હેલ્થ શ્રાવણમાં ભેળસેળિયાઓ બેફામ! ઘી-માવાથી કંકુ સુધી શંકા, સરકારની અપીલઃ ‘જનતા પોતે સાવધાન રહે’
શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને સાથે જ તહેવારોની સિઝન પણ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં ખાદ્ય અને પૂજા સામગ્રીમાં ભેળસેળનો મુદ્દો ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. શ્રાવણ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ધાર્મિક વિધિ અને પૂજા-અર્ચના કરતા હોય છે, ત્યારે ભગવાનને અર્પણ કરવામાં આવતા ઘીથી લઈને બજારમાં મળતા કંકુની ગુણવત્તા અંગે પણ સવાલો ઊભા થયા છે. બીજી તરફ તહેવારો નજીક આવતા મીઠાઈ, માવો, ઘી સહિતની ખાદ્ય ચીજોની માંગમાં વધારો થતો હોવાથી ભેળસેળનું જોખમ પણ વધવાની શક્યતા રહે છે. સુરતમાં તાજેતરમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ સામે આવ્યા બાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને ફૂડ સેફ્ટીનો મુદ્દો વધુ ગંભીર બન્યો છે. આવી સ્થિતિ વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ લોકોને બજારમાંથી ચીજવસ્તુઓ ખરીદતી વખતે ખાસ સાવચેતી રાખવાની અપીલ કરી છે.
આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ શ્રાવણ મહિનામાં ભક્તો પૂજા-અર્ચનામાં ઘીનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ બજારમાં મળતું દરેક ઘી શુદ્ધ હોય તે જરૂરી નથી. તેમણે લોકોને માત્ર વિશ્વસનીય અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. ખાસ કરીને અત્યંત સસ્તા ભાવે મળતા ઘી અંગે સાવચેતી રાખવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો છે. મંત્રીના જણાવ્યા મુજબ રાજ્યમાં ભેળસેળ કરતી કેટલીક ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરીને તેમને સીલ કરવામાં આવી છે. જોકે, અહીં સૌથી મોટો સવાલ એ છે કે જો ભેળસેળ કરતી ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે તો બજારમાં શંકાસ્પદ ખાદ્ય સામગ્રી સતત કેવી રીતે પહોંચી રહી છે? તહેવારો દરમિયાન માંગ વધે તે પહેલાં જ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા મોટા પાયે તપાસ હાથ ધરવામાં આવે અને ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઊઠી રહી છે.
માત્ર ઘી જ નહીં, પરંતુ કંકુ અને માવામાં પણ ભેળસેળ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કંકુમાં હાનિકારક કેમિકલના ઉપયોગ અંગે પણ સવાલો ઊભા થયા છે. ધાર્મિક ઉપયોગ માટે ખરીદવામાં આવતી વસ્તુમાં ભેળસેળ હોય તો તે લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલો મુદ્દો બની જાય છે. બીજી તરફ તહેવારો દરમિયાન મીઠાઈની માંગમાં વધારો થતાં માવાની માંગ પણ ઝડપથી વધે છે. આ સ્થિતિનો લાભ લઈને સસ્તી ગુણવત્તાનો માવો અથવા અન્ય પદાર્થોનો ઉપયોગ કરીને મીઠાઈ બનાવવાની શક્યતા રહે છે. આરોગ્ય મંત્રીએ લોકોને ખૂબ જ સસ્તા ભાવે મળતા ઘી અને શંકાસ્પદ રીતે વેચાતા માવા તથા મીઠાઈથી દૂર રહેવાની સલાહ આપી છે. ગ્રાહકોએ પેકિંગ, ઉત્પાદન તારીખ, લાઇસન્સ અને વિશ્વસનીય વેચાણકર્તા જેવી બાબતો ચકાસીને જ ખરીદી કરવી જોઈએ.
જોકે સરકારની ‘સાવધાન રહો’ની અપીલ વચ્ચે હવે એક મહત્વનો સવાલ પણ ઊભો થયો છે કે ભેળસેળ રોકવાની સંપૂર્ણ જવાબદારી શું માત્ર ગ્રાહકોની છે? ગ્રાહક પોતાની રીતે સાવચેતી રાખે તે જરૂરી છે, પરંતુ બજારમાં ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી પહોંચે જ નહીં તેની જવાબદારી ફૂડ સેફ્ટી અને સંબંધિત સરકારી તંત્રની પણ છે. ભેળસેળ કરનાર ઉત્પાદન એકમો, ગોડાઉન, સપ્લાયરો અને વેચાણકર્તાઓ સામે નિયમિત તપાસ અને કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. માત્ર ફરિયાદ બાદ દરોડા પાડવા કરતાં તહેવારો પહેલાં જ જોખમી વિસ્તારોમાં સઘન સેમ્પલિંગ કરવામાં આવે તો ભેળસેળનો સામાન ગ્રાહકો સુધી પહોંચતા પહેલાં જ અટકાવી શકાય. ખાસ કરીને માવો, ઘી, દૂધની બનાવટો, મીઠાઈ, તેલ, મસાલા અને અન્ય વધુ વપરાશવાળી ચીજોની નિયમિત તપાસ જરૂરી બની જાય છે.
હાલમાં શ્રાવણ માસ ઉપરાંત આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ખાદ્ય સુરક્ષાનો મુદ્દો વધુ મહત્વનો બન્યો છે. લોકોની ધાર્મિક લાગણી અને તહેવારોની ખરીદીનો લાભ લઈને કોઈ વ્યક્તિ ભેળસેળયુક્ત વસ્તુ વેચે નહીં તે માટે તંત્રએ માત્ર અપીલ પૂરતી નહીં પરંતુ સતત દેખરેખ, સેમ્પલિંગ, લેબોરેટરી ટેસ્ટિંગ અને કડક દંડાત્મક કાર્યવાહી પર ભાર મૂકવો જરૂરી છે. બીજી તરફ ગ્રાહકોએ પણ અતિશય સસ્તી વસ્તુના લાલચથી બચવું, વિશ્વસનીય દુકાનદાર પાસેથી ખરીદી કરવી અને શંકાસ્પદ વસ્તુ અંગે સંબંધિત તંત્રને જાણ કરવી જોઈએ. આમ, ભેળસેળ સામેની લડાઈમાં સરકારની કડક કાર્યવાહી અને ગ્રાહકોની જાગૃતિ બંને જરૂરી છે. તહેવારોના પવિત્ર માહોલમાં શુદ્ધતા જળવાય તે માટે હવે માત્ર ‘જનતા સાવધાન રહે’ નહીં, પરંતુ ભેળસેળિયાઓ સામે તંત્ર કેટલું સક્રિય બને છે તે પણ એટલું જ મહત્વનું બની ગયું છે.