સબરસ FTAના વિરોધમાં ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ બોર્ડર પર હાઈ એલર્ટ.
ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) સામે ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. પંજાબ સહિત ઉત્તર ભારતના હજારો ખેડૂતો 'દેશ બચાવો મોરચા'ના આહ્વાન પર દિલ્હી તરફ કૂચ કરવા માટે શંભુ બોર્ડર પર એકત્ર થઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જો આ મુક્ત વ્યાપાર કરાર અમલમાં આવશે તો ભારતીય કૃષિ, ડેરી ઉદ્યોગ અને નાના ખેડૂતોના હિતોને ગંભીર નુકસાન પહોંચશે. બીજી તરફ આંદોલનને ધ્યાનમાં રાખીને હરિયાણા અને દિલ્હી પોલીસ સતર્ક બની ગઈ છે અને શંભુ બોર્ડર પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આંદોલનને વધુ વેગ ત્યારે મળ્યો જ્યારે દિલ્હીમાં યોજાનારી કિસાન મહાપંચાયતમાં ભાગ લેવા જઈ રહેલા ભારતીય કિસાન યુનિયન (ચઢૂની)ના રાષ્ટ્રીય પ્રમુખ ગુરનામ સિંહ ચઢૂનીને હરિયાણા પોલીસે અટકાયત કરી હતી. ચઢૂનીની અટકાયતના સમાચાર સામે આવતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂત સંગઠનોએ આ કાર્યવાહીનો વિરોધ કરતાં સરકાર પર ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. અનેક ખેડૂત સંગઠનોએ ચેતવણી આપી છે કે જો ખેડૂતોની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે તો આંદોલનને વધુ વ્યાપક બનાવવામાં આવશે.
ખેડૂતોની દિલ્હી કૂચને ધ્યાનમાં રાખીને શંભુ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત બનાવી દેવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 163 લાગુ કરવામાં આવી છે. પોલીસ દ્વારા મુખ્ય માર્ગો પર ભારે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને અનેક સ્થળોએ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની અશાંતિ અથવા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસ, રેપિડ એક્શન ફોર્સ અને અન્ય સુરક્ષા દળોને એન્ટી-રાયટ સાધનો સાથે તહેનાત કરવામાં આવ્યા છે. ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા પણ સમગ્ર વિસ્તાર પર સતત નજર રાખવામાં આવી રહી છે.
અમૃતસર, ગુરદાસપુર, પટિયાલા સહિત પંજાબના વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતોના કાફલાઓ શંભુ બોર્ડર તરફ આગળ વધી રહ્યા છે. ટ્રેક્ટર-ટ્રોલીઓ, બસો અને અન્ય વાહનો મારફતે મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હીમાં યોજાનારી મહાપંચાયતમાં જોડાવા માટે નીકળી પડ્યા છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે આ લડત માત્ર પંજાબના ખેડૂતોની નથી, પરંતુ સમગ્ર દેશના ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના ભવિષ્ય સાથે જોડાયેલી છે. તેથી દેશભરના ખેડૂતોને પણ આ આંદોલનમાં જોડાવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.
ખેડૂતોના વિરોધનું મુખ્ય કારણ ભારત અને અમેરિકા વચ્ચેનો પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. ખેડૂતોનું માનવું છે કે આ કરાર અમલમાં આવ્યા બાદ અમેરિકાના સસ્તા કૃષિ અને ડેરી ઉત્પાદનો ભારતીય બજારમાં મોટા પાયે પ્રવેશ કરશે. પરિણામે સ્થાનિક ખેડૂતોને તેમના પાક અને ઉત્પાદનો માટે યોગ્ય ભાવ નહીં મળે. ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતો માટે સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બનશે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે ભારતીય કૃષિ વ્યવસ્થા હજુ પણ મોટા પ્રમાણમાં નાના ખેડૂતો પર આધારિત છે અને આવા કરારથી તેમની આજીવિકા પર સીધી અસર પડશે.
ખેડૂત આગેવાનોનો દાવો છે કે માત્ર કૃષિ જ નહીં પરંતુ ડેરી ઉદ્યોગ પર પણ FTAની ગંભીર અસર થઈ શકે છે. વિદેશી ડેરી ઉત્પાદનોના આયાતમાં વધારો થતાં સ્થાનિક દૂધ ઉત્પાદકો અને પશુપાલકોને નુકસાન ભોગવવું પડી શકે છે. ગ્રામીણ અર્થતંત્રમાં ડેરી ઉદ્યોગ મહત્વનો આધારસ્તંભ હોવાથી લાખો પરિવારોની આવક પર તેની અસર પડશે. ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારને કરાર અંગે પારદર્શિતા રાખવાની અને ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર્યા વિના કોઈ નિર્ણય ન લેવા માંગ કરી છે.
શંભુ બોર્ડર પર હાલ તંગ પરંતુ નિયંત્રણ હેઠળની સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ ખેડૂતો પોતાની માંગણીઓ સાથે દિલ્હી તરફ આગળ વધવાની તૈયારીમાં છે તો બીજી તરફ વહીવટી તંત્ર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત સતર્ક છે. કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે આગામી દિવસોમાં ચર્ચા થાય છે કે નહીં અને FTA મુદ્દે સરકાર શું વલણ અપનાવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. ખેડૂતો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેમની માંગણીઓ પર યોગ્ય નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.