ક્રાઇમ ખંભાળિયાના શિરપકાંડનો મુખ્ય સૂત્રધાર બે વર્ષ બાદ એલસીબીના હાથે ઝડપાયો, ફરી જેલ હવાલે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા શિરપકાંડ પ્રકરણમાં પોલીસને મોટી સફળતા મળી છે. ખંભાળિયા પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા ગુનામાં મુખ્ય સૂત્રધાર તરીકે સંડોવાયેલા અને વચ્ચગાળાના જામીન મેળવી છેલ્લા બે વર્ષથી ફરાર થઈ ગયેલા પંજાબના એક આરોપીને દ્વારકા જિલ્લા એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે ઝડપી પાડી પુનઃ જેલ હવાલે કર્યો છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર પંજાબ રાજ્યના સંગરુર જિલ્લાના પ્રતાપનગર વિસ્તારમાં રહેતા પંકજ બ્રિજમોહન ખોસલા સામે ખંભાળિયા પોલીસ મથકે નોંધાયેલા શિરપકાંડ કેસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપીની મહત્વની ભૂમિકા સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તે વચ્ચગાળાના જામીન પર મુક્ત થયો હતો.
જામીન મળ્યા બાદ આરોપી કોર્ટ સમક્ષ હાજર રહેવા બદલે નાસી છૂટ્યો હતો અને છેલ્લા બે વર્ષથી પોલીસ પકડથી દૂર રહી ફરાર જીવન જીવતો હતો. જેના કારણે પોલીસ દ્વારા તેની શોધખોળ માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા. આરોપીની ભાળ મેળવવા વિવિધ રાજ્યોમાં તપાસ કરવામાં આવી હતી.
દ્વારકા જિલ્લા એલસીબીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી ઉત્તરાખંડ રાજ્યના ઋષિકેશ વિસ્તારમાં છુપાઈને રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે ઋષિકેશ પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
સફળ ઓપરેશન દરમિયાન ફરાર આરોપી પંકજ ખોસલાને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની ધરપકડ બાદ જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટ સમક્ષ રજૂ કરી તેને ફરીથી જામનગર જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
શિરપકાંડ કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે ગણાતા આરોપીની ધરપકડ થતાં તપાસ એજન્સીઓને પણ મહત્વની માહિતી મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. લાંબા સમયથી ફરાર આરોપી ઝડપાતા કેસની આગળની કાર્યવાહી અને કાનૂની પ્રક્રિયાને પણ વેગ મળશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અને એલસીબીની આ કામગીરીને મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષથી પોલીસને ચકમો આપી રહેલા આરોપીને અન્ય રાજ્યમાંથી શોધી કાઢી કાયદાના શિકંજામાં લાવવામાં આવતા પોલીસ તંત્રની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.