મારું ગુજરાત વાહન માલિકી ટ્રાન્સફર અને NOCની પ્રક્રિયામાં મોટો ફેરફાર, હવે આધાર લિંક ફરજિયાત
દેશભરના વાહન માલિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં વાહન માલિકી ટ્રાન્સફર (Ownership Transfer) અને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવાની પ્રક્રિયાને વધુ સુરક્ષિત, પારદર્શક અને ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકારે નવા નિયમો અમલમાં મૂક્યા છે. 15 જુલાઈ, 2026થી પરિવહન (Parivahan) પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
નવા નિયમો અનુસાર, વાહન માલિકે ઓનલાઈન અરજી કરતી વખતે પોતાના આધાર કાર્ડની વિગતો સિસ્ટમમાં ચકાસાવવી પડશે. જો આધાર કાર્ડની માહિતી પરિવહન પોર્ટલ પર ઉપલબ્ધ વિગતો સાથે સંપૂર્ણપણે મેળ ખાતી હશે, તો વાહન માલિકી ટ્રાન્સફર અથવા NOCની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન જ પૂર્ણ થઈ જશે. જેના કારણે અરજદારોને આરટીઓ કચેરીના ધક્કા ઓછા ખાવા પડશે અને પ્રક્રિયા વધુ સરળ બનશે.
જો અરજી દરમિયાન આધાર કાર્ડ અને પરિવહન પોર્ટલ પર નોંધાયેલી વિગતોમાં કોઈ તફાવત જોવા મળશે, તો અરજદારે પોતાની ઓળખની પુષ્ટિ માટે ડ્રાઈવિંગ લાયસન્સની વિગતો પણ ફરજિયાત દાખલ કરવી પડશે. આ વધારાની ચકાસણી બાદ જ અરજીની આગળની પ્રક્રિયા હાથ ધરાશે.
પરિવહન વિભાગના જણાવ્યા મુજબ, આ નવા નિયમનો મુખ્ય હેતુ વાહનોના અનધિકૃત ટ્રાન્સફર, ખોટી ઓળખના આધારે થતી છેતરપિંડી અને દસ્તાવેજોના દુરુપયોગને રોકવાનો છે. આધાર આધારિત ચકાસણીથી વાહન માલિકની ઓળખ વધુ વિશ્વસનીય બનશે અને વાહન સંબંધિત સેવાઓમાં સુરક્ષા વધશે.
નવી વ્યવસ્થા હેઠળ વાહન ખરીદનાર અને વેચનાર બંનેને વધુ પારદર્શક પ્રક્રિયાનો લાભ મળશે. સાથે જ ઓનલાઈન વેરિફિકેશનને કારણે ફાઇલની પ્રક્રિયામાં લાગતો સમય ઘટશે, દસ્તાવેજોની ચકાસણી ઝડપથી થશે અને આરટીઓમાં માનવ હસ્તક્ષેપ પણ ઓછો થશે.
પરિવહન નિષ્ણાતોના મતે, ડિજિટલ ચકાસણી આધારિત આ નવી વ્યવસ્થા વાહન વ્યવહારોને વધુ વિશ્વસનીય બનાવશે. સરકારનો પ્રયાસ છે કે તમામ વાહન સંબંધિત સેવાઓને વધુ સરળ, સુરક્ષિત અને સંપૂર્ણપણે ડિજિટલ બનાવીને નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે.