મારું શહેર વરસાદી પરિસ્થિતિ વચ્ચે રાજકોટ મહાનગરપાલિકા એલર્ટ: કમિશનર તુષાર સુમેરાની ત્રણેય ઝોનમાં રૂબરૂ સમીક્ષા, તાત્કાલિક કામગીરીના આદેશ.
રાજકોટ: શહેરમાં સતત વરસી રહેલા વરસાદ અને સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા શહેરના ત્રણેય ઝોનની રૂબરૂ ફિલ્ડ મુલાકાત કરીને વરસાદી સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. વરસાદી પાણીના ભરાવા, પાણીના નિકાલ, ડ્રેનેજ વ્યવસ્થા અને નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે સ્થળ પર જ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. કમિશનરે સ્પષ્ટ જણાવ્યું હતું કે વરસાદ દરમિયાન દરેક વિભાગ વચ્ચે સંકલન અને ઝડપી પ્રતિસાદ જ સૌથી મોટી પ્રાથમિકતા રહેશે.
મુલાકાત દરમિયાન કમિશનર સાથે સંબંધિત ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો, સિટી એન્જિનિયર, ડ્રેનેજ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સહિત વિવિધ શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા. ટીમે શહેરના મુખ્ય માર્ગો, મહત્વના જંકશનો, સંવેદનશીલ વિસ્તારો, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનો તેમજ સ્ક્રીન ચેમ્બરોનું નિરીક્ષણ કરીને વરસાદી પાણીના વહેણ અને નિકાલની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.

જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી ત્યાં પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે પમ્પિંગ મશીનો, જરૂરી સાધનો અને વધારાના માનવબળને તાત્કાલિક કાર્યરત કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. સાથે જ સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ રાખી નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે સક્રિય કામગીરી ચાલુ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
કમિશનર તુષાર સુમેરાએ કંટ્રોલ રૂમમાં નોંધાયેલી ફરિયાદો, વરસાદી પાણીના નિકાલની કામગીરી, વૃક્ષ ધરાશાયી થવાના બનાવો તેમજ વરસાદ સંબંધિત અન્ય ઘટનાઓ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. જ્યાં જરૂર જણાઈ ત્યાં વધારાની ટીમો, મશીનરી અને સંસાધનો તૈનાત રાખવાની પણ સૂચના આપવામાં આવી હતી, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી થઈ શકે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વરસાદી પરિસ્થિતિ દરમિયાન દરેક વિભાગ વચ્ચે સતત સંકલન જાળવવું અત્યંત જરૂરી છે. તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ફિલ્ડમાં સક્રિય રહીને કામગીરી કરે તેમજ નાગરિકોની ફરિયાદોનો ઝડપથી નિકાલ કરે તે માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત સ્ક્રીન ચેમ્બરોની નિયમિત સફાઈ, વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધરૂપ કચરો દૂર કરવો અને ડ્રેનેજ લાઈનો સતત કાર્યરત રાખવાની કામગીરીમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનરે ડ્રેનેજ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને અન્ય સંબંધિત શાખાઓને આગામી દિવસોમાં પણ 24 કલાક સ્ટેન્ડબાય મોડ પર રહી કામગીરી કરવા જણાવ્યું હતું. તમામ ઝોનના કંટ્રોલ રૂમ સતત કાર્યરત રાખીને નાગરિકો તરફથી મળતી ફરિયાદોનો તાત્કાલિક નિકાલ થાય અને વરસાદી પરિસ્થિતિમાં શહેરનું જનજીવન શક્ય તેટલું સામાન્ય રહે તે માટે મહાનગરપાલિકાનું તંત્ર સતત કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું.
