ટૉપ ન્યૂઝ PM મોદીની પોસ્ટ હટાવવાના મામલે Metaની માફી, ટેક્નિકલ ખામી જવાબદાર હોવાનો સૂત્રોનો દાવો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોશિયલ મીડિયા પોસ્ટ હટાવવાના મામલે Metaએ માફી માંગી હોવાનો સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, પોસ્ટ કોઈ નીતિ ઉલ્લંઘનને કારણે નહીં પરંતુ ટેક્નિકલ ખામીના કારણે દૂર થઈ ગઈ હતી. ત્યારબાદ કંપનીએ ભૂલ સ્વીકારી અને ખેદ વ્યક્ત કર્યો હોવાનું સૂત્રોનું કહેવું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વડાપ્રધાનની પોસ્ટ દૂર થવાના કારણો અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે અને સંબંધિત અધિકારીઓને તલબ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ, Metaનું કહેવું છે કે આ ઘટના ટેક્નિકલ ગડબડના કારણે બની હતી અને તેનો કોઈ ઈરાદાપૂર્વકનો સંબંધ નહોતો. કંપનીએ આવી ભૂલ ફરી ન બને તે માટે જરૂરી તકનીકી પગલાં લેવાની ખાતરી આપી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે.
જોકે, આ સમગ્ર મામલે Meta અથવા ભારત સરકાર તરફથી વિગતવાર સત્તાવાર નિવેદન જાહેર થવાનું બાકી છે. તેથી હાલમાં ઉપલબ્ધ માહિતી મુખ્યત્વે સૂત્રોના દાવાઓ પર આધારિત છે અને વધુ સ્પષ્ટતા સત્તાવાર નિવેદન બાદ જ સામે આવશે.