આંતરરાષ્ટ્રીય ઇન્ડોનેશિયામાં દરિયામાં ભયાનક દુર્ઘટના: મુસાફરો ભરેલી ફેરીમાં આગ, 5ના મોત; 41 લોકો હજુ લાપતા
ઇન્ડોનેશિયામાં દરિયાઈ મુસાફરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. 271 મુસાફરો અને ક્રૂ સભ્યોને લઈને જઈ રહેલી પેસેન્જર ફેરીમાં રવિવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 41 લોકો હજુ પણ લાપતા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.
સમાચાર એજન્સી AFP અને Reutersના અહેવાલો અનુસાર, ફેરીમાં કુલ 271 લોકો સવાર હતા, જેમાં મુસાફરો ઉપરાંત ક્રૂ સભ્યોનો પણ સમાવેશ થતો હતો. આગ લાગ્યા બાદ તરત જ ઇમરજન્સી સેવાઓને જાણ કરવામાં આવી હતી અને દરિયાઈ બચાવ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અત્યાર સુધીમાં 225 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય લોકોની શોધખોળ હજુ પણ ચાલુ છે.
સુરાબાયા સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓફિસના વડાએ જણાવ્યું હતું કે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી, જેના કારણે ફેરીમાં હાજર મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘણા મુસાફરો પાસે બચવાનો કોઈ રસ્તો ન રહેતાં તેમણે પોતાનો જીવ બચાવવા માટે દરિયાના ઊંડા પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. કેટલાક મુસાફરોને સ્થાનિક માછીમારો અને બચાવ ટીમોએ પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
દુર્ઘટના બાદ દરિયાઈ વિસ્તારમાં મોટા પાયે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બચાવ કામગીરીમાં નેવી, કોસ્ટ ગાર્ડ, રેસ્ક્યુ બોટ્સ અને હેલિકોપ્ટરોની મદદ લેવામાં આવી રહી છે. લાપતા 41 લોકોની શોધ માટે દરિયામાં સતત કોમ્બિંગ ઓપરેશન ચાલી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે સમુદ્રની સ્થિતિ અને હવામાનને ધ્યાનમાં રાખીને બચાવ કામગીરી ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે.
હાલમાં ફેરીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. નિષ્ણાતોની ટીમ ઘટનાની તપાસ કરી રહી છે અને આગ કેવી રીતે ફાટી નીકળી તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક રીતે તકનીકી ખામી અથવા અન્ય કારણોની સંભાવનાઓ પણ તપાસના દાયરામાં છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવાની પ્રક્રિયા પણ ચાલુ છે.
આ દુર્ઘટનાએ ઇન્ડોનેશિયામાં દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સરકાર દ્વારા ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને લાપતા લોકોને શોધવા માટે તમામ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ જ જાનહાનિનું ચોક્કસ ચિત્ર સ્પષ્ટ થઈ શકશે.