ઈન્ડિયા CBSEમાં મોટો વહીવટી ફેરફાર: ચેરમેન અને સચિવ હટાવાયા, ટેન્ડર વિવાદની તપાસના આદેશ; પોર્ટલ પર સાયબર એટેકનો પ્રયાસ.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)માં મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે CBSEના ચેરમેન અને સચિવને તેમના પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી સાથે જ પરીક્ષાઓના મૂલ્યાંકન માટે અમલમાં મૂકાયેલી વિવાદાસ્પદ ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમના ટેન્ડર પ્રક્રિયાની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઓન-સ્ક્રીન માર્કિંગ સંબંધિત ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા, પ્રક્રિયાત્મક નિયમો અને ટેકનિકલ માપદંડોને લઈને ઉઠેલા પ્રશ્નોના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સંબંધિત સમગ્ર પ્રક્રિયાની વિગતવાર તપાસ કરવામાં આવશે અને જો કોઈ અનિયમિતતા સામે આવશે તો જવાબદારો સામે કાર્યવાહી થઈ શકે છે.
આ દરમિયાન આજે CBSEના રી-વેલ્યુએશન અને માર્ક્સ વેરિફિકેશન સંબંધિત ઓનલાઈન પોર્ટલ પર પણ અસાધારણ દબાણ જોવા મળ્યું હતું. બોર્ડના જણાવ્યા અનુસાર રી-વેલ્યુએશન પ્રક્રિયા શરૂ થતાં જ માત્ર બે મિનિટના સમયગાળામાં 15 લાખથી વધુ હિટ્સ નોંધાઈ હતી.
ટેકનિકલ નિષ્ણાતોના પ્રાથમિક વિશ્લેષણ મુજબ આ ભારે ટ્રાફિકમાં સામાન્ય વપરાશકર્તાઓ ઉપરાંત કેટલાક શંકાસ્પદ ડિજિટલ એક્સેસ પ્રયાસો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. સિસ્ટમમાં અનધિકૃત રીતે પ્રવેશ મેળવવા અને ફાઈલો એક્સેસ કરવાનો પ્રયાસ થયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
CBSEના ટેકનિકલ વિભાગે તાત્કાલિક સાયબર સુરક્ષા પ્રોટોકોલ સક્રિય કરી દીધા હતા, જેના કારણે પોર્ટલને કોઈ મોટું નુકસાન થયું નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓના પરિણામો અથવા અન્ય સંવેદનશીલ ડેટામાં કોઈ છેડછાડ થઈ હોવાના પુરાવા અત્યાર સુધી મળ્યા નથી.
સાયબર સુરક્ષા એજન્સીઓ અને ટેકનિકલ ટીમો દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. હુમલો માત્ર અતિશય ટ્રાફિકના કારણે સર્જાયો હતો કે પછી કોઈ સુનિયોજિત સાયબર હુમલાનો પ્રયાસ હતો તે અંગે ડિજિટલ ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી છે.
શિક્ષણ ક્ષેત્રના જાણકારોનું માનવું છે કે તાજેતરમાં પરિણામો, રી-વેલ્યુએશન પ્રક્રિયા અને ડિજિટલ મૂલ્યાંકન પદ્ધતિને લઈને વધી રહેલા વિવાદો વચ્ચે CBSEમાં થયેલા આ વહીવટી ફેરફારો અને ટેન્ડર તપાસ આગામી દિવસોમાં વધુ ચર્ચાનો વિષય બની શકે છે.
દરમિયાન CBSEએ વિદ્યાર્થીઓ અને વાલીઓને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે અને તમામ સેવાઓને સુરક્ષિત તથા સુચારુ રાખવા માટે જરૂરી તકેદારી લેવામાં આવી હોવાનું જણાવ્યું છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે રી-વેલ્યુએશન અને અન્ય ઓનલાઈન પ્રક્રિયાઓ નિયમિત રીતે ચાલુ રહેશે અને વિદ્યાર્થીઓના હિતોને કોઈ અસર થવા દેવામાં આવશે નહીં.