મારું ગુજરાત વીજ લાઈનોના મુદ્દે ખેડૂતોના આક્ષેપો: કોંગ્રેસ અને ખેડૂત આગેવાનોની DGP સાથે મુલાકાત.
ખેડૂતો પર પોલીસ દમનના મુદ્દે રજૂઆત, જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ
ગાંધીનગર: રાજ્યમાં વીજ લાઈનોના કામ દરમિયાન ખેડૂતો સાથે થયેલા કથિત પોલીસ દમનના મુદ્દે કોંગ્રેસ, કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનોએ રાજ્યના પોલીસ વડા (DGP) સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી. આ બેઠકમાં ખેડૂતોની વિવિધ ફરિયાદો અને પોલીસ કાર્યવાહી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય Jignesh Mevani સહિત કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલિયા, જયેશ પટેલ અને મહેશ રાજકોટિયા સહિતના આગેવાનોએ ખેડૂતોના પ્રશ્નો DGP સમક્ષ રજૂ કર્યા હતા.
આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે વીજ કંપનીઓ દ્વારા વીજ ટ્રાન્સમિશન લાઈનોના કામ દરમિયાન ખેડૂતોના હક્કો અને કાયદાકીય જોગવાઈઓની અવગણના કરવામાં આવી રહી છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો વીજ કંપનીઓ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેમને પોલીસનું રક્ષણ શા માટે આપવામાં આવે છે?
ખેડૂત આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે કલેક્ટર દ્વારા માત્ર 67 મીટરના વિસ્તારમાં કામગીરીની મંજૂરી આપવામાં આવી હોવા છતાં સમગ્ર ખેતરમાં ખેડૂતોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું ખેડૂતોનું કહેવું છે. આ બાબતે પણ DGP સમક્ષ સ્પષ્ટતા અને તપાસની માંગ કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન કેટલાક વિસ્તારોમાં મહિલાઓ સાથે થયેલા કથિત દુર્વ્યવહાર અને ખેડૂતોને બળજબરીપૂર્વક અટકાવવાના બનાવોનો પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આગેવાનોએ માંગ કરી હતી કે ખેડૂતોનું ગળું દબાવવાના અને મહિલાઓને ધક્કા મારવાના આક્ષેપોનો સામનો કરી રહેલા પોલીસ અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે.
તેમજ ધોળા દિવસે ખેડૂતોના ખેતરના ડેલાના તાળા તોડવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે સંકળાયેલા પોલીસ કર્મચારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન 15 જૂનના રોજ યોજાનારી "કિસાન અધિકાર યાત્રા" અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂત સંગઠનોએ જણાવ્યું હતું કે ખેડૂતોના અધિકારો, જમીન અને જીવનનિર્વાહના પ્રશ્નોને લઈને આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આગેવાનોએ વધુમાં સવાલ ઉઠાવ્યો હતો કે કેટલાક સંગઠનોને કલાકો સુધી રસ્તા રોકી વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવે છે, જ્યારે જેતપર સહિતના વિસ્તારોના ખેડૂતોને સમાન અધિકારો કેમ આપવામાં આવતા નથી?
ખેડૂત આગેવાનોનું કહેવું છે કે ખેડૂતોના પ્રશ્નોનો ન્યાયસંગત ઉકેલ આવે અને પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા નિષ્પક્ષ કાર્યવાહી થાય તે માટે તેઓ આગામી સમયમાં પણ લડત ચાલુ રાખશે. બીજી તરફ, આ રજૂઆત અંગે પોલીસ તંત્ર તરફથી સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોવામાં આવી રહી છે.
સમયસંદેસ દ્વારા દેશ - વિદેશના લટેસ્ટ ઉપડેટ માટે એપ લોન્ચ કરવામાં આવ્યું છે તો એપ ને ડાઉનલોડ કરવા માટે આપેલ લિન્ક પર ક્લિક કરો અને મેળવો લટટેસ્ટ ઉપડેટ :
https://play.google.com/store/apps/details?id=com.samaysandeshnews