મારું શહેર જામનગરમાં કેનાલ પરના દબાણ સામે JMCની કાર્યવાહી, નાગનાથ ગેટ વિસ્તારમાં બુલડોઝર ફેરવાયું.
જામનગર મહાનગરપાલિકા (JMC) દ્વારા શહેરમાં દબાણ દૂર કરવાની ઝુંબેશ હેઠળ આજે નાગનાથ ગેટ સમશાન ચોકડીથી આગળ સ્મશાનની બાજુમાં આવેલી કેનાલ પર ગેરકાયદેસર રીતે બનાવાયેલા મકાનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

JMCની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી બુલડોઝરની મદદથી કેનાલ ઉપર બાંધવામાં આવેલા બે કાચા અને બે પાકા મકાનોનું દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. કાર્યવાહી દરમિયાન અધિકારીઓની દેખરેખ હેઠળ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સલામતીના તમામ પગલાં લેવામાં આવ્યા હતા.

અધિકારીઓના જણાવ્યા મુજબ આ કામગીરી બાદ કેનાલ ઉપરથી અંદાજે 2,000 ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે, જેથી વરસાદી પાણીના નિકાલમાં કોઈ અવરોધ ન રહે અને ભવિષ્યમાં પાણી ભરાવાની સમસ્યા અટકાવી શકાય.
JMCના આ દબાણ હટાવ અભિયાન દરમિયાન સ્થાનિકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં જાહેર મિલકત, કેનાલ, રોડ અને સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત ચાલુ રહેશે.