મારું શહેર ગોંડલમાં વરસાદ પૂર્વે ખાસ સફાઈ અભિયાન, પ્રજાલક્ષી કામગીરી બદલ ઉપપ્રમુખ મનીષભાઈ રૈયાણીનું સન્માન.
ગોંડલ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને આગામી ચોમાસા દરમિયાન નાગરિકોને પાણી ભરાવા જેવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે ગોંડલ નગરપાલિકા દ્વારા શહેરવ્યાપી વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર લાઈનો, હોકળા, વરસાદી પાણીના નિકાલના માર્ગો તેમજ જાહેર સ્થળોની વ્યાપક સફાઈ કરવામાં આવી રહી છે.
ધારાસભ્યશ્રીના પ્રતિનિધિ અને યુવા અગ્રણી ગણેશભાઈના માર્ગદર્શન હેઠળ ગોંડલ નગરપાલિકાના નવ નિયુક્ત ઉપપ્રમુખ મનીષભાઈ રૈયાણી દ્વારા પ્રજાલક્ષી કામગીરીને અગ્રતા આપવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલને ધ્યાનમાં રાખીને જરૂરી સફાઈ અને જાળવણીની કામગીરી ઝડપી ગતિએ કરવામાં આવી રહી છે.
આ દરમિયાન અંબિકા પાર્ક વિસ્તારના આગેવાન કુલદીપસિંહ જાડેજાએ સ્થાનિક રહેવાસીઓની વતી રજૂઆત કરી હતી કે વરસાદી સિઝનમાં હોકળા અને પાણીના નિકાલના માર્ગોની સફાઈ સમયસર કરવામાં ન આવે તો પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. રજૂઆત મળતાની સાથે જ ઉપપ્રમુખ મનીષભાઈ રૈયાણીએ મુદ્દાને ગંભીરતાથી લઈ તાત્કાલિક નગરપાલિકાની ટીમને સ્થળ પર મોકલી હોકળાની સફાઈની કામગીરી શરૂ કરાવી હતી.
નગરપાલિકા દ્વારા ઝડપથી હાથ ધરાયેલી કામગીરીના કારણે સ્થાનિક રહેવાસીઓમાં સંતોષ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રહેવાસીઓએ જણાવ્યું હતું કે સમયસર કરવામાં આવેલી આ કામગીરી વરસાદી દિવસોમાં મોટી મુશ્કેલીને ટાળી શકે છે અને નગરપાલિકાની સતર્કતા પ્રશંસનીય છે.
પ્રજાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ અને વિકાસલક્ષી અભિગમને ધ્યાનમાં રાખીને અંબિકા પાર્ક વિસ્તારના આગેવાન કુલદીપસિંહ જાડેજા અને સ્થાનિક નાગરિકોએ ઉપપ્રમુખ મનીષભાઈ રૈયાણીનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું. આ પ્રસંગે સ્થાનિકોએ ગોંડલ નગરપાલિકાની કામગીરીની પ્રશંસા કરી અને આવનારા સમયમાં પણ શહેરના વિકાસ તથા સ્વચ્છતા માટે આવી જ સક્રિય કામગીરી ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરી હતી.