મારું શહેર ચોમાસા પૂર્વે તંત્રની ઘોર બેદરકારીનો આક્ષેપ.
વરસાદી પાણીના નિકાલ માટે નાની પાઇપો મુકાતા સ્થાનિકોમાં ચિંતા
અંકલેશ્વર:
ચોમાસાની ઋતુના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અંકલેશ્વર શહેરમાં વરસાદી પાણીના નિકાલને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. શહેરના દિવા રોડ વિસ્તારમાં ચાલી રહેલી નાળાની નવીનકરણ કામગીરી દરમિયાન પાણીના નિકાલ માટે અત્યંત નાની ક્ષમતાની પાઇપો મુકવામાં આવી હોવાના આક્ષેપો સામે આવતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે.
મળતી માહિતી મુજબ અંકલેશ્વર પાલિકાના વોર્ડ નંબર-1માં આવેલા દિવા રોડ પર મારૂતિ બંગલોઝ સોસાયટી નજીક વર્ષો જૂના અને જર્જરિત નાળાને તોડી નવું નાળું બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે સ્થાનિકોના જણાવ્યા અનુસાર કામગીરી દરમિયાન યોગ્ય આયોજનના અભાવે અનેક સમસ્યાઓ ઉભી થઈ રહી છે.
સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે નાળાના નિર્માણ દરમિયાન કોન્ટ્રાક્ટર અને સંબંધિત તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી નથી. પરિણામે વરસાદી પાણી અને ગંદા પાણીના નિકાલ માટે મહત્વપૂર્ણ ગણાતી વ્યવસ્થાને અપૂરતી ક્ષમતાવાળી પાઇપો દ્વારા ડાયવર્ટ કરવામાં આવી છે.
વિસ્તારના નાગરિકોના જણાવ્યા મુજબ દિવા રોડ પરથી પસાર થતી એમ.એસ.-29 કાંસ અંકલેશ્વર અને આસપાસના વિસ્તારો માટે અત્યંત મહત્વની ડ્રેનેજ લાઇન છે. આ કાંસ મારફતે અનેક ગ્રામ્ય વિસ્તારો, રહેણાંક સોસાયટીઓ તેમજ જીઆઈડીસી વિસ્તારના ગંદા પાણી અને સૂએઝનો નિકાલ કરવામાં આવે છે. જેના કારણે આ કાંસને સમગ્ર વિસ્તારની “લાઈફલાઈન” તરીકે જોવામાં આવે છે.
હાલ નાળાની કામગીરી ચાલુ હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા કાંસના પાણીનો પ્રવાહ તાત્કાલિક ધોરણે અન્ય માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પરંતુ આ માટે જે પાઇપો મુકવામાં આવી છે તેની ક્ષમતા ખૂબ ઓછી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
સ્થાનિકોના કહેવા મુજબ હાલમાં જ કાંસમાં ગંદા પાણીનો પ્રવાહ નોંધપાત્ર પ્રમાણમાં છે. આવી સ્થિતિમાં જો આગામી દિવસોમાં વરસાદ શરૂ થશે તો પાણીનો જથ્થો વધુ વધી જશે. ત્યારે નાની પાઇપો પાણીનો પ્રવાહ સંભાળી નહીં શકે અને તેના કારણે પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે.
વિસ્તારના રહેવાસીઓએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે જો ભારે વરસાદ પડે તો ગંદા પાણી અને વરસાદી પાણીનો ભરાવો રહેણાંક વિસ્તારો સુધી પહોંચી શકે છે. જેના કારણે માર્ગો પર પાણી ભરાઈ જવા ઉપરાંત લોકોના ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસવાનો ખતરો ઉભો થઈ શકે છે.
સ્થાનિક આગેવાનો અને રહેવાસીઓએ પાલિકા તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. તેઓનું કહેવું છે કે ચોમાસું શરૂ થાય તે પહેલાં ડાયવર્ઝન માટે પૂરતી ક્ષમતાવાળી પાઇપો મૂકવામાં આવે અને સમગ્ર વ્યવસ્થાની ટેકનિકલ સમીક્ષા કરવામાં આવે જેથી કોઈ મોટી મુશ્કેલી ઉભી ન થાય.
જલારામ ગરનાળાની કામગીરી અને અન્ય વિકાસકાર્યોને કારણે વોર્ડ નંબર-1ના નાગરિકો છેલ્લા કેટલાક સમયથી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. હવે ચોમાસા પૂર્વે વરસાદી પાણીના નિકાલ અંગે ઉભા થયેલા પ્રશ્નોએ લોકોની ચિંતામાં વધુ વધારો કર્યો છે.
સ્થાનિક નાગરિકોએ ચેતવણી આપી છે કે જો સમયસર યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો પ્રથમ જ ભારે વરસાદમાં વિસ્તાર જળબંબાકાર બનવાની શક્યતા છે. હાલ લોકોની નજર પાલિકા તંત્ર અને સંબંધિત વિભાગો દ્વારા લેવામાં આવનારા નિર્ણય પર ટકેલી છે.
ચોમાસું હવે નજીક છે ત્યારે વરસાદી પાણીના નિકાલ જેવી મૂળભૂત સુવિધાઓમાં બેદરકારીના આક્ષેપો વચ્ચે અંકલેશ્વરના દિવા રોડ વિસ્તારના રહેવાસીઓ તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી ની રાહ જોઈ રહ્યા છે.