મારું શહેર ગોંડલ માર્કેટિંગ યાર્ડની ખેડૂત હિતલક્ષી પહેલ: અવસાન પામેલા ખેડૂત ખાતેદારોના વારસદારોને રૂ. 5-5 લાખના સહાય ચેકનું વિતરણ.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂત કલ્યાણને પ્રાથમિકતા આપતી વધુ એક સંવેદનશીલ પહેલ અંતર્ગત આકસ્મિક અવસાન પામેલા ખેડૂત ખાતેદારોના પરિવારજનોને આર્થિક સંબળ પૂરું પાડવા માટે રૂ. 5-5 લાખના સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સહાયથી મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલા પરિવારોને મહત્વપૂર્ણ આર્થિક રાહત મળી છે.
આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યના પ્રતિનિધિ તથા યુવા અગ્રણી ગણેશભાઈના હસ્તે કમઢિયા ગામના સ્વ. વલ્લભભાઈ ગેડીયા, વાસાવડ ગામના સ્વ. મનસુખભાઈ મોરી અને દેવચડી ગામના સ્વ. ભુપતભાઈ કુમરખાણિયાના વારસદારોને પ્રત્યેક રૂ. 5 લાખના સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, યાર્ડના ડિરેક્ટરો, આગેવાનો તેમજ લાભાર્થી પરિવારોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે ખેડૂતો રાજ્યની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ છે અને તેમના પરિવારોને મુશ્કેલીના સમયમાં આર્થિક સહારો મળે તે માટે માર્કેટિંગ યાર્ડ વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓ અસરકારક રીતે અમલમાં મૂકી રહ્યું છે. આવી સહાયથી પરિવારજનોને આર્થિક સંકટનો સામનો કરવામાં રાહત મળે છે અને તેમની જીવનયાત્રાને આગળ વધારવામાં મદદરૂપ થાય છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા સમયાંતરે ખેડૂતોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અને સહાય કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે. ખેડૂત અને તેમના પરિવારના હિત માટેની આ કામગીરી યાર્ડની સામાજિક જવાબદારી અને ખેડૂત કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહી છે.