એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે રાજ્યમાં વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતર્ગત એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે.
સુરત પોલીસ કમિશનરની કચેરી ખાતેથી આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડાઓ, રેન્જ વડા અને લૉ એન્ડ ઓર્ડર તેમજ આઈ.બીના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને આ અભિયાનને વધુ સઘન બનાવવા અને બાંગ્લાદેશીઓની તમામ ગતિવિધિઓ અંગે બારીક તપાસ કરીને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. બીજી તરફ આજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પત્રકાર પરિષદ યોજી આ અભિયાનની વિસ્તૃત વિગતો આપી હતી.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, બનાવટી દસ્તાવેજો બનાવનારા બંગાળના ગુનાહિત નેટવર્કની તપાસ ચાલુ છે. ઝડપાયેલા બાંગ્લાદેશીઓને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી તેમના મૂળ દેશ બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે.
આ અભિયાન રાજ્યમાં ગેરકાયદેસર ઘૂસણખોરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે, અને ગુજરાત પોલીસ આગામી દિવસોમાં આવી કામગીરીને વધુ તીવ્ર બનાવશે.
ગૃહ રાજ્યમંત્રીની ચેતવણી:
હર્ષ સંઘવીએ ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સ્વૈચ્છિક રીતે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થવા ચેતવણી આપી છે, નહીં તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ગેરકાયદેસર ઘૂસણખોરોને આશરો આપનારાઓ સામે પણ કડક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
અભિયાનની મુખ્ય વિગતો:
મોટું ઓપરેશન:
ગત રાત્રે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન હાથ ધર્યું, જેમાં અમદાવાદમાં 890 અને સુરતમાં 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા.
આ બાંગ્લાદેશીઓ પૈકી મોટાભાગના લોકો બંગાળમાંથી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં વસવાટ કરતા હતા. તે અંગે બારીક તપાસ જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે ચલાવવામાં આવી રહી છે.
ગુનાહિત પ્રવૃત્તિઓ:
બાંગ્લાદેશીઓ અગાઉ ડ્રગ્સ, હ્યુમન ટ્રાફિકિંગ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું જણાયું છે.
ચાર ઝડપાયેલા બાંગ્લાદેશીઓમાંથી બે અલ-કાયદાના સ્લીપર સેલ તરીકે કામ કરતા હોવાની શંકા છે, અને તેમની ગતિવિધિઓની તપાસ ચાલુ છે.
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @ ૨૦૪૭માં વિકસિત ગુજરાત @ ૨૦૪૭ને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરેલી છે.
ગુજરાત વહીવટી સુધારણા પંચની રચનાની જાહેરાત થયાના એક જ મહિનામાં પોતાનો પ્રથમ ભલામણ અહેવાલ રાજ્ય સરકારને આ પંચે સુપ્રત કરેલો છે. GARC અધ્યક્ષ ડૉ. હસમુખ અઢીયાના દિશાદર્શનમાં એ જ પરંપરા આગળ ધપાવતા પંચની રચના થયાના બીજા મહિને ૧૦ જેટલી ભલામણો સાથેનો દ્વિતીય ભલામણ અહેવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પંચના અધ્યક્ષશ્રી ડૉ. હસમુખ અઢીયાએ સુપ્રત કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કરવામાં આવેલા GARCના આ બીજા ભલામણ અહેવાલમાં મુખ્યત્વે ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી ‘ગવર્મેન્ટ એટ યોર ડોર સ્ટેપ’-સરકાર તમારે દ્વારનો ધ્યેય રાખીને સિટીઝન સેન્ટ્રીક ૧૦ જેટલી ભલામણો કરવામાં આવેલી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કરવામાં આવેલા GARCના આ દ્વિતીય ભલામણ અહેવાલમાં જે વિષયો આવરી લેવામાં આવ્યા છે તે મુખ્યત્વે આ મુજબ છે.
(૧) સુખદ નાગરિક અનુભવ માટે યુઝર-ફ્રેન્ડલી સરકારી વેબસાઇટ્સ બનાવવી:_
સરકારી વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સની ગુણવત્તા, સુલભતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, ઓગસ્ટ 2025 સુધીમાં બધી સરકારી વેબસાઇટ્સનું મૂલ્યાંકન કરવા અને ભારત સરકારની વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ માટેની(GIGW 3.0) માર્ગદર્શિકાનું પાલન કરવા GARCએ જણાવ્યું છે.
(૨) નાગરિક ચાર્ટરને અસરકારક બનાવવું:_
સિટીજન ફર્સ્ટના અભિગમ સાથે તમામ નાગરિક સેવા વિતરણ વિભાગો માટે સેવાઓ તથા તે સેવાઓ પૂરી પાડવાની સમયમર્યાદા, ફરિયાદ નિવારણ પદ્ધતિઓ અને જવાબદેહિતા અંગેની પ્રણાલી વિશે સંપૂર્ણ વિગતો સાથે નાગરિક ચાર્ટર પર બનેલી એક મજબૂત સિસ્ટમ વિકસાવાશે.
(૩) સરકારી સેવા વિતરણ પોર્ટલોને સિટિઝન ફ્રેન્ડલી બનાવવા:_
તમામ સરકારી સેવાઓ માટે સિંગલ સાઇન-ઓન બનાવવાની ભલામણ કરવામાં આવેલ છે જેથી કાર્યક્ષમ ઇન્ટર ઓપરેબિલિટી સુનિશ્ચિત કરીને નાગરિકોને કોઈપણ સરકારી યોજના અથવા કાર્યક્રમનો લાભ એક જ જગ્યાએથી ઉપલબ્ધ થઇ શકે. વધુમાં, નાગરિકને વિવિધ લાભો મેળવવા માટે સમાન પ્રકારની ડેમોગ્રાફિક અને ઓળખ અંગેની માહિતી અલગથી દાખલ કરવાની પ્રક્રિયામાથી મુક્તિ મળશે.
(૪) ટેકનોલોજી દ્વારા સરકારી પ્રમાણપત્રોની ચકાસણી થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવી:_
સરકારના પારદર્શિતા અને એકાઉન્ટેબિલિટીના અભિગમને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા બહાર પાડવામા આવેલ સત્તાવાર પ્રમાણપત્રો, લાઇસન્સ, મંજૂરીઓ અને અન્ય દસ્તાવેજોની અધિકૃતતા ચકાસવા માટે સરકારે ટેક-ઇનેબલ્ડ QR-આધારિત પદ્ધતિ વિકસાવશે.
(૫) ફરિયાદ નિવારણ પ્લેટફોર્મને સંકલિત, નાગરિક-કેન્દ્રિત અને વ્યાપક બનાવવું:_
હાલના SWAGAT પ્લેટફોર્મને વધુ વ્યાપક બનાવીને સરકાર વિવિધ ફરિયાદ નિવારણ પદ્ધતિઓને એકીકૃત કરશે. આ એકીકૃત પ્લેટફોર્મ નાગરિકોને તેમની ફરિયાદો નોંધાવવા માટે બહુવિધ ચેનલો પ્રદાન કરશે. ઉદાહરણ તરીકે, ઇમેઇલ, વોટ્સએપ, ફોન કોલ્સ, ઓનલાઈન પોર્ટલ, વગેરે.
(૬) અસરકારક જ્ઞાન વ્યવસ્થાપન દ્વારા સંસ્થાકીય જ્ઞાનને મજબૂત બનાવવું:_
સરકાર ‘નોલેજ ટ્રાન્સફર પ્રોટોકોલ’ વિકસાવશે જે અનુસાર બધા કર્મચારીઓ (ટ્રાન્સફર થઈ રહ્યા હોય અથવા નિવૃત્ત થઈ રહ્યા હોય) ને અન્ય આવનાર કર્મચારીને Knowlegde Transfer દસ્તાવેજ રજૂ કરવાનો રહેશે જેથી સસ્થાકીય જ્ઞાનને વધુ સુદૃઢ કરી શકાય. આ ઉપરાંત સરકારના વિભાગો અને કચેરીઓ તેઓની કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરી સંદર્ભે “Know Your Department” ના થીમ પર મલ્ટીમીડિયા સામગ્રી વિકસાવવાની રહેશે જેથી નાગરિકોને સરકારી કામગીરી સમજવામાં મદદરૂપ થઇ શકે.
(૭) સરકારી વાહનો માટે વાહન નિકાલ પ્રોટોકોલ:_
સરકારી વિભાગો દ્વારા ઉપયોગમાં લેવાતા જૂના વાહનોના નિકાલ માટે સરકાર વાહન નિકાલ પ્રોટોકોલ નક્કી કરશે અને બિન-ઉપયોગી વાહનોના નિકાલ માટેની હાલની વ્યવસ્થાને વધુ સરળ બનાવવા અંગેની ભલામણ પણ કરવામાં આવી છે.
(૮) બધી જાહેર કચેરીઓ માટે બિન-ઉપયોગી ફર્નિચરના નિકાલ માટેનો પ્રોટોકોલ:_
સરકાર આગામી છ મહિનાની અંદર તમામ જાહેર કચેરીઓમાં ફર્નિચર નિકાલ પ્રોટોકોલ વિકસાવશે અને તે અનુસાર બિનઉપયોગી ફર્નિચરનો નિકાલ કરવા અંગે પણ આ અહેવાલમાં સુચવાયુ છે.
(૯) શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની કચેરીઓ માટે કચેરી સમય સવારે 9:30 થી સાંજે 5:10 કરવો, જેથી અસરકારક કાર્યદિવસ વ્યવસ્થાપન દ્વારા ઉત્પાદકતામાં વધારો લાવી શકાય:_
કાર્યક્ષમતા વધારવા અને વર્ક – લાઇફ બેલેન્સના અભિગમે ધ્યાનમા રાખતા જઇને સરકારની ક્ષેત્રીય કચેરીઓ સહિત તમામ સરકારી કચેરીઓ-સંસ્થાઓના સત્તાવાર કાર્ય સમયને સવારે 09:30 થી સાંજે 05:10 વાગ્યાનો રાખવાની ભલામણ આ અહેવાલમાં કરવામાં આવી છે.
સરકાર સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના માધ્યમથી સરકાર દ્વારા કરવામાં આવતી રોજિંદી પ્રવૃત્તિઓ તેમજ સ્થાનિક સ્તરે વિવિધ યોજનાઓ, સક્સેસ સ્ટોરીને લગતા ઇન્ફોગ્રાફિક્સ, સમજૂતી વાળા વિડિઓઝ વગેરેના જનતા સુધી સરળતાથી પહોંચે તે મુજબના પગલા લેશે. આ માટે સરકાર સોશિયલ મીડિયા હેન્ડલિંગ માર્ગદર્શિકા બનાવશે અને દરેક વિભાગ અને તેમની સંબંધિત ક્ષેત્રીય કચેરીઓમાં, પાયાના સ્તરે, સોશિયલ મીડિયા આઉટરીચ વધારવા માટે એક વિશિષ્ટ કાર્યબળ પણ સ્થાપિત કરવાની ભલામણ કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને GARC દ્વારા સુપ્રત કરવામાં આવેલા આ દ્વિતીય અહેવાલમાં એવા સુધારાઓને લક્ષ્ય બનાવ્યા છે જે નાગરિકોને જાહેર સેવાઓની ઉપલબ્ધતા સરળ બનાવે.
બધી સરકારી યોજનાઓને ઍક્સેસ કરવા માટે એક જ સાઇન-ઓન રાખવાની મુખ્ય ભલામણ “Know Your Citizen” ના વિચારને પ્રોત્સાહન આપે છે અને એ બાબત સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે નાગરિકોને વારંવાર એક જ માહિતી ભરવાની જરૂર ન પડે. આ અભિગમ વિવિધ યોજનાઓ અને સેવાઓને ડિજિટલ માધ્યમથી ઍક્સેસ કરવામાં એક સરળ અનુભવ બનાવવાનો પણ પ્રયાસ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ બધી જ બાબતો આવરી લેતો GARCનો દ્વિતીય ભલામણ અહેવાલ પંચના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ સુપ્રત કર્યો હતો. પંચના સભ્યો મુખ્ય સચિવ પંકજ જોષી અને સભ્ય સચિવ શ્રી હારિત શુક્લા આ પ્રસંગે સહભાગી થયા હતા.
રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કર્મયોગીઓ અને જાહેર જનતા પાસેથી વહીવટી સુધારણા સંદર્ભે GARC દ્વારા તેના પ્રથમ અહેવાલમાં સુચનો મંગાવવાની કરાયેલી ભલામણ સંદર્ભમાં અત્યાર સુધીમાં ૨૧૫૦થી વધુ પ્રતિભાવો અને ભલામણો પંચને મળ્યા છે તેમ GARCના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ જણાવ્યું હતું.
ગુજરાત પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ ગુરુવારે આણંદ જિલ્લાના તાપુર શહેરમાંથી કથિત રૂપે પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી મોકલવા બદલ જાસૂસ તરીકે કથિત એક વ્યક્તિની ધરપકડ કરી હતી. તે પાકિસ્તાની-રાષ્ટ્રીય-ભારતીય-નાગરિક છે.
ATS એ લશ્કરી ગુપ્તચર માહિતી મળ્યા બાદ ઓપરેશન શરૂ કર્યું હતું કે એક અભિયાન પાકિસ્તાની ગુપ્તચર ઓપરેટિવ (PIO), 55 વર્ષીય લાભશંકર મહેશ્વરી દ્વારા ચલાવવામાં આવે છે, જ્યાં આરોપી આર્મી કર્મચારીઓનો સંપર્ક કરવા માટે WhatsApp નંબરનો ઉપયોગ કરી રહ્યો હતો અને રિમોટ એક્સેસ ટ્રોજન મોકલતો હતો. RAT) સંવેદનશીલ માહિતી કાઢવા માટે માલવેર.
ATS સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ ઓમ પ્રકાશ જાટના જણાવ્યા અનુસાર, આરોપી ભારતીય સિમ કાર્ડનો ઉપયોગ કરતો હતો જે મુહમ્મદ સકલાઈન થાઈમ નામથી જારી કરવામાં આવ્યો હતો જે અઝગર હાજીબાઈના મોબાઈલ ફોન પર એક્ટિવેટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાન એમ્બેસી સાથે સંકળાયેલા વ્યક્તિની સૂચના પર આ ઉપકરણને આણંદથી મહેશ્વરી લઈ જવામાં આવ્યું હતું.
“લાભશંકર મહેશ્વરી એક પાકિસ્તાની નાગરિક હતા જે 1999માં ભારત આવ્યા હતા, તેમને પછીથી ભારતીય નાગરિકતા મળી હતી. તેમનો વિસ્તૃત પરિવાર હજુ પણ પાકિસ્તાનમાં છે,” જાટે કહ્યું.
સંબંધિત વોટ્સએપ નંબર હજુ પણ પાકિસ્તાનમાં સક્રિય છે. મહેશ્વરી આર્મી પબ્લિક સ્કૂલના અધિકારી તરીકે દેખાતા આર્મી જવાનોના પરિવારોને નિશાન બનાવી રહી હતી.
આરોપીએ તેના લક્ષ્યોને ટેક્સ્ટ મોકલ્યા અને કહેવાતી સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા, તેમને રાષ્ટ્રીય ધ્વજ સાથેના ચિત્રો અપલોડ કરવાનું કહ્યું. અહેવાલો અનુસાર, મહેશ્વરીએ ભારતીય સંરક્ષણ કર્મચારીઓની સંપર્ક વિગતો પાકિસ્તાની એજન્સીને મોકલી હતી.
સમગ્ર દેશમાં ૧લી ઓક્ટોબરે સવારના ૧૦ થી ૧૧ એક કલાકના સમયગાળા દરમિયાન સ્વચ્છતા ક્ષેત્રે નવો ઇતિહાસ રચાશે. ગુજરાત રાજ્ય પણ આ ઐતિહાસિક કલાકમાં હરહંમેશની જેમ પોતાનો સિંહફાળો આપશે, તેમ ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આરંભેલા સ્વચ્છ ભારત મિશનની જનભાગીદારી થકી ઐતિહાસિક ઉજવણી કરાશે.
મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યના દરેક શહેર અને ગામડાઓમાં નિત્ય સ્વચ્છતાની ગુંજ ફેલાવવા રાજ્યભરમાં ૧લી ઓક્ટોબરે “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં રાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સહિતના જનપ્રતિનિધિ ઓ અને રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના ધાટલોડિયા ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો એક કલાક માટે શ્રમદાન કરશે. સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ રાજ્યના તમામ ગામડાઓમાં પણ વિવિધ પદાધિકારીઓની આગેવાની હેઠણ મહત્તમ લોક ભાગીદારી સાથે મહાશ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રમદાનનાં અંતમાં એકત્રિત થયેલા કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે સેગ્રીગેશન શેડ, MRF જેવા યોગ્ય સ્થળ સુધી પહોંચાડવા માટે પણ પૂર્વ આયોજન કરાયું છે. આ સંપૂર્ણ શ્રમદાન ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી’ અને ‘ઝીરો વેસ્ટ’ પહેલને પ્રોત્સાહિત કરશે. શ્રમદાન માટે સ્વચ્છતા હી સેવા પોર્ટલ પર રાજ્યભરમાં ૩૦,૦૦૦ જેટલા કાર્યક્રમોની નોંધણી થઈ છે, જેમાં આશરે ૨૫ લાખ જેટલા લોકો એક સાથે જોડાઈને એ સાથે શ્રમદાન કરશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીની જન્મજયંતિને સ્વચ્છતાના જન આંદોલન થકી ઉજવવા સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અને શહેરી દ્વારા સંયુક્ત રીતે ૧૫મી સપ્ટેમ્બરથી ૧૫મી ઑક્ટોબર દરમિયાન “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ૨૯ સપ્ટેમ્બર સુધીમાં કુલ ૧.૨૪ લાખ જેટલી પ્રવૃત્તિઓ પૂર્ણ કરવામાં આવી છે, જેમાં આશરે ૨.૫૪ કરોડ ગ્રામજનોએ ભાગ લીધો છે. આશરે એક લાખથી વધુ સંખીમંડળના ૮.૨૪ લાખ સભ્યોએ આજ સુધીમાં ૨૦.૮૭ લાખ કલાકનું શ્રમદાન કર્યુ છે.
આ ઉપરાંત સ્વચ્છતા હી સેવા ઝુંબેશ હેઠળ રાજ્યના અંદાજીત ૧૧,૦૦૦ ‘’બ્લેક સ્પોટ’’ ખાતે વ્યાપક સફાઈ હાથ ધરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસન દિવસના રોજ પણ રાજ્યના ૧૪ મુખ્ય પ્રવાસન સ્થળોએ સાફસફાઈ કરી, “Travel Life“ અભિયાન કાર્યરત કરવામાં આવ્યું હતું, જેમાં ૨૦૦૦થી વધુ ગ્રામજનો ભાગીદાર બન્યા હતા. સ્વચ્છતા કામદારો અને સફાઇ મિત્રોની સુખાકારી નક્કી કરવા માટે ૮૦૦૦થી વધુ આરોગ્ય તપાસ તથા શિબિરોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શાળા-કોલેજોના ૧૦.૪૪ લાખથી વધુ વિધાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ “સ્વચ્છતા હી સેવા ૨૦૨૩” અભિયાન અંતર્ગત પ્રેરણારૂપી સંદેશ પાઠવી, સ્વચ્છતા અંગેની ઝુંબેશમાં સક્રિય થઈ સહયોગ આપવા તેમજ સ્વચ્છ, સ્વસ્થ અને નિર્મળ ગુજરાતના નિર્માણ માટે સમગ્ર રાજ્યના નાગરીકોને આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.