જાહેરાત
તાજા સમાચાર
ગુજરાતમાં ભારે વરસાદનો કહેર, પૂર સંબંધિત ઘટનાઓમાં અત્યાર સુધી 56 લોકોનાં મોત | પાકિસ્તાનમાં આત્મઘાતી આતંકી હુમલો, 12 સૈનિકો સહિત 15નાં મોત; જવાબી કાર્યવાહીમાં 12 આતંકવાદી ઠાર | હોર્મુઝમાં ફરી ઓઈલ ટેન્કર પર મિસાઇલ હુમલો: 28 ભારતીય નાવિકો સુરક્ષિત, ભારતીય દૂતાવાસે શરૂ કરી સતત દેખરેખ. | 26 દિવસની ભૂખ હડતાળ બાદ સોનમ વાંગચુકનો આક્રોશ, 'ડીલ'ના આરોપો પર આપ્યો સણસણતો જવાબ | ભારે વરસાદ વચ્ચે મીડિયાની જનસેવાને મુખ્યમંત્રીનો સલામ, ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો આભાર | જૂતામાં છુપાવી TETનું પ્રશ્નપત્ર બહાર લાવ્યું! ₹1.5 કરોડમાં વેચવાના કાવતરાનો પર્દાફાશ, માસ્ટરમાઇન્ડ બિહારથી ઝડપાયો. | ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર: વાવ-થરાદ અને વલસાડમાં સૌથી વધુ વરસાદ, માત્ર 4 કલાકમાં 139 તાલુકા ભીંજાયા. | મોરબીમાં મચ્છુ-2 ડેમ છલકાયો: 100% ભરાતા 4 દરવાજા 7 ફૂટ ખોલાયા, 29 ગામોને એલર્ટ. | ₹89 કરોડના સાદરા-અલુવા બ્રિજના એપ્રોચ રોડમાં લોકાર્પણના 48 કલાકમાં જ ગાબડું. | તારીખ : ૨૫/૦૭/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. |
પાછા મુખ્ય સમાચાર પર
હવામાન ૧૮ વાર જોવાયેલ એક કલાક પેહલા

હવામાન ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર: વાવ-થરાદ અને વલસાડમાં સૌથી વધુ વરસાદ, માત્ર 4 કલાકમાં 139 તાલુકા ભીંજાયા.

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર: વાવ-થરાદ અને વલસાડમાં સૌથી વધુ વરસાદ, માત્ર 4 કલાકમાં 139 તાલુકા ભીંજાયા.

ગુજરાતમાં ચોમાસાએ જોર પકડતા સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાએ રાજ્યના અનેક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આજે સવારે 6:00 થી 10:00 વાગ્યા દરમિયાન માત્ર ચાર કલાકમાં રાજ્યના કુલ 139 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના વાવ-થરાદ પંથક અને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

સત્તાવાર આંકડા મુજબ બનાસકાંઠાના દિયોદર તાલુકામાં સૌથી વધુ 50 મીમી (આશરે 2 ઇંચ) વરસાદ નોંધાયો છે. ત્યારબાદ લાખાણીમાં 47 મીમી અને રહ તાલુકામાં 45 મીમી વરસાદ નોંધાયો છે. ધાનેરામાં 44 મીમી અને ઓગડમાં 36 મીમી વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના નાનાપોંઢામાં 43 મીમી અને કપરાડામાં 34 મીમી વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

અમદાવાદ જિલ્લામાં પણ વરસાદે જોર પકડ્યું છે. દેત્રોજ-રામપુરા તાલુકામાં સવારે માત્ર બે કલાકમાં 30 મીમી (1.18 ઇંચ) વરસાદ નોંધાતા અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. નવસારીના ખેરગામમાં 26 મીમી, ડાંગના સુબિરમાં 25 મીમી અને પાટણ જિલ્લાના સાંતલપુરમાં 24 મીમી વરસાદ નોંધાયો હતો. ઘણા વિસ્તારોમાં વરસાદને કારણે વાહનચાલકોને ધીમી ગતિએ મુસાફરી કરવી પડી હતી.

 

આ ઉપરાંત ખેડા, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, વડોદરા, નર્મદા, અમદાવાદ ગ્રામ્ય સહિતના અનેક જિલ્લાઓના તાલુકાઓમાં 10 થી 23 મીમી સુધી હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે કેટલાક શહેરી વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલને લઈને તંત્રની કામગીરી પણ કસોટી પર ચડી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. સતત વરસતા વરસાદને કારણે નદીઓ, તળાવો અને ડેમોમાં પાણીની આવક વધી રહી છે, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જરૂરિયાત મુજબ બચાવ દળો અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.

રાજ્ય સરકાર અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, નીચાણવાળા વિસ્તારો અને નદી-નાળાની નજીક ન જવા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે આગામી કલાકો રાજ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ