મારું શહેર જામનગરના સ્વાસ્થ્ય અને શિક્ષણનું મહાતીર્થ: શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ.
રાજવી જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજીના ભૂમિદાન અને દાનવીર શેઠ શ્રી મેઘજી પેથરાજ શાહના આર્થિક સહયોગથી રોપાયેલું નાનું છોડ આજે બન્યું વિશાળ વટવૃક્ષ
વર્ષ 1955માં માત્ર 60 વિદ્યાર્થીઓથી શરૂ થયેલી સંસ્થા આજે દેશ-વિદેશને આપી ચૂકી છે 10,000થી વધુ કુશળ તબીબો
જામનગર શહેરની ઓળખ માત્ર ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ઔદ્યોગિક નગરી તરીકે જ નથી, પરંતુ આરોગ્ય અને તબીબી શિક્ષણના ક્ષેત્રે પણ શહેરે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. આ ગૌરવ પાછળ સૌથી મોટું નામ છે શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ, જે છેલ્લા સાત દાયકાથી વધુ સમયથી આરોગ્ય સેવા અને તબીબી શિક્ષણના ક્ષેત્રે અનન્ય યોગદાન આપી રહી છે.
આ સંસ્થા આજે માત્ર એક મેડિકલ કોલેજ નથી, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે સ્વાસ્થ્ય સેવા, સંશોધન અને માનવતાની સેવાનું જીવંત કેન્દ્ર બની ચૂકી છે. અહીંથી અભ્યાસ પૂર્ણ કરીને નીકળેલા હજારો ડૉક્ટરો આજે દેશ-વિદેશમાં આરોગ્ય સેવાઓ આપી રહ્યા છે અને જામનગરનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કરી રહ્યા છે.

દૂરંદેશી રાજવી અને દાનવીરની અનોખી ભેટ
આ ભવ્ય સંસ્થાના પાયામાં બે મહાન વ્યક્તિત્વોની દુરંદેશી અને સમાજસેવાની ભાવના સમાયેલી છે. જામનગરના પ્રજાવત્સલ રાજવી જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજીએ આરોગ્ય અને શિક્ષણના વિકાસ માટે 61 એકર જેટલી કિંમતી જમીન દાનમાં આપી હતી. તે સમયગાળામાં આટલી વિશાળ જમીન જાહેર હિત માટે ફાળવવાનો નિર્ણય રાજવીની લોકકલ્યાણકારી વિચારસરણીનો જીવંત પુરાવો હતો.
રાજવીના આ સ્વપ્નને સાકાર કરવા માટે લંડનમાં વસતા દાનવીર ઉદ્યોગપતિ શેઠ શ્રી મેઘજી પેથરાજ શાહ આગળ આવ્યા હતા. તેમણે વર્ષ 1954માં રૂ.15 લાખનું વિશાળ દાન આપ્યું હતું. તે સમયના રૂ.15 લાખનું મૂલ્ય આજના સમયમાં અંદાજે રૂ.250 થી 300 કરોડ જેટલું ગણાય છે. આ દાન માત્ર આર્થિક સહાય નહોતું, પરંતુ ભવિષ્યની પેઢીઓને આરોગ્ય અને શિક્ષણની અમૂલ્ય ભેટ હતી.
રાજવીનું ભૂમિદાન અને દાનવીરનું અર્થદાન – આ બંનેના સમન્વયથી જામનગરના ઇતિહાસમાં એક એવું સુવર્ણ અધ્યાય સર્જાયો, જે આજે પણ લોકો ગૌરવ સાથે યાદ કરે છે.
1955માં થઈ હતી શરૂઆત
વર્ષ 1955માં માત્ર 60 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ સાથે શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજનો પ્રારંભ થયો હતો. શરૂઆતના દિવસોમાં મર્યાદિત સુવિધાઓ વચ્ચે શરૂ થયેલી આ સંસ્થાએ ધીમે ધીમે વિકાસની સીડી સર કરવાનું શરૂ કર્યું.
સમય જતાં આધુનિક શિક્ષણ વ્યવસ્થા, અનુભવી પ્રાધ્યાપકો, વૈજ્ઞાનિક સંશોધન અને અત્યાધુનિક તબીબી સુવિધાઓના કારણે સંસ્થાની પ્રતિષ્ઠા સતત વધતી ગઈ. આજે આ કોલેજ દેશની અગ્રણી સરકારી મેડિકલ કોલેજોમાં સ્થાન ધરાવે છે.

10,000થી વધુ ડૉક્ટરોનું ઘડતર
છેલ્લા સાત દાયકામાં આ સંસ્થાએ 10,000થી વધુ તબીબો દેશ અને દુનિયાને આપ્યા છે. અહીંથી અભ્યાસ પૂર્ણ કરનારા અનેક ડૉક્ટરો ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, મધ્ય પૂર્વ અને અન્ય દેશોમાં પણ સફળતાપૂર્વક સેવા આપી રહ્યા છે.
ઘણા પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા હાંસલ કરી છે અને અનેક મહત્વપૂર્ણ હોસ્પિટલો, સંશોધન સંસ્થાઓ તથા મેડિકલ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ હોદ્દાઓ પર કાર્યરત છે.
આધુનિક તબીબી શિક્ષણનું કેન્દ્ર
સમયની જરૂરિયાત અનુસાર સંસ્થાએ પોતાની શૈક્ષણિક ક્ષમતામાં સતત વધારો કર્યો છે. હાલમાં દર વર્ષે:
- 250 MBBS બેઠકો
- 243 અનુસ્નાતક (PG) બેઠકો
- 5 સુપર સ્પેશિયાલિટી બેઠકો
દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનું તબીબી શિક્ષણ આપવામાં આવે છે.
આધુનિક લેબોરેટરીઓ, અદ્યતન સંશોધન સુવિધાઓ, ડિજિટલ લાઇબ્રેરી અને અનુભવી શિક્ષકવર્ગના કારણે વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત થાય છે.

ગુરુ ગોબિંદસિંહ હોસ્પિટલ: લાખો દર્દીઓ માટે જીવનદાયિની
શ્રી એમ.પી. શાહ મેડિકલ કોલેજ સાથે સંકળાયેલી ગુરુ ગોબિંદસિંહ હોસ્પિટલ (જી.જી. હોસ્પિટલ) આજે સમગ્ર સૌરાષ્ટ્ર માટે આશીર્વાદ સમાન બની છે.
દરરોજ હજારો દર્દીઓ અહીં સારવાર માટે આવે છે. જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, કચ્છ અને અન્ય જિલ્લાઓમાંથી પણ દર્દીઓ અહીં પહોંચે છે.
આ હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓને વિનામૂલ્યે અથવા અત્યંત ઓછા ખર્ચે સારવાર ઉપલબ્ધ થતી હોવાથી લાખો પરિવારોને જીવનદાયી સહારો મળ્યો છે.
સંશોધન અને આરોગ્ય ક્ષેત્રે આગવું યોગદાન
મેડિકલ કોલેજે માત્ર શિક્ષણ અને સારવાર પૂરતી પોતાની ભૂમિકા મર્યાદિત રાખી નથી, પરંતુ સંશોધન ક્ષેત્રે પણ નોંધપાત્ર કામગીરી કરી છે.
વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા વિવિધ રોગો, નવી સારવાર પદ્ધતિઓ અને આરોગ્યલક્ષી વિષયો પર સતત સંશોધન કરવામાં આવે છે. જેના કારણે સંસ્થા રાષ્ટ્રીય સ્તરે પણ આગવું સ્થાન ધરાવે છે.

ડૉ. મૌલિક શાહનું નિવેદન
આ અવસરે બાળરોગ વિભાગના પ્રાધ્યાપક ડૉ. મૌલિક શાહએ જણાવ્યું હતું કે જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજી અને દાનવીર શેઠ મેઘજી પેથરાજ શાહનું યોગદાન અવિસ્મરણીય છે. તેમણે વર્ષો પહેલાં સમાજને આપેલી આ અમૂલ્ય ભેટ આજે લાખો લોકોના જીવનમાં આશા અને આરોગ્યનો પ્રકાશ પાથરી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સંસ્થા માત્ર ડૉક્ટરો તૈયાર કરતી નથી, પરંતુ માનવતાની સેવા માટે સમર્પિત તબીબોનું ઘડતર કરે છે.
જામનગર માટે ગૌરવની ધરોવર
શ્રી એમ.પી. શાહ સરકારી મેડિકલ કોલેજ આજે જામનગરની સૌથી મોટી શૈક્ષણિક અને આરોગ્યલક્ષી ઓળખ બની ચૂકી છે. રાજવીની દૂરંદેશી અને દાનવીરની ઉદારતાથી રોપાયેલું નાનું છોડ આજે વિશાળ વટવૃક્ષ બની સમગ્ર સમાજને છાંયો આપી રહ્યું છે.
સાત દાયકાથી વધુ સમયથી આ સંસ્થા હજારો વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરી રહી છે, લાખો દર્દીઓને નવી જિંદગી આપી રહી છે અને આરોગ્ય તથા શિક્ષણના ક્ષેત્રે સતત નવા શિખરો સર કરી રહી છે.
જામનગરની ધરતી પર ઊભેલી આ સંસ્થા ખરેખર “સ્વાસ્થ્ય અને શિક્ષણનું મહાતીર્થ” બની ગઈ છે, જેના માટે સમગ્ર હાલાર પંથક અને ગુજરાત હંમેશા ગૌરવ અનુભવે છે.
સમયસંદેસ દ્વારા દેશ - વિદેશના લટેસ્ટ ઉપડેટ માટે એપ લોન્ચ કરવામાં આવ્યું છે તો એપ ને ડાઉનલોડ કરવા માટે આપેલ લિન્ક પર ક્લિક કરો અને મેળવો લટટેસ્ટ ઉપડેટ : https://play.google.com/store/apps/details?id=com.samaysandeshnews