મારું શહેર જામનગરના પાણખાણ વિસ્તારમાં વારંવાર વીજકાપથી લોકોમાં આક્રોશ, ઉદ્યોગનગર રોડ પર ચક્કાજામ કરીને વિરોધ.
જામનગર: શહેરના પાણખાણ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સતત વીજકાપ અને વીજ વિતરણ તંત્રના ઉદાસીન વલણથી કંટાળેલા ગ્રાહકોએ આજે સવારે 11 વાગ્યે ટેલિફોન એક્સચેન્જ નજીક ઉદ્યોગનગરના 49 નંબરના રોડ પર ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં અવારનવાર વીજળી ડૂલ થતી હોવાથી ઘરેલું જીવન, વેપાર-ધંધા અને રોજિંદા કામકાજ પર ગંભીર અસર પડી રહી છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

વિરોધ પહેલા સ્થાનિકો શંકર ટેકરી સ્થિત ઉદ્યોગ વીજ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, ગ્રાહકોનો આક્ષેપ છે કે સંબંધિત અધિકારીઓ તરફથી કોઈ સંતોષકારક અથવા સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નહોતો. તંત્રના આ વલણથી નારાજ બનેલા લોકોએ રસ્તા પર ઉતરી ચક્કાજામનો માર્ગ અપનાવ્યો હતો.
અચાનક થયેલા રસ્તા રોકો આંદોલનને કારણે ઉદ્યોગનગર રોડ પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અનેક વાહનચાલકો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

વિરોધ દરમિયાન સ્થાનિકોએ વીજ પુરવઠો નિયમિત કરવા, વારંવાર સર્જાતી ટેકનિકલ ખામીઓનો કાયમી ઉકેલ લાવવા તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય પ્રતિસાદ આપવામાં આવે તેવી માંગણી કરી હતી. લોકોનું કહેવું છે કે માત્ર કામચલાઉ સમારકામથી સમસ્યાનો ઉકેલ આવતો નથી, પરંતુ વીજ વિતરણ વ્યવસ્થામાં કાયમી સુધારા કરવાની જરૂર છે.
સ્થાનિકોએ ચેતવણી આપી હતી કે જો વહેલી તકે સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હાલ પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લઈને વાહનવ્યવહાર પૂર્વવત કરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે લોકો હવે વીજ વિતરણ તંત્ર તરફથી નક્કર કાર્યવાહી અને કાયમી ઉકેલની રાહ જોઈ રહ્યા છે.