જાહેરાત
તાજા સમાચાર
ખેડૂતોને મોટી રાહત: ગુજરાત સરકારે ટેકાના ભાવે ખરીદીની મર્યાદામાં કર્યો વધારો, બાજરી-મકાઈ-જુવારના ઉત્પાદકોને મળશે સીધો લાભ | જામનગરમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત: ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સાથે એસ.ઓ.જી.નું સઘન ચેકિંગ અભિયાન | જામનગર મહાનગરપાલિકાની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ | TMCમાં સૌથી મોટો રાજકીય ભૂકંપ? યુસુફ પઠાણ, શત્રુઘ્ન સિંહા સહિત 19 સાંસદોના બળવાના દાવાથી મમતા બેનર્જી પર સંકટના વાદળો | વીજ લાઈનોના મુદ્દે ખેડૂતોના આક્ષેપો: કોંગ્રેસ અને ખેડૂત આગેવાનોની DGP સાથે મુલાકાત. | ભારતના રાજકીય ઇતિહાસમાં નવો અધ્યાય: સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા નરેન્દ્ર મોદી, કેબિનેટે ઉભા થઈ તાળીઓથી કર્યું સ્વાગત | રાજકોટ-દ્વારકા વચ્ચે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનની ભેટ: એક મહિના સુધી પાંચ દિવસ દોડશે, મુસાફરોને મળશે મોટી રાહત | જામનગરના વિકાસની જીવંત ગાથા બની ‘પ્રગતિ પથ યાત્રા’: ઐતિહાસિક વારસા અને આધુનિક વિકાસના સંગમનો ભવ્ય પ્રારંભ | ઉરી સેક્ટરમાં દુર્ઘટના: ગ્રેનેડ બ્લાસ્ટમાં સેનાના બે જવાન શહીદ, તપાસ શરૂ | અમદાવાદ મેટ્રોને વધુ ગતિ: કેન્દ્રીય કેબિનેટે ફેઝ-2Aના 6 કિમી નવા કોરિડોરને મંજૂરી આપી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૨૫ વાર જોવાયેલ

મારું શહેર જામનગરના વિકાસની જીવંત ગાથા બની ‘પ્રગતિ પથ યાત્રા’: ઐતિહાસિક વારસા અને આધુનિક વિકાસના સંગમનો ભવ્ય પ્રારંભ

P
PRATIK RATHOD
એક કલાક પેહલા
જામનગરના વિકાસની જીવંત ગાથા બની ‘પ્રગતિ પથ યાત્રા’: ઐતિહાસિક વારસા અને આધુનિક વિકાસના સંગમનો ભવ્ય પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનને જનજન સુધી પહોંચાડવા જામનગરમાં શરૂ થઈ અનોખી વિકાસ યાત્રા, 13 મહત્ત્વપૂર્ણ પ્રકલ્પોની મુલાકાત દ્વારા નાગરિકોને કરાવાઈ વિકાસની અનુભૂતિ

જામનગર જિલ્લો ઐતિહાસિક ગૌરવ, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને આધુનિક વિકાસના અનોખા સમન્વય માટે સમગ્ર ગુજરાતમાં વિશેષ ઓળખ ધરાવે છે. છેલ્લા બે દાયકામાં રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી જામનગર જિલ્લામાં અનેક એવા વિકાસલક્ષી પ્રકલ્પો સાકાર થયા છે, જેણે જિલ્લાની ઓળખને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી છે. આ વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓને સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવા તથા લોકોને વિકાસની આ સફરનો પ્રત્યક્ષ અનુભવ કરાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “પ્રગતિ પથ યાત્રા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી વિઝન અને વિકાસલક્ષી વિચારસરણી હેઠળ ગુજરાતે અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. એ જ વિકાસગાથાને લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે જામનગર જિલ્લામાં તા. 8 જૂનથી 14 જૂન સુધી બે તબક્કામાં આ વિશિષ્ટ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર શ્રી પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ યાત્રા વિકાસ, સંસ્કૃતિ, પર્યાવરણ, શિક્ષણ, આરોગ્ય અને વારસાને એક સાથે રજૂ કરતી અનોખી પહેલ તરીકે ઉભરી છે.

ગત 9 જૂનના રોજ જામનગર કલેક્ટર કચેરી ખાતેથી પ્રગતિ પથ યાત્રાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદશ્રી પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજનબેન જીવાણી, મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટર શ્રી પી.બી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, મ્યુનિસિપલ કમિશનર શ્રી દીપેશ કેડિયા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રગતિ પથ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ માત્ર વિકાસ કાર્યો દર્શાવવાનો નથી, પરંતુ નાગરિકોને એ સમજાવવાનો પણ છે કે સરકારની વિવિધ યોજનાઓ અને પ્રકલ્પો કેવી રીતે તેમના જીવનને સ્પર્શી રહ્યા છે. યાત્રાના પ્રથમ દિવસે જામનગર જિલ્લાના ઐતિહાસિક, શૈક્ષણિક, પર્યાવરણીય અને આધુનિક વિકાસના અનેક મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી.

યાત્રાનો પ્રથમ મહત્વપૂર્ણ પડાવ ખીજડીયા પક્ષી અભ્યારણ રહ્યો હતો. ખીજડીયા આજે માત્ર જામનગરનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ ગણાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રામસર સાઇટ તરીકે માન્યતા મેળવનાર આ અભ્યારણ હજારો દેશી અને વિદેશી પક્ષીઓ માટે આશ્રયસ્થાન બન્યું છે. અહીં મુલાકાતીઓએ વિવિધ પક્ષીઓનું નિરીક્ષણ કર્યું અને પર્યાવરણ સંરક્ષણ અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી. વન વિભાગના અધિકારીઓએ અભ્યારણના વિકાસ, જૈવવિવિધતા અને પ્રવાસન ક્ષેત્રે તેના યોગદાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

ત્યારબાદ યાત્રા જાંબુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર પહોંચી હતી. આરોગ્ય ક્ષેત્રે ગુજરાતે છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વિકાસ કર્યો છે. આ આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ આધુનિક આરોગ્ય સેવાઓ, માતા અને બાળક માટેની વિશેષ સુવિધાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા માટે હાથ ધરાયેલા પ્રયાસોની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

શિક્ષણ ક્ષેત્રે થયેલા પરિવર્તનોને રજૂ કરવા માટે યાત્રામાં પી.એમ. શ્રી શાળા હડિયાણાની મુલાકાત લેવામાં આવી હતી. અહીં વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ શિક્ષણ, આધુનિક પ્રયોગશાળાઓ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ વિશે મહાનુભાવોને માહિતગાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને તેમની શૈક્ષણિક પ્રગતિ વિશે પણ માહિતી મેળવવામાં આવી હતી.

યાત્રાનો એક વિશેષ આકર્ષણ ભાદરા ખાતે આવેલ પ્રાકૃતિક ફાર્મ રહ્યો હતો. અહીં કુદરતી ખેતી, ઓર્ગેનિક કૃષિ અને પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિઓ અંગે માહિતી આપવામાં આવી હતી. કૃષિ ક્ષેત્રમાં થતા નવીન પ્રયોગો અને ખેડૂતો માટેની સરકારી યોજનાઓ વિશે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

આગળ વધતી યાત્રાએ ભાદરા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. આ મંદિર માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું પણ પ્રતિક છે. મહાનુભાવોએ મંદિરની ઐતિહાસિકતા, સ્થાપત્ય કળા અને સમાજસેવાના કાર્યો વિશે માહિતી મેળવી હતી.

જામનગર જિલ્લાના ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવતું ભૂચરમોરીનું યુદ્ધસ્થળ પણ યાત્રાનો મહત્વપૂર્ણ ભાગ રહ્યું હતું. ગુજરાતના ઇતિહાસમાં આ સ્થળ શૌર્ય, બલિદાન અને સ્વાભિમાનના પ્રતિક તરીકે ઓળખાય છે. અહીં ઉપસ્થિત લોકોને ભૂચરમોરીના ઐતિહાસિક યુદ્ધની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. શહીદોની યાદમાં નિર્માણ પામેલા સ્મારકો અને ઇતિહાસના વિવિધ પ્રસંગોની જાણકારી મેળવી સૌએ ગૌરવની લાગણી અનુભવી હતી.

વિકાસના આધુનિક ચહેરાને રજૂ કરવા માટે હાપા રેલવે સ્ટેશન અને નવા ઓવરબ્રિજની મુલાકાત પણ યોજાઈ હતી. અહીં રેલવે ક્ષેત્રે થયેલા આધુનિકીકરણ, મુસાફરોને મળતી સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની માહિતી આપવામાં આવી હતી. સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન અને કનેક્ટિવિટી વધારવા માટે સરકાર દ્વારા હાથ ધરાયેલા પ્રયાસો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી.

જામનગરના ઐતિહાસિક વારસાની ઓળખ સમાન ભૂજીયો કોઠો પણ યાત્રાનું વિશેષ આકર્ષણ રહ્યો હતો. શહેરના ઇતિહાસ સાથે જોડાયેલા આ સ્મારકની મુલાકાત દરમિયાન મહાનુભાવોએ તેના ઐતિહાસિક મહત્વ અને સંરક્ષણ માટે હાથ ધરાયેલા કાર્યો અંગે માહિતી મેળવી હતી. ભૂજીયો કોઠો આજે પણ જામનગરના ગૌરવ અને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતિક માનવામાં આવે છે.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની મુલાકાત દરમિયાન આયુર્વેદ ક્ષેત્રે જામનગરનું વૈશ્વિક મહત્વ ઉજાગર કરવામાં આવ્યું હતું. વિશ્વની પ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી તરીકે ઓળખાતી આ સંસ્થા દ્વારા સંશોધન, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવેલા યોગદાન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આયુર્વેદિક શિક્ષણ અને વૈશ્વિક સ્તરે તેની વધતી લોકપ્રિયતા અંગે પણ મહાનુભાવોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

યાત્રા દરમિયાન દરેક સ્થળે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ પ્રદર્શન ગોઠવવામાં આવ્યા હતા. અહીં સરકારની વિવિધ યોજનાઓ, વિકાસલક્ષી પ્રકલ્પો અને સ્થાનિક સ્તરે થયેલા પરિવર્તનોની માહિતી ચાર્ટ, પોસ્ટર અને ડિજિટલ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરવામાં આવી હતી. સ્થળ પર ગાઈડ્સ દ્વારા પણ મુલાકાતીઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પ્રગતિ પથ યાત્રા માત્ર વિકાસ દર્શાવતી યાત્રા નથી, પરંતુ જનજાગૃતિનું એક અસરકારક માધ્યમ પણ છે. નાગરિકોને સરકારના વિકાસ કાર્યો અંગે માહિતી મળે, વિકાસમાં પોતાની ભાગીદારી અંગે સમજ વધે અને જિલ્લાના ગૌરવપૂર્ણ વારસાને નજીકથી જાણવાનો અવસર મળે તેવા અનેક હેતુઓ આ યાત્રા સાથે જોડાયેલા છે.

યાત્રાના બીજા તબક્કામાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, સંતો-મહંતો, સામાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો તથા સમાજના વિવિધ વર્ગના નાગરિકોને જોડવામાં આવશે. આ દ્વારા વિકાસની ગાથા વધુ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ સમગ્ર આયોજનમાં જિલ્લા વહીવટી તંત્ર, વિવિધ વિભાગોના અધિકારીઓ અને સ્થાનિક સંસ્થાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. યાત્રાના સફળ આયોજન માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી જેથી સહભાગીઓને દરેક સ્થળની સંપૂર્ણ માહિતી મળી શકે.

જામનગર જિલ્લામાં યોજાઈ રહેલી આ પ્રગતિ પથ યાત્રા વિકાસ, વારસા અને જનભાગીદારીનો અનોખો સંગમ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ સાકાર થયેલા વિવિધ પ્રકલ્પોની જીવંત ઝાંખી કરાવતી આ યાત્રા આગામી દિવસોમાં હજારો નાગરિકો માટે પ્રેરણાસ્ત્રોત બનશે. વિકાસની આ સફર માત્ર ઇમારતો અને પ્રકલ્પોની વાત નથી કરતી, પરંતુ એક એવા ગુજરાતની કહાની કહે છે જે સતત પ્રગતિના નવા શિખરો સર કરી રહ્યું છે અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા તરફ મક્કમપણે આગળ વધી રહ્યું છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ