મારું શહેર 7 વર્ષ જૂના પોલીસ પર હુમલાના કેસમાં મોટો ચૂકાદો: દ્વારકા કોર્ટમાંથી બંને આરોપીઓ નિર્દોષ છૂટ્યા.
દ્વારકાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે વર્ષ 2019માં નોંધાયેલા પોલીસ પર હુમલો, ફરજમાં રૂકાવટ, ગાળાગાળી તેમજ જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કેસમાં આરોપી વેરસીભા માણેક અને ધર્મેન્દ્રભાઈ કાચા સામે લગાવવામાં આવેલા તમામ આરોપો પુરાવાના અભાવે સાબિત ન થતાં બંનેને નિર્દોષ જાહેર કરીને છૂટકારો આપ્યો છે.
કેસની વિગતો મુજબ, વર્ષ 2019 દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન આરોપીઓએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી, પોલીસ કર્મચારીઓ સાથે મારપીટ કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેવા આક્ષેપો સાથે ગુનો નોંધવામાં આવ્યો હતો.
કોર્ટમાં સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષ દ્વારા પોલીસ અધિકારીઓની જુબાની, પંચ સાક્ષીઓ, મેડિકલ સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. બીજી તરફ બચાવ પક્ષના વકીલ જયંત માણેક દ્વારા સાક્ષીઓની ઉલટતપાસ કરી વિગતવાર કાયદાકીય દલીલો રજૂ કરવામાં આવી હતી. બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા આરોપોને શંકાથી પર સાબિત કરવા માટે પૂરતા નથી.
બંને પક્ષોની દલીલો, સાક્ષીઓના નિવેદનો તેમજ રેકોર્ડ પર ઉપલબ્ધ તમામ પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા બાદ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે તા. 03 જુલાઈ, 2026ના રોજ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. કોર્ટે નોંધ્યું કે ફરિયાદ પક્ષ આરોપો નિઃસંદેહ રીતે સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું હોવાથી આરોપીઓને શંકાનો લાભ મળવો જોઈએ.
આથી કોર્ટે વેરસીભા માણેક અને ધર્મેન્દ્રભાઈ કાચાને પોલીસ પર હુમલો, ફરજમાં રૂકાવટ, ગાળાગાળી તથા જાનથી મારી નાખવાની ધમકી સહિતના તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરીને મુક્ત કર્યા હતા.
આ ચુકાદો બાદ બચાવ પક્ષના વકીલ જયંત માણેકએ જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા ઉપલબ્ધ પુરાવા અને કાયદાની જોગવાઈઓના આધારે ન્યાયસંગત નિર્ણય આપવામાં આવ્યો છે. આ નિર્ણયથી વર્ષોથી ચાલી રહેલા કેસનો અંત આવ્યો છે.