ક્રાઇમ “મારી સામે ડોળા કેમ કાઢે છે?” કહી યુવક પર પથ્થરથી હુમલો, માથામાં ઇજા
જામનગર શહેરના સિદ્ધાર્થનગર વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલી હિંસક સ્વરૂપ ધારણ કરતાં એક યુવક પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં યુવકના માથામાં ઇજા પહોંચતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, જામનગર શહેરના સિદ્ધાર્થનગર શેરી નં. 1 વિસ્તારમાં રહેતા તરુણભાઈ પ્રવિણભાઈ માંડલિયા પોતાના રહેણાંક મકાન નજીક આવેલી એક દુકાને પાણીની બોટલ ખરીદવા માટે ગયા હતા. તે દરમિયાન દુકાન પાસે હાજર રહેલા જગદીશભાઈ બીલાભાઈ બાવરી સાથે તેમની સામાન્ય બોલાચાલી થઈ હતી.
ફરિયાદ મુજબ, આરોપીએ તરુણભાઈને ઉશ્કેરાટભરી ભાષામાં “મારી સામે ડોળા કેમ કાઢે છે?” તેમ કહી તકરાર શરૂ કરી હતી. આ બાદ બંને વચ્ચે ઝપાઝપી અને ઉગ્ર જઘડો થયો હતો. દરમિયાન આરોપીએ ફરિયાદીને ઢીંકાપાટુનો માર માર્યો હતો તેમજ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
બનાવ વધુ ઉગ્ર બનતા આરોપીએ રોડ પર પડેલો એક પથ્થર ઉઠાવી ફરિયાદીના માથાના પાછળના ભાગે જોરદાર પ્રહાર કર્યો હતો. પથ્થર વાગતા તરુણભાઈને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી જગદીશભાઈ બીલાભાઈ બાવરી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે હુમલાના કારણો, ઘટનાક્રમ તેમજ સાક્ષીઓના નિવેદનોના આધારે વધુ તપાસ શરૂ કરી છે. શહેરમાં નજીવી બાબતોને લઈને થતી મારામારીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ દ્વારા લોકોમાં સંયમ જાળવવાની અને કાયદો પોતાના હાથમાં ન લેવાની અપીલ કરવામાં આવી રહી છે.