મારું શહેર જામનગરના પંચવટી સર્કલ પાસે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો, પોલીસે ઓળખ માટે તપાસ શરૂ કરી.
જામનગર શહેરના પંચવટી સર્કલ નજીક આશરે 40 વર્ષના અજાણ્યા પુરુષનું મૃત્યુ થયેલી હાલતમાં મળી આવતા સિટી "બી" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકાળ મૃત્યુ અંગે નોંધ કરવામાં આવી છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તેમજ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પંચવટી સર્કલ વિસ્તારમાં આશરે 40 વર્ષનો એક અજાણ્યો પુરુષ બેભાન હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી.
એમ્બ્યુલન્સ દ્વારા અજાણ્યા પુરુષને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં કોઈપણ પ્રકારની બીમારીના કારણે તેમનું મૃત્યુ થયું હોવાનું તબીબે નોંધ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
આ બનાવ અંગે સિટી "બી" ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 194 હેઠળ અકાળ મૃત્યુની નોંધ કરવામાં આવી છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તેમજ તેમના પરિવારજનો સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે.
પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા અને મૃતકની ઓળખ સ્થાપિત કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.