વિસાવદરના વિછાવડ ગામના સરપંચ પેશકદમી કરતા ગેરલાયક ઠરાવતા ડીડીઓ

વિસાવદરતા.વિસાવદર તાલુકાના વિછાવડ ગામના સરપંચને ડીડીઓ દ્વારા સસ્પેડ કરાતા તાલુકા ભરમાં ચકચાર મચી ગયેલ છે.
આ અંગેની વિગત એવા પ્રકારની છે કે વિસાવદર તાલુકાના વિછાવડ ગામના સરપંચ સંજયભાઈ વજુભાઇ નલિયાધરાએ તેમની ચૂંટણીના ફોર્મમાં એકરાર નામાં જે મિલકત દર્શાવેલ હતી તે મિલકતમાં તેઓ રહેતા ન હતા અને તે મિલકતનો કબજો બીજા વ્યક્તિ પાસે હતો અને સરપંચ ગ્રામ પંચાયતની જમીનમાં જ પેશકદમી કરી મકાન બનાવી રહેતા હોય આ બાબતની હકીકત સબધે રજુઆત કરતા તેઓને સાંભળવા જરૂરી તકો આપવા છતાં તેઓ તરફથી કોઈ રજુઆત ન કરાતા રેકર્ડ ઉપરના પુરાવા ધ્યાને લઇ જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન સાહેબે આ સરપંચને તેમના સરપંચ તરીકેના હોદા ઉપરથી દૂર કરી ઉપસરપંચને ચાર્જ આપવા હુકમ કરતા ફફડાટ મચી ગયેલ છે.

YouTube player

અને વિસાવદર તાલુકાના અન્ય સરપંચો દ્વારા પણ પંચાયતની જમીનમાં પેશકદમી કરેલ હોય તથા અન્ય લોકોની પેશકદમી હોય તે જાણવા છતાં દૂર કરાવતા ન હોય તેવા સરપંચ સામે પણ ટુક સમયમાં કાર્યવાહી થનાર હોવાની વાતો વહેતી થતા તાલુકામાં ફફડાટ મચી ગયેલ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્યમાં સુશાસન અને સરળીકરણ માટે કલ્યાણકારી મહેસુલી નિર્ણયો

સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય તથા નગરપાલિકા વિસ્તારની ખેતી હેતુ માટે ધારણ કરેલ નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવેથી જૂની શરતની ગણાશે

બીન ખેતી પ્રક્રિયામાં જમીનધારકને જમીનનું મહેસુલી પ્રમાણપત્ર ઝડપથી આપવાનો અભિગમ, ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે

રાજ્યમાં ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ મંજૂર તથા પ્રિમિયમની અને એન.એ.ની પરવાનગી કાર્યવાહીમાં વધુ સરળીકરણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ખેડૂતો, સામાન્ય નાગરિકો અને મધ્યમવર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. રાજ્યમાં મહેસુલી પ્રક્રિયામાં સરળીકરણ, સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના આ નિર્ણયોથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર, ધંધા-રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળશે.

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારના સફળ સુશાસનમાં સિટિઝન સેન્ટ્રિક આ નિર્ણયોથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધુ લોકોપયોગી બનાવી શકાશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયોની ભૂમિકા આપતાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ખેતીના હેતુ માટે ધારણ કરેલ નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનના વેચાણ, તબદીલી તથા હેતુફેર/ શરતફેરના કિસ્સાઓમાં સંબંધિત કલેક્ટર કે યથા પ્રસંગ સરકારની નક્કી કરેલ શરતોને આધીન પૂર્વમંજૂરી લેવાની પ્રથા હાલ અમલમાં છે. ઉપરાંત આવી જમીનો શરતફેર કરવાના સમયે ખેડૂતોને જરૂરી પ્રિમિયમ પણ ભરવાનું રહે છે.

મુખ્યમંત્રીશ્રીએ આવા કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે. તે અનુસાર રાજ્યની મહાનગરપાલિકાઓ, શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર, જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી, અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તાપ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણાશે.

આના પરિણામે ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રિમિયમમાંથી મુક્તિ મળશે અને આવી જમીનો અંગે જે તે મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે (suo-motu) નોંધ પાડવાની રહેશે.

પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ ક્રાંતિકારી નિર્ણયોના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને જમીનની ખરીદી, વેચાણ તબદીલી માટે શરતફેરની વહીવટી પ્રક્રિયા ખૂબ જ સરળ બનશે. બિનખેતી હેતુ માટે પ્રિમિયમને પાત્ર જમીનો ઉપર ઉદ્યોગ, ધંધા,વેપાર સ્થાપવા માટે જૂનીશરતમાં ફેરવવાની જરૂર નહીં રહેવાના કારણે ઔદ્યોગિકરણ તથા વિકાસને વેગ મળશે, રોજગારી તથા રાજ્યનો જી.ડી.પી. પણ વધશે. નાના ખેડૂતો કે જમીન ધારકોના જીવન ધોરણમાં સુધારો થશે અને જમીનધારકોને વેચાણ સમયે પૂરતું મૂલ્ય મળશે. તથા સરકારી કચેરીઓમાં પ્રિમિયમ ભરવા જવામાંથી મુક્તિ મળશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં રાજ્યના મહેસૂલ વિભાગે બિનખેતી પ્રક્રિયામાં સરળીકરણ માટે મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્રની જોગવાઈ પણ કરી છે.

પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે કહ્યુ કે, વિકાસને વેગવંતો બનાવવા રાજ્ય સરકારે લોકાભિમુખ વહીવટની પરંપરાને આગળ ધપાવીને મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર આપવાની જે વ્યવસ્થા ઊભી કરી છે તેની મુખ્ય બાબતો આ પ્રમાણે છે –

  • સંબંધિત કલેકટરશ્રીને અરજી કર્યાની તારીખથી ૩૦ દિવસમાં નિર્ણય કરવાની જેાગવાઈ કરવામાં આવી છે.
  • પ્રમાણપત્ર મેળવ્યા બાદ જો બિનખેતીની અરજી કરવામાં આવે તો ૧૦ દિવસમાં પ્રિમિયમ/દંડ/રૂપાંતરણ/વિશેષધારો ભરવા માટે જાણ કરવામાં આવશે.
  • પ્રમાણપત્ર વિના પણ બિનખેતી અરજી કરવામાં આવે તો હાલની વ્યવસ્થા મુજબ નિર્ણય કરવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય એ પણ કર્યો છે કે, ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મૂળથી જૂની શરત/ બિનખેતી માટે પ્રિમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે બિનખેતીમાં ફેરવવાની અરજદારની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર અરજીની તારીખથી ૨૫ વર્ષ પહેલાના રેકર્ડને ધ્યાને લેવાનું રહેશે નહિ.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે એમ પણ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા આ નિર્ણયોથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ મુજબના વિકસિત ભારત @ 2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણની દિશા વધુ વેગવાન બનશે. ગુજરાતમાં ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસથી એક ડગલું આગળ વધીને “કમ્ફર્ટ ઓફ ડુઈંગ બિઝનેસ” અને મેક્ઝિમમ ગવર્નન્સ-મિનિમમ ગવર્નમેન્ટ ચરિતાર્થ થશે.

જામનગર માં આગામી રામનવમી તથા આંબેડકર જયંતિ સહિતના તહેવારોને અનુલક્ષીને એસ.પી. ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

જામનગર તા ૫, જામનગર શહેરમાં આગામી રામ નવમી ના તહેવાર ઉપરાંત આંબેડકર જયંતિ સહિતના જુદા જુદા તહેવારોને અનુલક્ષીને શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તેના ભાગરૂપે જામનગર જિલ્લાના એસ.પી પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.


આગામી રામનવમીના તહેવારને લઈને શહેરમાં નીકળનારી રામ સવારી સંદર્ભે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને, અને શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રા સંપન્ન થાય, તેના ભાગરૂપે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક બનેલું છે, તેવી જાણકારી આપી હતી, અને તમામ હિન્દુ મુસ્લિમ અગ્રણીઓને તહેવારોને અનુરૂપ જરૂરી સૂચનો કર્યા હતા.


આ વેળાએ તેઓની સાથે જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી. જે. એન. ઝાલા ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધા, પોલીસ હેડ ક્વાર્ટરના ડીવાયએસપી વી.કે. પંડ્યા, સીટી એ. ડિવિઝન ના પી.આઈ. એન.એ. ચાવડા સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ સાથે રામ સવારી ના આયોજન દરમિયાન ડી.જેમ સિસ્ટમ લઈને જોડાનારા ડી.જે. ઓપરેટરની પણ એક અલગથી બેઠક યોજવામાં આવી હતી, અને તેમાં ભગવાન શ્રીરામ ની ધુનોને લગત અને રામધૂન સાથેના ગીતો ભજનો વગાડવા માટેનું જરૂરી- સૂચન કર્યું હતું. તેમ જ કોઈ બિનજરૂરી ગીતો- સંવાદો નહીં વગાડવા તાકીદ કરી હતી.

ભારતના રાજકીય ઈતિસાહ માં મહત્વ નો નિર્ણય”વન નેશન, વન ઈલેક્શન” અન્વયે યોજાયો વિશેષ કાર્યક્રમ.

ચૂંટણી એટલે લોકશાહી નું પર્વ, પણ આ પર્વ સમયે લાખો માનવ કલાકો, ખરબો રૂપિયા અને અર્થતંત્ર કામે લાગતું હોય છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ ની સરકાર એ નિરીક્ષણ કર્યું કે વારંવાર અનિયમિત રીતે થતી ચૂંટણીઓ થી દેશ અને દેશ ની પ્રજા ને પ્રત્યેક્ષ કે પરોક્ષ અનેક નુકશાન જઈ રહ્યું છે . લાખો માનવ કલાકો, આચારસંહિતા નો સમય ગાળો, ચૂંટણી પાછળ ખર્ચાતા નાણાં વગેરે ને ધ્યાને રાખી વન નેશન વન ઈલેક્શન ની નીતિ લાગુ કરવા નીર્ધાર કર્યો. આ તબ્બકે પ્રજા પાસે થઈ મંતવ્યો લેવામાં આવશે તથા એક નિષ્પક્ષ કમિટી દ્વારા તેનું પૂરું મૂલ્યાંકન કરી આ નીતિ લાગુ કરવા, દેશ ઐતિહાસિક નિર્ણય કરવા જઈ રહ્યો છે.

1951-52 થી 1967 સુધી, લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ મોટે ભાગે એકસાથે યોજાતી હતી અને ત્યારપછી ચક્ર તૂટી ગયું હતું અને હવે, ચૂંટણી લગભગ દર વર્ષે અને એક વર્ષમાં જુદા જુદા સમયે યોજાય છે. સરકાર અને અન્ય હિસ્સેદારો દ્વારા મોટા ખર્ચમાં પરિણમે છે, સુરક્ષા દળો અને અન્ય ચૂંટણી અધિકારીઓની તૈનાતી તેમની મુખ્ય ફરજો, આદર્શ આચાર સંહિતા, વગેરે લાંબા ગાળા માટે અમલમાં રહે છે, જેના પરિણામે લાંબા સમય સુધી વિકાસ કાર્ય ખોરવાય છે.

ભારતના કાયદા પંચે, ચૂંટણી કાયદામાં સુધારા અંગેના તેના 170મા અહેવાલમાં અવલોકન કર્યું છે કે: “દર વર્ષે અને યોગ્ય સમય વિના ચૂંટણી યોજવાના ચક્રને નાબૂદ કરવું જોઈએ. આપણે અગાઉની સ્થિતિ પર ફરી વિચાર કરવો જોઈએ જ્યાં લોકસભા અને તમામ વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી. તે સાચું છે કે આપણે બધી પરિસ્થિતિઓ અથવા શક્યતાઓની કલ્પના કરી શકતા નથી અથવા પૂરી પાડી શકતા નથી. કલમ 356 ના ઉપયોગને કારણે (જે S.R. બોમાઈ વિ. યુનિયન ઓફ ઈન્ડિયામાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી નોંધપાત્ર રીતે ઘટાડી દેવામાં આવી છે) અથવા અન્ય કોઈ કારણથી, વિધાનસભા માટે અલગ ચૂંટણી યોજવી એ એક અપવાદ હોવો જોઈએ અને નિયમ નહીં; નિયમ એવો હોવો જોઈએ કે ‘લોકસભા અને તમામ વિધાનસભા માટે પાંચ વર્ષમાં એક વખત ચૂંટણી થવી જોઈએ.

સંસદીય સ્થાયી સમિતિ કર્મચારી, જાહેર ફરિયાદો, કાયદો અને ન્યાય વિભાગ ‘લોકસભા અને રાજ્ય વિધાનસભાની એકસાથે ચૂંટણી યોજવાની શક્યતા પર ડિસેમ્બર 2015માં સબમિટ કરેલા તેના 79મા અહેવાલમાં, તેણે આ મુદ્દાની પણ તપાસ કરી છે અને બે તબક્કામાં એકસાથે ચૂંટણી યોજવાની વૈકલ્પિક અને વ્યવહારુ પદ્ધતિની ભલામણ કરી છે.


હવે, તેથી, ઉપરોક્તને ધ્યાનમાં રાખીને અને રાષ્ટ્રીય હિતમાં, એકસાથે ચૂંટણીઓ યોજવી ઇચ્છનીય છે, ભારત સરકાર આથી દેશમાં એક સાથે ચૂંટણીના મુદ્દાની તપાસ કરવા અને એક સાથે ચૂંટણીઓ યોજવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિ (ત્યારબાદ ‘HLC’ તરીકે ઓળખાય છે) ની રચના કરે છે.


આ તબ્બકે દેશની તમામ સામાજિક સંસ્થાઓ, ગ્રુપ, ધાર્મિક સંસ્થા, એસોસિયેશન, એસોસિયેશન ઓફ પીપલ દ્વારા વન નેશન, વન ઈલેક્શન ને ટેકો જાહેર કરાઈ રહ્યો છે. આ તબ્બકે જામનગર શહેર માં વિવિધ સંસ્થા, એસોસિયેશનો, ધાર્મિક સંસ્થાનો ઇત્યાદિ દ્વારા વન નેશન, વન ઈલેક્શન ને વિશેષ પ્રતિસાદ સાંપડી રહ્યો છે.


આ અન્વયે જામનગર એડ્વોકેટ્સ એન્ડ લીગલ એસોસિયેટ્સ આયોજિત એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ. જેમાં મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં માનનીય સાંસદ શ્રી પૂનમબેન માડમ, શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, અને મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ એ વન નેશન, વન ઇલેશન ઉપર ઉદબોધન કરેલ.

આ કાર્યક્રમમાં વિશેષ થી સાંસદ પૂનમબેન માડમ, શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, માનનીય મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયાં, મુખ્ય વક્તા સંજયભાઈ રાવલ, ભાજપ જિલ્લા અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભેંડેરી, માનનીય ધારાસભ્ય રીવાબા જાડેજા સહીત જામનગર શહેર ના શ્રેષ્ઠિઓ, ઔદ્યોગિક સંસ્થાઓ, વ્યાપારી સંસ્થાઓ સેવાકીય સંસ્થાઓ ના હોદેદારો બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા, તથા “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” અભિયાનમાં સમર્થન આપેલ.

ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસન સેન્ટરના અધિકારીશ્રીઓએ ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લીધી

અધિકારીશ્રીઓએ દર્દીઓને અપાતી આયુર્વેદ સેવાઓ તેમજ આરોગ્ય મંદિર ખાતે આવેલ હર્બલ ગાર્ડનની મુલાકાત લઈ તે અંગેની ઝીણવટભરી માહિતી મેળવી

જામનગર તા.૦૪ એપ્રિલ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન હેઠળના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસન સેન્ટર(GTMC)ના અધિકારીશ્રીઓએ ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ખાતે આવેલ આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લઈ અહી દર્દીઓને અપાતી આયુર્વેદ સેવાઓ તથા કાર્ય પદ્ધતિઓ વિશેની ઝીણવટભરી માહિતી મેળવી હતી.

આ તકે દક્ષિણ કોરીયાથી ઉપસ્થિત રહેલ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસન સેન્ટરના અધિકારીશ્રી યે રિન પર્ક, ડો.વનિતા તેમજ તેમની ટીમે આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ઇટાળાની મુલાકાત લઈ આરોગ્ય મંદિર દ્વારા આપવામાં આવતી આયુર્વેદ સેવાઓ વિશે સવિસ્તાર માહિતી મેળવી હતી તેમજ દવાખાનાના તમામ રેકોર્ડ તેમજ દફતર વર્ગીકરણ તેમજ માસિક રિપોર્ટ વિશે પણ વિગતો મેળવી હતી.સાથે જ દવાખાનામાં ઉપલબ્ધ દવાઓ તેમજ તેમના સ્ટોક મેન્ટેનન્સ અંગેની માહિતી મેળવી હતી.અધિકારીશ્રીઓએ આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ઇટાળા ખાતેના હર્બલ ગાર્ડનની મુલાકાત લઈ તેમાં ઉગાડેલ આયુર્વેદિક વનસ્પતિઓ તેમજ તેમના ઉપયોગ વિશે જાણકારી મેળવી હતી અને મુલાકાત દરમિયાન ઓપીડીમાં હાજર રહેલ તમામ દર્દીઓના પ્રતિભાવો પણ મેળવ્યા હતા.આ તમામ માહિતી મેળવી આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ઇટાળા દ્વારા લોકોને અપાતી આયુર્વેદ સેવાઓ તેમજ હર્બલ ગાર્ડન અને રેકોર્ડ જાળવણી અને દવાના સ્ટોક મેન્ટેનન્સથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને આરોગ્ય મંદિરના મેડિકલ ઓફિસર શ્રી ડો.જે.પી સોનગરાની કામગીરીને બિરદાવી હતી.

જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો હવે ધોરાજીના ખેડૂતો પણ કર્યો વિરોધ

જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી દરિયામાં છોડવાના સરકારના પ્રોજેક્ટનો પોરબંદરના માછીમારો અને નગરજનો ભારે વિરોધ કરી રહ્યા છે, હવે આ વિરોધ ધોરાજી પંથકમાં પણ શરૂ થયો છે.ખેડૂતો પાઇપ લાઇન મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી પાઈપલાઈન મારફતે દરિયામાં છોડવાના સરકારના પ્રોજેક્ટના પોરબંદર બાદ ધોરાજી તાલુકાના તોરણીયા ગામમાં પસાર કરવાની પેરવી ચાલી રહી છે એ વચ્ચે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આ પ્રોજેક્ટથી જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી આ દરિયામાં છોડવામાં આવશે.

તોરણીયા ગામની હદ વિસ્તારમાં આવેલ ખેડૂતોની જમીનમાં પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવતા. ખેડૂતો તેમજ મહિલાઓ ઉગ્રે વિરોધ નોંધાવ્યો હતો સાથે જણાવ્યું હતું કે. અહીંથી પસાર થતી પાઇપ લાઇન જેમને મંજૂરી પણ નથી આપી. તેમ છતાં પાઇપ લાઇન પાથરવામાં આવી રહી છે, તેમજ ઘટના સ્થળે જેસીબી સહિતના સાધનો પહોંચતા મહિલાઓએ જેસીબીના મશીનમાં બેસી ગયા હતા અને સાથે વિરોધ. નોંધાવ્યો હતો ખેડૂતોના જણાવ્યા મુજબ અહીંથી પસાર થતી પાઇપલાઇન ના કારણે ઉભા પાક જો નષ્ટ થઈ જ રહ્યા છે સાથે પાઇપલાઇન ફીટ કરવામાં આવશે તો તે પણ નુકસાની અમારે જ ભોગવવાની રહેશે. આથી ખેડૂતોએ વિરોધ નોંધાવી તો સાથે મીડિયાને કવરેજ કરવા માટે જેતપુર ઉદ્યોગના મળતી આવો પણ પહોંચ્યા હતા.

શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યા વિના પણ શૈક્ષણિક સંસ્થાઓ થકી શિક્ષણ જ્યોત પ્રજ્વલિત રાખનાર કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગુરુવંદના સ્નેહ મિલન સમારોહ 2025 યોજાયો

સરકારી અધ્યયન મંદિર ધ્રોલ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર ના પૂર્વ તાલીમાર્થી સ્નેહ મિલન સમારોહ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાયો જેના માર્ગદર્શક તરીકે પ્રફુલ્લ બા જાડેજા અને કન્વીનર તરીકે ચંદ્રકાંત ખાખરીયા તેમજ આયોજક સમિતિમાં સભ્ય તરીકે પરેશભાઈ અજુડિયા, રાજેશભાઈ ભેંસદડિયા, અમિતભાઈ સોની, વિમલભાઈ નકુમ, ડેનિશભાઈ ઘેટીયા અને ચિરાગ સચાણિયા જોડાયા અને સમગ્ર કાર્યક્રમની સફળતામાં ડાયેટ જામનગરના સ્ટાફે પણ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
સરકારી અધ્યાપન વિદ્યા મંદિર, ધ્રોલ (1960-1995) અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર (1995-2015)માં પી.ટી.સી. તાલીમ પ્રાપ્ત કરેલા 250થી વધુ પૂર્વ તાલીમાર્થીઓ એકઠા થયા. આ તાલીમાર્થીઓ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સેવા આપી રહ્યા છે. તેઓએ પોતાના તત્કાલીન પ્રાધ્યાપકોને મળીને આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી, ગુરુવંદના કરવાનું સૌભાગ્ય સાંપડ્યું.
આ કાર્યક્રમમાં રાજકોટ ડી.પી.ઇ.ઓ. શ્રી દીક્ષિતભાઈ પટેલ, ડી.પી.ઇ.ઓ. જામનગર શ્રી વિપુલભાઈ મહેતા, ડી.પી.ઇ.ઓ. દેવભૂમિ દ્વારકા શ્રી મધુબહેન ભટ્ટ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી ફાલ્ગુનીબહેન પટેલ હાજર

કાર્યક્રમ:

  • તા. 29-03-2025 શનિવારે રાત્રે 9:30 કલાકે લોક ડાયરો માણ્યો જેનું સફળ સંચાલન હરીદેવ ગઢવી સુંદર રીતે કર્યું. આ ડાયરામાં ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ સહ પરિવાર હાજરી આપી અને બધા સાથે ડાયરો માણ્યો. અંતે સૌ પૂર્વ તાલીમાર્થી મિત્રોએ ગરબા રમીને ખૂબ મજા કરી.
  • તા. 30-03-2025 સવારે 10:00 કલાકે ગુરુવંદના અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે અધ્યક્ષ તરીકે હાજરી આપી. તેમણે પોતાના જૂના દિવસોની યાદો તાજી કરી જેમાં પોતાના પી.ટી.સી. ના સંસ્મરણ સંભાર્યા તથા પોતાની જીવનયાત્રા અંગે મુક્ત મને વાતો સૌ મિત્રો સાથે કરી અને પોતાના ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. વિશેષમાં તેઓએ જણાવ્યું કે પી.ટી.સી કર્યા પછી પોતે જાહેર જીવનમાં રાજકારણમાં સફળતાના શિખરો સર કર્યા પરંતુ પોતે શિક્ષક ન બની શક્ય તેનો અફસોસ હંમેશા રહે છે પરંતુ તેઓએ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને તાલીમી સંસ્થાઓ સ્થાપીને પોતાની અંદરના એક શિક્ષકને જીવંત રાખ્યો છે.
  • આ તકે વિશિષ્ટ પ્રતિભા ધરાવતા પૂર્વ તાલીમાર્થીનું સન્માન પણ કરાયું જેમાં સાત વખત ધારાસભ્ય પદ અને પાંચ વખત મંત્રીપદ શોભાવનાર શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે વર્ગ-1 ની જવાબદારી સંભાળતા શ્રી દીક્ષિતભાઈ પટેલ, વર્ષ 2024 માં રાજ્યપાલ હસ્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ મેળવનાર શ્રી ભારતસિંહ બાદરસિંહ રાઠવા તેમજ વિમલભાઈ પરસોત્તમભાઈ નકુમ કે જેઓએ 2018માં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને ચિત્રકૂટ એવોર્ડ ઉપરાંત 2017 માં સાંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ પણ મેળવ્યો છે તેઓનું સૌએ ખેસ અને મોમેન્ટો આપી સન્માન કર્યું.
  • વર્ષ 1960 થી 2015 સુધીના પૂર્વ પ્રાચાર્ય અને પ્રાધ્યાપકોમાં શ્રી આર. એચ. ચૌહાણ, શ્રી રતિલાલ લિખિયા, ડો. એ. આર. ભરડા, શ્રી એમ. બી. પટેલ, શ્રી જે. ટી ઉપાધ્યાય, શ્રી કે. વી. ચાવડા, શ્રી જાગૃતિબેન ભટ્ટ, શ્રી ખ્યાતિબેન કચ્છી, શ્રી લિનાબેન ઉપાધ્યાય, શ્રી નિરાલીબેન જોષી, શ્રી જી. જી. પરમાર, ડો. પ્રફુલ્લાબા જાડેજા અને શ્રી જી. એન પોંકિયાનું તેઓના પૂર્વ તાલીમાર્થીઓએ વંદના કરી અને શાલ તથા મોમેન્ટો આપી સન્માન કર્યું અને તેઓએ પોતાના ભૂતપૂર્વ તાલીમાર્થીઓ સાથે પોતાના સંસ્મરણો વાગોળ્યા.
  • બપોરે 1:00 કલાકે સૌએ સાથે પ્રીતિભોજન માણ્યું.
  • ત્યારબાદ ડાયેટ, જામનગરના મેદાનમાં એક વટવૃક્ષ વાવવાની વિધિ યોજાઈ, જેમાં એક વડલાનું વૃક્ષ વાવવામાં આવ્યું.
  • અંતે, સૌ પૂર્વ પ્રાધ્યાપકો તરફથી તમામ તાલીમાર્થીઓને એક પ્રતિક યાદગીરી રૂપે ચાંદીનું બીલીપત્ર અર્પણ કરાયું અને સૌ મીઠી યાદોનું સંભારણું અને ખુશી સમેટીને ફરી જલ્દી મળવાના આયોજન સાથે વિદાય લીધી.