ક્રાઇમ જામનગરના જોગવડ ગામના સ્મશાનમાંથી 1 હજાર કિલોની લોખંડની ખાટલી ચોરાઈ, રૂ. 45 હજારની ચોરીથી ગ્રામજનોમાં રોષ.
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં ચોરીનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સામાન્ય રીતે તસ્કરો ઘરો, દુકાનો અથવા અન્ય મિલકતોને નિશાન બનાવતા હોય છે, પરંતુ આ વખતે ચોરોએ માનવ સંવેદનાઓને પણ બાજુ પર મૂકી સ્મશાનમાં અગ્નિદાહ માટે ઉપયોગમાં લેવાતી લોખંડની ખાટલી જ ચોરી કરી લીધી છે. અંદાજે 1 હજાર કિલોગ્રામ વજન ધરાવતી અને રૂ. 45 હજારની કિંમતની લોખંડની ખાટલી ગાયબ થતાં સમગ્ર ગામમાં આશ્ચર્ય અને રોષનો માહોલ સર્જાયો છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ જોગવડ ગામના ઉપસરપંચ હેમતસિંહ દેવુભા કેર શુક્રવારે બપોરે પોતાના ઘરે હાજર હતા ત્યારે ગામના ઘોઘાભાઈ રણમણભાઈ ચાવડાનો ફોન આવ્યો હતો. તેમણે જાણ કરી હતી કે ગામના સ્મશાન વિસ્તારમાં કેટલાક અજાણ્યા લોકો નાની-મોટી લોખંડની વસ્તુઓ ભેગી કરતા જોવા મળ્યા છે. આ માહિતી મળતાં ઉપસરપંચે ઘટનાને ગંભીરતાથી લઈ તરત જ નરેન્દ્ર ગંગારામ વાસુ અને જુવાનસિંહ લખુભા જાડેજા સાથે સ્મશાન તરફ દોડી ગયા હતા.
સ્મશાન ખાતે પહોંચીને તપાસ કરતાં અગ્નિદાહ માટે ખુલ્લામાં રાખવામાં આવેલી વિશાળ લોખંડની ખાટલી સ્થળ પરથી ગાયબ હોવાનું સામે આવ્યું હતું. આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં ખાટલીનો કોઈ પત્તો ન લાગતાં ગામના આગેવાન માંડણભાઈ કાયાભાઈ પંડિતને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. તેમની સલાહ મુજબ આ મામલે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ચોરોએ સ્મશાનમાં ખુલ્લામાં મુકાયેલી અંદાજે 1 હજાર કિલોગ્રામ વજનની લોખંડની ખાટલી, જેની કિંમત આશરે રૂ. 45 હજાર થાય છે, ચોરી કરી લઈ ગયા છે. આટલી ભારે ખાટલી એકલા વ્યક્તિ દ્વારા લઈ જવી મુશ્કેલ હોવાથી ચોરી પાછળ એકથી વધુ શખ્સો સંડોવાયેલા હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાટલી લઈ જવા માટે કોઈ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
ઘટનાએ ગામના લોકોમાં ભારે નારાજગી ફેલાવી છે. ગ્રામજનોએ જણાવ્યું કે સ્મશાન જેવી પવિત્ર જગ્યાએથી અગ્નિદાહ માટે વપરાતી ખાટલીની ચોરી માત્ર કાયદાકીય ગુનો જ નહીં પરંતુ સામાજિક અને માનવીય મૂલ્યો સામેનો પણ ગંભીર પ્રહાર છે. આવી ઘટના ગામના ઈતિહાસમાં પ્રથમ વખત બનતાં લોકોમાં અસુરક્ષાની લાગણી પણ જોવા મળી રહી છે.
ઉપસરપંચની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તપાસની જવાબદારી હેડ કોન્સ્ટેબલ આર. એન. થાનકીને સોંપવામાં આવી છે. પોલીસ આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ, ભંગારના વેપારીઓ તેમજ શંકાસ્પદ લોકોની હિલચાલ અંગે માહિતી એકત્ર કરી રહી છે. ઉપરાંત તાજેતરમાં વિસ્તારમાં ભંગારની ખરીદી-વેચાણ કરનારાઓની પણ પૂછપરછ કરવામાં આવશે.
પોલીસે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટેકનિકલ પુરાવા અને સ્થાનિક માહિતીના આધારે આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે. બીજી તરફ ગ્રામજનોએ સ્મશાન સહિત જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાની અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે.