની છેતરપિંડી કરનાર જનક ભાલાળા અને ભાવેશ બોરડને સુરતથી ઝડપાયા. આરોપીઓએ ફરિયાદી મહિલાને મુંબઈ સાયબર ક્રાઇમ ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપી, ડ્રગ્સના પાર્સલનું બહાનું કરી ડિજિટલ એરેસ્ટ કરી હતી. તે ઉપરાંત અન્ય એક કેસમાં આરોપી દીલીપ જાગાણી (ઉ.વ. 33, અમદાવાદ) સાયબર ફ્રોડ અને છેતરપિંડીના 7 ગુનાઓમાં સંડોવાયેલો છે, જેમાં ડિજિટલ એરેસ્ટ, ખોટા દસ્તાવેજો અને ઠગાઈનો સમાવેશ થાય છે. તે બેંક ખાતાઓ મેળવી, ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરી, નેપાળમાં કંબોડિયન-ચાઈનીઝ નાગરિકો સાથે હેરફેર કરતો હતો. તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
*સુરત સાયબર ક્રાઇમ સેલની કાર્યવાહી*
02/05/2025ના રોજ દુબઇથી સાયબર ફ્રોડ આચરતી ગેંગના આરોપી અનિલભાઇ ખેની (ઉ.વ. 35, રહે. સુરત)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યો, જેણે POS મશીન દ્વારા દિરહામ ઉપાડી ફ્રોડ કર્યું. 4 મોબાઇલ, 5 ડેબિટ કાર્ડ, 12 સિમકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો. તે ઉપરાંત 07/05/2025ના રોજ ફોરેક્સ ટ્રેડિંગની લોભામણી ઓફર આપી રૂ. 9,30,700ની ઠગાઈ કરનાર રાહુલ ચૌધરી (ઉ.વ. 28, રહે. વાપી)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યો. તેણે ઇન્સ્ટાગ્રામ દ્વારા બનાવટી એપમાં રોકાણ કરાવી છેતરપિંડી કરી હતી.
15/05/2025ના રોજ વિમા કંપનીના નામે ખોટી પોલીસી લેવડાવી રૂ. 98,85,000ની ઠગાઈ કરનાર અમીતકુમાર અને સુમીતકુમાર ઠાકુર (દિલ્હી)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યા. જેમણે ફોન/ઇમેઇલ દ્વારા ખોટી માહિતી આપી છેતરપિંડી કરી હતી. અન્ય કેસમાં 16/05/2025ના રોજ 90 વર્ષના સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 1,15,50,000ની ઠગાઈ કરનાર પાર્થ ગોપાણી (ઉ.વ. 22, નેપાળ)ને લખનૌ એરપોર્ટથી ઝડપ્યો. તેણે CBI/EDની ખોટી ઓળખ આપી ફ્રોડ કર્યું હતુ. જ્યારે 16/05/2025ના રોજ સિનિયર સિટિઝનને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 22,00,400ની ઠગાઈ કરનાર કૃણાલસિંહ સિસોદીયા (ઉ.વ. 21, રહે. અમદાવાદ)ને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપ્યો. CBI અધિકારીની ખોટી ઓળખ આપી વિડિયો કોલ દ્વારા ફ્રોડ કર્યું.
*રાજકોટ સાયબર ક્રાઇમ ટીમની સફળતા* રાજકોટ સાયબર ક્રાઇમ ટીમે 3 મે 2025ના રોજ રઘુવીરસિંહ ચૌહાણને ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પરથી પકડ્યો, જેણે બનાવટી પ્રોફાઇલ બનાવી નાણાંની છેતરપિંડી કરી હતી. તે ઉપરાંત 2 મે 2025ના રોજ, 9 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો વિરુદ્ધ ઓનલાઈન ગેમ્બલિંગ વેબસાઇટ્સના પ્રમોશન બદલ કાર્યવાહી કરવામાં આવી. *વડોદરા સાયબર ક્રાઇમ પોલીસની કામગીરી* વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે મે 2025 સુધી રૂ. 2.71 કરોડના ફ્રોડમાંથી રૂ. 1.01 કરોડ રિફંડ કરાવ્યા. એક કેસમાં, રૂ. 23 લાખના ડિજિટલ એરેસ્ટ ફ્રોડનો આરોપી પુણેથી પકડાયો, જેણે 15થી વધુ બેંક ખાતાઓ દ્વારા રૂ. 50 લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. વડોદરામાં હસમન ગુપ્તાની ફરિયાદ પર, BOSIPTV અને IPTV દ્વારા ગેરકાયદે સ્ટ્રીમિંગ સેવા પૂરી પાડનાર આરોપીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરાઈ, જેનાથી ભારતીય ચેનલોને આવકનું નુકસાન થયું હતું.
ગુજરાત પોલીસની આ સફળતા ટેક્નોલોજી અને સમર્પણનું પરિણામ છે. ગુજરાત સરકાર સાયબર ક્રાઇમ સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કામ કરી રહી છે. આ કાર્યવાહીઓથી ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ સામેની લડાઈમાં નવો આયામ સ્થાપિત કર્યો છે.
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.
ગુજરાતમાં છેલ્લા અઢી દાયકામાં નિર્મિત કરવામાં આવ્યા રાજ્યના ઇતિહાસ, વારસો અને સંસ્કૃતિની જાળવણી કરતા
ગાંધીનગર, મ્યુઝિયમ એટલે એવું સ્થળ કે જ્યાં સંબંધિત દેશ કે રાજ્યની ઐતિહાસિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને કલાત્મક મહત્વ ધરાવતી વિવિધ ચીજવસ્તુઓને એકત્રિત કરીને લોકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવે છે, જે લોકો માટે શૈક્ષણિક અને જ્ઞાનવર્ધક સ્થળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યુઝિયમની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું છે કે, “મ્યુઝિયમ હકીકતો અને પુરાવાઓ આધારિત વાસ્તવિકતા રજૂ કરે છે. તે આપણને ભૂતકાળમાંથી પ્રેરણા પૂરી પાડે છે, અને ભવિષ્ય પ્રત્યેની આપણી ફરજો પ્રત્યે આપણને સભાન કરે છે.” તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 2 દાયકામાં ગુજરાતમાં વિવિધ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે રાજ્યના ઇતિહાસ અને સંસ્કૃતિને વિશ્વના લોકો સમક્ષ ઉજાગર કરે છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના વડનગર ખાતે ભારતના સૌપ્રથમ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે પ્રાચીનતમ વડનગર શહેરનો ભવ્ય ઇતિહાસ પ્રદર્શિત કરે છે.
ઉલ્લેખનીય છે કે, 18 મે નો દિવસ ‘ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે’ તરીકે ઊજવવામાં આવે છે, જેની વર્ષ 2025 માટેની થીમ છે ‘ધ ફ્યુચર ઑફ મ્યુઝિયમ્સ ઇન રેપિડલી ચેન્જિંગ કોમ્યુનિટીઝ’ એટલે કે, ઝડપથી બદલાઈ રહેલા સમુદાયોમાં મ્યુઝિયમનું ભવિષ્ય. આ થીમ એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે, મ્યુઝિયમ કેવી રીતે સામાજિક, તકનીકી અને પર્યાવરણીય બદલાવોમાંથી પસાર થઈ રહેલા વિશ્વમાં અનુકૂલન સાધી શકે છે, નવીનીકરણ કરી શકે છે અને યોગદાન આપી શકે છે. ગુજરાતમાં છેલ્લા 2 દાયકામાં નિર્મિત કરવામાં આવેલા કેટલાંક વિશિષ્ટ અને પ્રખ્યાત મ્યુઝિયમ વિશે માહિતી મેળવીએ.
વડનગર ખાતે ભારતનું પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ
વડનગર ખાતે નવનિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ ભારતનું આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે, જેનો ઉદ્દેશ અહીં ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા પુરાતત્વીય પદાર્થો મારફતે વડનગરના બહુસ્તરીય સાંસ્કૃતિક ઇતિહાસને ઉજાગર કરવાનો અને 2500 વર્ષોથી પણ વધુ સમયથી આ શહેરમાં થતી રહેલી માનવ ઉત્ક્રાંતિને પ્રદર્શિત કરવાનો છે. આ મ્યુઝિયમ 13,525 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે, જે પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળેલી અંદાજિત 7000થી વધુ કલાકૃતિઓને પ્રદર્શિત કરે છે. મ્યુઝિયમમાં વિવિધ સમયગાળાની, કલાઓ, શિલ્પો અને આ વિસ્તારની ભાષાને પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરીઓ બનાવવામાં આવી છે.
ગુજરાતમાં 2001માં આવેલા ભૂકંપ દરમિયાન કચ્છમાં જીવ ગુમાવનારા નાગરિકોની સ્મૃતિમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. 470 એકર વિસ્તારમાં ફેલાયેલા સ્મૃતિવનમાં વિશાળ મિયાવાકી જંગલ આવેલું છે. અહીંયા 50 ચેકડેમ છે, અને શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી ચેકડેમની દીવાલો પર મૂકવામાં આવી છે. અહીં 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી ભૂકંપની પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા સ્મૃતિવનને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે
ભુજનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક
દાંડી કુટિર, ગાંધીનગર
ગાંધીનગરમાં સ્થિત દાંડી કુટિર એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન પર આધારિત ભારતનું પ્રથમ હાઇટેક અને અત્યાધુનિક મ્યુઝિયમ છે. દાંડી કુટિર એ 41 મીટરનો શંકુ આકારનો સફેદ ગુંબજ છે, જે મીઠાના ઢગલાનું પ્રતીક છે. આ ગુંબજ બ્રિટિશ શાસન દ્વારા લાદવામાં આવેલા મીઠાના કરની સામે વિરોધ પ્રદર્શિત કરવા ગાંધીજીએ 1930માં જે દાંડીકૂચ કરી હતી, તેના પ્રતીકરૂપે ઊભો છે. દાંડી કુટિરમાં ગાંધીજીના જન્મથી મૃત્યુ સુધીના દરેક વૃત્તાંતોને તકનીકી માધ્યમથી દર્શાવવામાં આવ્યા છે. અહીંયા મુલાકાતીઓ 3D મેપિંગ, હોલોગ્રાફી, 360 ડિગ્રી પ્રોજેક્શન અને પારદર્શક LED સ્ક્રીન જેવી ટેકનોલોજી થકી ગાંધીજીનું જીવનચરિત્ર નિહાળી શકે છે.
દાંડી કુટિર
શ્યામજીકૃષ્ણ વર્મા મેમોરિયલ
કચ્છના માંડવીમાં જન્મેલા ભારતના મહાન ક્રાંતિકારી શ્યામજીકૃષ્ણ વર્માના અસ્થિકળશ જિનિવાથી સ્વદેશ લાવ્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ માંડવી ખાતે વર્ષ 2010માં શ્યામજીકૃષ્ણ વર્મા મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ક્રાંતિતીર્થમાં આઝાદીની લડતના 1857થી 1947 સુધીના 90 વર્ષની ઐતિહાસિક પ્રમુખ ઘટનાઓની તવારીખ અને ક્રાંતિકારી દેશભકતોના સચિત્ર સમર્પણની ગાથા પ્રસ્તુત કરવામાં આવી છે. શ્યામજીકૃષ્ણ વર્માએ સશસ્ત્ર ક્રાંતિથી આઝાદી મેળવવાના સંકલ્પ તરીકે લંડનમાં જે ઇન્ડિયા હાઉસ ઊભું કર્યું હતું, તેની પ્રતિકૃતિ પણ અહીં સ્મારક તરીકે મૂકવામાં આવી છે.
શ્યામજીકૃષ્ણ વર્મા મેમોરિયલ
સ્ટેચ્યૂ ઑફ યુનિટી મ્યુઝિયમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’નું લોકાર્પણ કર્યું હતું. સ્ટેચ્યૂ ઑફ યુનિટી પ્રોજેક્ટના ભાગરૂપે 2018માં સ્ટેચ્યુ ઑફ યુનિટી મ્યુઝિયમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમ અને એક્ઝિબિશન હોલ સરદાર સાહેબની વિશાળ પ્રતિમાના નીચેના ભાગમાં સ્થિત છે, જ્યાં ઑડિઓ-વિઝ્યુઅલ પ્રદર્શનો, હોલોગ્રામ અને ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો છે. આ ઉપરાંત, આ મ્યુઝિયમમાં આદિવાસી સંસ્કૃતિ અને પ્રાદેશિક વારસા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
શ્રીસ્થળ સંગ્રહાલય, સિદ્ધપુર
શ્રીસ્થળ સંગ્રહાલય, સિદ્ધપુર
શ્રીસ્થળ સંગ્રહાલય પાટણના સિદ્ધપુરમાં બિંદુ સરોવર સંકુલની નજીક આવેલું છે અને તે સામાન્ય લોકો માટે સિદ્ધપુર મ્યુઝિયમ અથવા બિંદુ સરોવર મ્યુઝિયમ તરીકે જાણીતું છે. વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રાજ્યના તત્કાલીન પ્રવાસન મંત્રીશ્રીએ આ સંગ્રહાલયના નિર્માણની દરખાસ્ત કરી હતી અને 2017માં આ મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમ સિદ્ધપુરના વૈભવી ઇતિહાસને પ્રદર્શિત કરે છે. આ મ્યુઝિયમમાં ત્રણ ગેલેરીઓ છે, જેમાં તીર્થ ગેલેરી, ઇતિહાસ ગેલેરી અને સમાજ ગેલેરીનો સમાવેશ થાય છે.
આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ
નિર્માણાધીન લોથલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ના વિઝનને સાકાર કરવા માટે લોથલ ખાતે ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’નું નિર્માણ થઈ રહ્યું છે. પાંચ હજાર વર્ષ પહેલાં ભારત કેવી સભ્યતા ધરાવતું રાષ્ટ્ર હતું, કેવી રીતે વૈશ્વિક વ્યાપાર કરાતો હતો, તેનું જીવંત નિદર્શન આ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં કરવામાં આવશે. મ્યુઝિયમમાં હડપ્પન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી ઉજાગર કરવા માટે લોથલ મિની રિક્રિએશન ઉપરાંત ‘મેમોરિયલ થીમ પાર્ક’, ‘મેરિટાઇમ અને નેવી થીમ પાર્ક’, ‘ક્લાઇમેટ થીમ પાર્ક’ ‘તેમજ એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક’ જેવા ચાર થીમ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. હડપ્પીય સમયથી આજ સુધીના ભારતના સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી 14 ગેલેરીઓ તેમજ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ સમુદ્રી વારસાને પ્રદર્શિત કરતું કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન પણ અહીં રાખવામાં આવશે.
આગામી સમયમાં ગુજરાતમાં નિર્માણ થનાર સૂચિત સંગ્રહાલયો
આગામી સમયમાં કેટલાક વિશિષ્ટ મ્યુઝિયમોનું ગુજરાતમાં નિર્માણ થશે. આ સૂચિત મ્યુઝિયમો નીચે મુજબ છે.
આ ઉપરાંત, રાજ્ય સરકાર જૂના મ્યુઝિયમોને અપડેટ કરીને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરના મ્યુઝિયમોમાં પરિવર્તિત કરવા માટે પણ કામ કરી રહી છે. સાપુતારા ખાતે ટ્રાયબલ મ્યુઝિયમ તેમજ પાટણમાં સ્થિત મ્યુઝિયમ કે જેને રાજમાતા નાયિકાદેવી સંગ્રહાલય નામ આપવામાં આવ્યું છે, તેને અપડેટ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી, રાજકીય સંગ્રહાલય, જૂનાગઢ, તેમજ વોટસન મ્યુઝિયમ, રાજકોટને આંતરરાષ્ટ્રીય સ્તરના મ્યુઝિયમો બનાવવા માટેની કામગીરી પ્રગતિ હેઠળ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત પોતાના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવા તેમજ તેને વિશ્વના લોકો સમક્ષ ઉજાગર કરવા માટે પ્રતિબદ્ધ છે.
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.
જામનગર તા.૧૭ મે, જામનગર જીલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્યોશ્રી મેઘજીભાઈ ચાવડા તથા હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરવામાં આવેલ લોક પ્રશ્નો અને રજૂઆતો ધ્યાને લઇ આયોજનબદ્ધ કામગીરી કરવા કલેકટરશ્રીએ લગત અધિકારીશ્રીઓને સુચના આપી હતી.
આ બેઠકમાં અગાઉના પડતર પશ્નો અંગે ચર્ચા કરી બેઠકમાં રજુ થયેલા વિવિધ વિભાગોને લગત પ્રશ્નો જેમાં જમીન માપણી અંગેના પ્રશ્નો, વીજ વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવા અંગે, રોડ રસ્તાઓ તથા બ્રીજ બનાવવાના કામો અને તેનું હાલનું સ્ટેટ્સ, સિંચાઈ વિભાગ,બી.એસ.એન.એલ., જી.એસ.આર.ટી.સી., જમીન શાખા, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની કચેરીને લગત પ્રશ્ન, જમીન શાખા, ફોજદારી શાખા, જીલ્લા પંચાયતને લગત પ્રશ્નો, વન વિભાગ, ખાણ ખનીજ વિભાગ, કોર્પોરેશન વગેરેને લગત પ્રશ્નો અને લોકોની રજુઆતો અંગે જન પ્રતિનિધિશ્રીઓએ ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સંકલન સમિતિના સભ્યોને સૂચન કરતા જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિશ્રીઓ તથા લોકો તરફથી આવેલી રજુઆતો ધ્યાને લઇ કામોને અગ્રતા આપી તેનો સકારાત્મક દિશામાં ઉકેલ લાવવામાં આવે. તેમજ પડતર કામોનો ઝડપથી નિકાલ લાવવા જણાવ્યુ હતું. આ બેઠકમાં રાશનકાર્ડ ઈ-કેવાયસી, પ્રિ-મોન્સુન કામગીરી અંગે લગત વિભાગોએ એક્શન પ્લાન તૈયાર કરવા વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, જીલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલું, નાયબ વન સંરક્ષકશ્રી ડૉ.સુનીલ કુમાર બેરવાલ, નિવાસી અધિક કલેકટરશ્રી બી.એન.ખેર સહિત સંકલન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.
કચ્છીજનોની ખુમારી અને ભૂકંપ બાદ વડાપ્રધાનના વિઝનથી કચ્છના સર્વાંગી વિકાસને બિરદાવતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ
ભુજ: કચ્છની મુલાકાતે પધારેલા દેશના સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહે ભુજના સ્મૃતિવન મ્યૂઝિયમ એન્ડ મેમોરિયલની મુલાકાત લઈને ભૂકંપના દિવંતગોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને ભૂકંપના દિવંગતોની યાદમાં નિર્મિત સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત દરમિયાન ભારતના સંરક્ષણ મંત્રીએ જીવસૃષ્ટિની ઉત્પતિ, માનવજીવનો ક્રમિક વિકાસ, દુનિયાની ઉત્પત્તિથી માંડીને કુદરતી આપદાઓ, આફતો સામેની ભવિષ્યની તૈયારીઓ વિશેની વિગતો મેળવી હતી. આ ઉપરાંત ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતીના વિવિધ ચાર્ટ, મોડેલ નિહાળીને સંરક્ષણ મંત્રી પ્રભાવિત થયા હતા.
સ્મૃતિવનની મુલાકાત બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આકાર પામેલું સ્મૃતિવન મ્યૂઝિયમ ભૂકંપના દિવંગતોને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. સ્મૃતિવન મ્યૂઝિયમ આજે માત્ર દેશ જ નહીં પણ દુનિયા માટે ગૌરવ બન્યું છે. વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિથી નિર્માણ પામેલા સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત જરૂરથી લેવા દરેક દેશવાસીઓને આગ્રહ કરતાં સંરક્ષણ મંત્રીએ ઉમેર્યું હતું કે, કચ્છ અને ગુજરાતના લોકોની પ્રબળ ઈચ્છા શક્તિના દર્શન સ્મૃતિવન મ્યૂઝિયમના માધ્યમથી થાય છે. સંરક્ષણ મંત્રીએ દેશના તમામ નાગરિકોને ગૌરવ સમાન સ્મૃતિવન મ્યૂઝિયમની મુલાકાત લેવા જાહેર અપીલ કરી હતી.
સ્મૃતિવન મ્યૂઝિયમમાં વિશેષ સિમ્યુલેટરની મદદથી ભૂકંપ આવે ત્યારે નિર્માણ થતી પરિસ્થિતિનો વાસ્તવિક ખ્યાલ સંરક્ષણ મંત્રીએ મેળવ્યો હતો. કચ્છના લોકોની ખુમારી અને ભૂકંપ બાદ વડાપ્રધાનના વિઝનથી કચ્છના સર્વાંગી વિકાસને સંરક્ષણ મંત્રીએ બિરદાવ્યો હતો. ધીરજ, અવિરત હિંમતની માનવકથાઓ તેમજ ભૂકંપની આપદામાં બચી ગયેલા લોકોના સંસ્મરણોની ગાથાઓ વિશે જાણીને કચ્છીજનોના ધૈર્ય અને હિંમતની સંરક્ષણ મંત્રીએ પ્રસંશા કરી હતી.
પરિવારે પાટણ SP ને લેખિત રજુઆત કરી ન્યાયની કરી માંગ …ન્યાય નહીં મળે તો પરિવાર સમાજના આગેવાનો સાથે એસપી કચેરીએ ભૂખ હડતાર પર ઉતરવાની તૈયારી બતાવી
પાટણ : રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી આવી સામે
મરી જઈસુ પણ ન્યાય લઈ જમ્પીશુ, પરીવાર ની ચીમકી..!!!
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આસ્થા હોસ્પિટલ નો વિવાદ ચરમ સીમાએ જોવા મળી રહ્યો છે. રાધનપુરનાં કલ્યાણપુરા ગામના મહિલા દર્દીના પરિજનો હવે પાટણ સુધી પહોંચી ન્યાય મેળવવા તંત્ર પાસે રજુઆત કરતા જોવા મળી રહ્યા છે.રાધનપુરની આસ્થા હોસ્પિટલ બેદરકારીનો મામલો હાલ સમગ્ર પંથકમાં ગરમાયો છે ત્યારે પરિવાર પણ ન્યાય માટે પોલીસ બેડામા FIR નોંધાવવાની તજવીજ ને લઈને દોડતો રહ્યો છે અને આખરે સમગ્ર કેસ બાબતે હવે પરિવારજનો પણ ન્યાયને લઈને પાટણ SPને રજુઆત કરવા પહોંચ્યા હતા.
મહત્વનું છે કે રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામની પ્રસુતા ઠાકોર પાર્વતીબેનની સારવાર ચાલુ હતી. પ્રસુતા ને વારંવાર પેટમાં દુખાવાની ફરિયાદ રહેતી હોવા છતાં ડોક્ટરે સામાન્ય સારવાર કરી સંતોશ માન્યો હતો.જોકે પ્રસુતાને અન્ય હોસ્પિટલ મા લઇ જતા પેટમાં ગાંઠ થઈ હોવાનું ખુલ્યું હતું.અને પ્રસુતાના ગર્ભમાં રહેલા બાળકનું પણ મૃત્યુ થયું હતું.જેને પગલે ડોકટર ની બેદરકારી ને કારણે ગર્ભમા રહેલા બાળકનું મોત થયું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.એટલું જ નહીં પરંતુ આ ઘટનામાં તબીબ રાજકીય વગ ધરાવતા હોવાથી પોલીસ પણ ફરિયાદ લેતી ન હોવાના પરિવારે આરોપ લગાવ્યા હતા.જોકે પરિવારે પોલીસ વડાને લેખિત અરજી કરતા તપાસ શરુ કરાઈ છે
રાઘનપુર ની આસ્થા હોસ્પિટલ પર બેદરકારી ના આક્ષેપ મહિલા દર્દીના પરિજનો દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે હાલ સમગ્ર મામલે પીડિતા નાં પરિવારે SP ને રજુઆત કરી રાધનપુર સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ FIR નોંધાવવા અને બેદરકારી દાખવતા તબીબ સામે કાયદેસરની કાર્યવાહી ની માંગ કરી હતી.મહત્વનું છે કે રાધનપુર ની આસ્થા હોસ્પિટલના ડોક્ટર દેવજી પટેલ પર બેદરકારી ના ગંભીર આરોપ લાગ્યા છે. ત્યારે ડોક્ટર ની બેદરકારી ને લઈ ડોક્ટર પર ફરિયાદ ની પરિવારજનો માગ કરી રહ્યા છે.
રાઘનપુર ના કલ્યાણપુરા ગામની પ્રસુતા પાર્વતીબેન ઠાકોરે બાળકનો જીવ ખોયો છે.ત્યારે મહિલા દર્દી નાં પિતા દેવાભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ન્યાય ની લડાઈ ચાલુ રહેશે અને જરૂર જણાશે તો સમગ્ર પરિવાર ઠાકોર સમાજના આગેવાનો સાથે પાટણ એસપી કચેરીએ ભૂખ હડતાળ પર ઉતરશે તેવી પરિવારે ચીમકી આપી છે તેમજ વધુમા દેવાભાઈ એ જણાવતા કહ્યું હતું કે મરી જઈસુ પણ ન્યાય લઈ જમ્પી શુ ત્યારે સમગ્ર મામલે હાલ પરિવારજનો પણ ન્યાય માટે અડગ જોવા મળી રહ્યા છે અને સતત આ તબીબ સામે FIR નોંધી ફરિયાદનાં આધારે કાયદેસર ની કાર્યવાહી કરી ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે.
રાધનપુર નાં કલ્યાણપુર ગામની મહિલા દર્દી સાથેના બનાવને લઈને પરિવારે ન્યાયની માગ સાથે પાટણ એસપી કચેરીએ પહોંચી રજુઆત કરી હતી.ત્યારે પાટણ પોલીસ દ્વારા પરિવાર ને હૈયા ઘારણા આપતા જણાવ્યું હતું કે જો આસ્થા હોસ્પિટલની બેદરકારી હશે તો મેડિકલ એડવાઈજરી બોર્ડ ને રજુઆત કરાશે તેમજ મેડિકલ એડવાજરી બોર્ડ ના રિપોર્ટ બાદ દોષિત સામે ફરિયાદ કરવામાં આવશે તેવું જણાવ્યું હોવાની વિગત જાણવા મળી રહી છે.તેમજ હાલ રાઘનપુર પોલીસે દીકરીના પિતાની લેખિત મા અરજી સ્વીકારી તપાસ હાથ ઘરી છે.
આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.