મારું શહેર જામનગરમાં કરોડોના આર્થિક ફૂલેકાનો પર્દાફાશ : વેપારી સામે રૂ. 1.33 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાયો
જામનગર શહેરના વેપારી વર્તુળોમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ચર્ચાનો વિષય બનેલા કરોડોના આર્થિક ફૂલેકા મામલે આખરે સિટી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પ્રાથમિક તપાસમાં વેપારીઓ અને ઓળખીતાઓ પાસેથી રૂ. 1 કરોડ 33 લાખ 40 હજાર મેળવી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવતા વેપારી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ જામનગરના સોઢાવાડી વિસ્તારમાં વહેવારિયા મદ્રેસા રોડ પર રહેતા મુસ્તાકભાઈ ઇબ્રાહીમભાઈ સાબુવાલા (ઉંમર 58) દ્વારા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે સિટી “એ” ડિવિઝન પોલીસે હિતેષભાઈ લક્ષ્મીકાંત ગોહીલ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316(5) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આરોપી હિતેષભાઈ ગોહીલ જામનગરના Valakeshwari Nagari વિસ્તારમાં આવેલા શાશ્વત એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું જાણવા મળે છે.
ફરિયાદ મુજબ આરોપી પોતે કાપડના વેપાર સાથે સાથે જુદી જુદી બેંકોના ક્રેડિટ કાર્ડ એજન્ટ તરીકે કામ કરતો હોવાનું જણાવી વેપારીઓ અને ઓળખીતાઓમાં વિશ્વાસ ઉભો કરતો હતો.
પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીએ કાપડના વેપાર અને ક્રેડિટ કાર્ડના ધંધામાં રોકાણ કરવાથી ઊંચું કમિશન તેમજ સારો નફો મળશે તેવી લાલચ આપી અનેક લોકોને વિશ્વાસમાં લીધા હતા.
આરોપીએ અલગ અલગ લોકો પાસેથી બેંક ચેક, ગુગલ-પે, રોકડ રકમ તેમજ ક્રેડિટ કાર્ડ મારફતે મોટી રકમ મેળવી હતી. પ્રાથમિક તપાસ મુજબ કુલ રૂ. 1,33,40,000 એકત્રિત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
જોકે રોકાણકારોને ન તો વચન મુજબ કમિશન આપવામાં આવ્યું હતું અને ન જ તેમની મૂળ રકમ પરત કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ સમગ્ર મામલો સામે આવતા વેપારીઓ અને રોકાણકારોમાં ભારે ચિંતા અને ગભરાટ ફેલાયો હતો. ફરિયાદ મુજબ આરોપી પોતાના પરિવાર સાથે અચાનક ફરાર થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે.
ઘણા વેપારીઓ અને રોકાણકારોએ પોતાની બચત તેમજ વેપારની મૂડી આ સ્કીમમાં રોકી હોવાનું જાણવા મળે છે. જેના કારણે આર્થિક નુકસાન ભોગવનારાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આખરે 25થી વધુ પીડિત વેપારીઓ જિલ્લા પોલીસ તંત્ર સમક્ષ પહોંચ્યા બાદ સમગ્ર મામલો સત્તાવાર રીતે પોલીસ સુધી પહોંચ્યો હતો.
સિટી “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ડોડીયા અને તેમની ટીમ દ્વારા અનેક વેપારીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા. પ્રાથમિક પુરાવા અને નિવેદનોના આધારે ચીટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.
હાલ સમગ્ર મામલે પીએસઆઈ વી.આર. ગામેતી વધુ તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળે છે. પોલીસ દ્વારા નાણાકીય લેવડદેવડ, બેંક એકાઉન્ટ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન તેમજ અન્ય દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.
કાનૂની નિષ્ણાતોનું કહેવું છે કે ઊંચા નફાની લાલચ આપતી આવી અનૌપચારિક રોકાણ યોજનાઓમાં લોકો ઘણી વખત વિશ્વાસના આધારે પૈસા મૂકી દેતા હોય છે, પરંતુ યોગ્ય કાનૂની દસ્તાવેજો અને સુરક્ષા ન હોવાને કારણે છેતરપિંડીના ભોગ બનવાની શક્યતા વધી જાય છે.
વેપારી વર્તુળોમાં હવે ચર્ચા ચાલી રહી છે કે આ મામલામાં વધુ લોકો પણ પીડિત તરીકે સામે આવી શકે છે. પોલીસ દ્વારા અન્ય સંભવિત ફરિયાદીઓને પણ આગળ આવવા અપીલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
તાજેતરના સમયમાં રાજ્યભરમાં રોકાણના બહાને છેતરપિંડીના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને ઊંચા કમિશન અને ઝડપથી નફો કમાવવાની લાલચ આપી લોકોને વિશ્વાસમાં લેવામાં આવતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.
જામનગરના આ મામલે પણ વેપારીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે અને ઘણા લોકો હવે પોતાના નાણાં પરત મળશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા અનુભવી રહ્યા છે.
હાલ સિટી “એ” ડિવિઝન પોલીસ ફરાર આરોપીને શોધવા માટે કાર્યવાહી ચલાવી રહી છે અને સમગ્ર આર્થિક વ્યવહારની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.