જાહેરાત
તાજા સમાચાર
જામનગરની દીકરી પૃથ્વી સંઘાણીએ દેશનું ગૌરવ વધાર્યું, ‘વિક્રમ-1’ રોકેટની ઓટોપાયલટ સિસ્ટમ ડિઝાઇનમાં ભજવી મહત્વની ભૂમિકા | દડીયા ગામે ગેરકાયદે મકાન પર બુલડોઝર, લાંબા સમયથી ચાલતા વિવાદનો આવ્યો અંત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન. | વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જની પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે નિંદા કરી. | વિજય થલપતિની કેન્દ્ર સરકારને માંગ, ‘NEET પરીક્ષા દેશભરમાંથી નાબૂદ કરો’; રાહુલ ગાંધીની અટકાયતની પણ નિંદા | ધર્મેન્દ્ર પ્રધાનની પુત્રી નૈમિષા સોશિયલ મીડિયા પર ટ્રોલ. | ગોંડલના અક્ષર મંદિરે પહોંચ્યા ‘જેઠાલાલ’ દિલીપ જોશી. | વલસાડમાં મેઘરાજાનો કહેર, 8.23 ઇંચ વરસાદથી 326 રસ્તા બંધ; જનજીવન ઠપ | શેરબજારમાં મોટો કડાકો! સેન્સેક્સ 715 પોઈન્ટ, નિફ્ટી 191 પોઈન્ટ તૂટ્યો બેંકિંગ-રિયલ્ટી શેરોમાં ભારે વેચવાલી, FMCG અને ઓટો સેક્ટરે આપી રાહત. | જામનગરમાં ચોમાસા વચ્ચે પાણી અને ગટરના કામથી લોકો પરેશાન : રોડ પર ગંદુ પાણી ભરાતા રોગચાળો ફેલાવાની ભીતિ. | શહેરા-નાડા રોડ પર વિદ્યાર્થીઓને જોખમી રીતે લઈ જતો છકડો ઝડપાયો, ચાલક સામે પોલીસની કાર્યવાહી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૩ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર દડીયા ગામે ગેરકાયદે મકાન પર બુલડોઝર, લાંબા સમયથી ચાલતા વિવાદનો આવ્યો અંત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન.

દડીયા ગામે ગેરકાયદે મકાન પર બુલડોઝર, લાંબા સમયથી ચાલતા વિવાદનો આવ્યો અંત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશન.

રણજીત સાગર રોડ પર આવેલા દડિયા ગામમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર બાંધકામના વિવાદનો અંત આખરે વહીવટી તંત્રની કાર્યવાહી સાથે આવ્યો છે. ગ્રામ પંચાયતની માલિકીની જાહેર જમીન પર થયેલા કથિત ગેરકાયદે કબજા અને બાંધકામને લઈને ગ્રામજનો અને પંચાયત દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો કલેક્ટર, જિલ્લા પોલીસ વડા (SP), તાલુકા પંચાયત અને અન્ય સંબંધિત અધિકારીઓ સુધી પહોંચ્યો હતો. લાંબા સમયથી ચાલતા વિવાદ બાદ તાલુકા પંચાયતની ટીમે પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્થળ પર પહોંચી ગેરકાયદે મકાનનું ડિમોલેશન હાથ ધર્યું હતું. સમગ્ર કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

મળતી માહિતી મુજબ દડિયા ગામમાં ગ્રામ પંચાયતનો વર્ષો જૂનો પાણીનો ટાંકો આવેલો હતો, જે ગામના લોકોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડતો હતો. આક્ષેપ મુજબ થોડા દિવસો અગાઉ એક વ્યક્તિએ આ પાણીના ટાંકાને તોડી ત્યાં ગેરકાયદેસર રીતે મકાનનું નિર્માણ કરી લીધું હતું. ત્યારબાદ આ મકાનમાં નોનવેજની દુકાન પણ શરૂ કરવામાં આવી હોવાનું ગ્રામ પંચાયતનો દાવો છે. જાહેર હિતની મિલકત પર કબજો કરીને બાંધકામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે ગ્રામ પંચાયતે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગ્રામજનોનું કહેવું હતું કે પાણીનો ટાંકો તોડી નાખવાથી ગામની સુવિધા પર સીધી અસર પડી છે અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું. 

આ સમગ્ર મામલે દડિયા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા (SP), તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય સંબંધિત વિભાગોને લેખિત આવેદનપત્ર પાઠવી ગેરકાયદે મકાન દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. પંચાયતનું કહેવું હતું કે જ્યાં પહેલાં પાણીનો ટાંકો હતો ત્યાં ફરીથી પાણીની સુવિધા ઉભી કરવામાં આવે અને સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવે. ગ્રામજનો અને પંચાયતના હોદ્દેદારોએ પણ આ મુદ્દે અનેક વખત રજૂઆતો કરીને વહેલી તકે કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. જાહેર હિતને ધ્યાનમાં રાખીને તંત્રે સમગ્ર મામલાની તપાસ કર્યા બાદ ડિમોલેશનનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું. 

 

પંચાયતના સરપંચ રાજેશભાઈ લખીયરે આક્ષેપ કર્યો હતો કે રજૂઆતો બાદ તેમને અને અન્ય પંચાયતના હોદ્દેદારોને ગંભીર ધમકીઓ આપવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ ગેરકાયદે બાંધકામ કરનાર વ્યક્તિએ મકાન તોડી પાડવામાં આવશે તો જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકીઓના ઓડિયો રેકોર્ડિંગ પોલીસ અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. સરપંચે જણાવ્યું કે આ રેકોર્ડિંગ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓ અને તલાટી મંત્રીને પણ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવી હતી.

વહીવટી તંત્રના નિર્ણય બાદ તાલુકા પંચાયતની ટીમ આજે સવારે દડિયા ગામે પહોંચી હતી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પંચાયતના અધિકારીઓ, તલાટી-મંત્રી અને અન્ય કર્મચારીઓની હાજરીમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મકાનમાં રહેતી એક મહિલાએ ફિનાઈલ પી લીધું હોવાનો બનાવ બન્યો હતો. સ્થળ પર હાજર લોકોએ આ ઘટનાને લઈને હોબાળો મચાવ્યો હતો. તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને મહિલાને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાની તબિયત અંગે તબીબી ટીમ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું.

 

આ સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખીને પંચ-બી પોલીસ સ્ટેશન સહિતનો મોટો પોલીસ કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો. અધિકારીઓની દેખરેખ હેઠળ ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. સ્થળ પર ગ્રામજનો, પંચાયતના સભ્યો અને વહીવટી અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત પેટ્રોલિંગ રાખ્યું હતું અને સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે બંને પક્ષોના અલગ-અલગ દાવા અને આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામ પંચાયતનું કહેવું છે કે સરકારી મિલકત પર થયેલું ગેરકાયદે દબાણ દૂર કરવું જરૂરી હતું, જ્યારે બીજી તરફ સંબંધિત પક્ષ દ્વારા પણ પોતાના પક્ષમાં રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. હાલ વહીવટી તંત્ર દ્વારા કાયદાકીય પ્રક્રિયા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ ધમકીના આક્ષેપો સહિત સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે, જ્યારે ગ્રામજનો હવે તૂટેલા પાણીના ટાંકાની જગ્યાએ ફરીથી નવી પાણીની સુવિધા ઉભી કરવાની માંગ કરી રહ્યા. 

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ