જાહેરાત
તાજા સમાચાર
રાજકોટમાં હોસ્ટેલની સગીરા સાથે માનવતાને શરમાવે તેવી ક્રૂરતા: પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ, ન્યૂડ ફોટાથી બ્લેકમેઇલ કરી ગર્ભપાત કરાવ્યાનો ગંભીર આરોપ. | અયોધ્યા પછી હવે બદ્રીનાથ-કેદારનાથમાં પણ દાન વિવાદના આક્ષેપો: શું ભક્તોની આસ્થા સુરક્ષિત છે? | મિત્રને છોડાવવા વચ્ચે પડવું પડ્યું ભારે: જામનગરમાં યુવાન પર છરીથી જીવલેણ હુમલો, ચાર શખ્સો સામે ગુનો નોંધાયો. | તાજિયા માટે રાખેલા લોખંડના પિંજરાને લઈને વિવાદ: જામનગરમાં ત્રણ ભાઈઓએ યુવાન પર કર્યો હુમલો, | ધ્રોલથી ખંભાળીડા સુધી પોલીસનો પ્રોહિબિશન પર પ્રહાર: ત્રણ દરોડામાં ૧૦૬ ચપટા વિદેશી દારૂ સાથે ત્રણ આરોપી ઝડપાયા, એક સપ્લાયર ફરાર. | ગીર સોમનાથ જિલ્લા પંચાયતના જિલ્લા કારોબારી ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ પીઠયાની નિમણૂક. | ‘ઓપરેશન મિલાપ’માં ગુજરાત પોલીસની વધુ એક મોટી સફળતા: માત્ર 10 દિવસમાં 500 ગુમ થયેલા નાગરિકોને શોધી પરિવારો સાથે કરાવ્યું પુનઃમિલન. | ગુજરાતમાં મેઘમહેરનો કહેર: માંગરોળમાં માત્ર 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, 225 તાલુકાઓમાં વરસાદ; NDRF-SDRF એલર્ટ મોડ પર. | ગુજરાત બન્યું દેશનું સેમિકન્ડક્ટર હબ... | હારીજની આશાપુરા સોસાયટીમાં સામાન્ય વરસાદે ખોલી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ... |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૧૮ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું ગુજરાત ‘ઓપરેશન મિલાપ’માં ગુજરાત પોલીસની વધુ એક મોટી સફળતા: માત્ર 10 દિવસમાં 500 ગુમ થયેલા નાગરિકોને શોધી પરિવારો સાથે કરાવ્યું પુનઃમિલન.

‘ઓપરેશન મિલાપ’માં ગુજરાત પોલીસની વધુ એક મોટી સફળતા: માત્ર 10 દિવસમાં 500 ગુમ થયેલા નાગરિકોને શોધી પરિવારો સાથે કરાવ્યું પુનઃમિલન.

ગુજરાત પોલીસે ગુમ થયેલા બાળકો અને પુખ્ત વયના નાગરિકોને શોધી તેમના પરિવારો સાથે પુનઃમિલન કરાવવાના અભિયાન ‘ઓપરેશન મિલાપ’ હેઠળ વધુ એક નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. રાજ્યવ્યાપી ઝુંબેશના પ્રથમ તબક્કાની સફળતા બાદ અભિયાનને વધુ 10 દિવસ માટે લંબાવવામાં આવ્યું હતું. આ વધારાના સમયગાળા દરમિયાન પોલીસે 500 ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢીને તેમના પરિવારજનો સાથે સુરક્ષિત રીતે પુનઃમિલન કરાવ્યું છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીને અનેક પરિવારો માટે આશાનું કિરણ માનવામાં આવી રહી, આ અભિયાનની સફળતાનું એક હૃદયસ્પર્શી ઉદાહરણ વડોદરામાંથી સામે આવ્યું છે. વડોદરાના છાણી વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીર બાળકી 18 ડિસેમ્બર, 2025ના રોજ ગુમ થઈ ગઈ હતી. બાળકીના અચાનક ગુમ થતાં પરિવાર ગંભીર ચિંતામાં મુકાઈ ગયો હતો અને મહિનાઓ સુધી તેની કોઈ ભાળ મળી નહોતી. સ્થાનિક પોલીસ દ્વારા સતત તપાસ છતાં કોઈ મહત્વપૂર્ણ સફળતા ન મળતાં આ કેસ વડોદરા એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ, ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ અને વિવિધ સૂત્રોના આધારે પોલીસે તપાસને વધુ ઝડપી બનાવી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી સુનિલકુમાર કેસરીસિંહ બારીયા સગીર બાળકીને ફોસલાવીને લગભગ 1,200 કિલોમીટર દૂર કર્ણાટકના શિવમોગા લઈ ગયો હતો. આરોપીએ અગાઉ જયપુરમાં પૂજારી તરીકેનો કોર્સ પૂર્ણ કર્યા બાદ પોતાની નવી ઓળખ બનાવી હતી અને શિવમોગાના એક જૈન મંદિરમાં પૂજારી તરીકે કામ શરૂ કર્યું હતું. ત્યાં તેણે બાળકીને પોતાની પત્ની તરીકે ઓળખાવીને પોતાની સાથે રાખી હતી. આ માહિતી મળતાં વડોદરા AHTUની પાંચ સભ્યોની ટીમ, જેમાં એક મહિલા પોલીસ અધિકારીનો પણ સમાવેશ થતો હતો, કર્ણાટક પહોંચી હતી.

સ્થાનિક પોલીસના સહયોગથી ગુજરાત પોલીસની ટીમે ભારે વરસાદ વચ્ચે સતત બે દિવસ સુધી મંદિર પર નજર રાખી હતી. આખરે ત્રીજા દિવસે વહેલી સવારે લગભગ ચાર વાગ્યે આરોપી મંદિરે પહોંચતા પોલીસે તેને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ બાળકીના સ્થળ વિશે માહિતી આપી હતી. ત્યારબાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સગીર બાળકીને સુરક્ષિત રીતે મુક્ત કરાવી તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું. આ સફળ કામગીરીએ પરિવાર માટે પાંચ મહિનાથી ચાલતી ચિંતાનો અંત લાવ્યો હતો, ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (વુમન સેલ, CID ક્રાઇમ) શ્રી અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્યવ્યાપી ઓપરેશન મિલાપના પ્રથમ તબક્કામાં મળેલી સફળતાને ધ્યાનમાં રાખીને ઝુંબેશને વધુ 10 દિવસ માટે લંબાવવામાં આવી હતી. 12 જૂનથી 21 જૂન દરમિયાન ચાલેલા આ વિશેષ અભિયાનમાં રાજ્યભરમાંથી 500 ગુમ થયેલા બાળકો અને પુખ્ત વયના લોકોને સફળતાપૂર્વક શોધીને તેમના પરિવારો સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે. આ કામગીરીમાં આધુનિક ટેક્નોલોજી, ઇન્ટેલિજન્સ નેટવર્ક અને વિવિધ રાજ્યોની પોલીસ વચ્ચેના સંકલનનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 7 મેથી 5 જૂન દરમિયાન યોજાયેલા રાજ્યવ્યાપી ઓપરેશન મિલાપ હેઠળ ગુજરાત પોલીસે 1,478 ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢ્યા હતા, જેમાં 857 મહિલાઓ અને 234 સગીર બાળકીઓનો સમાવેશ થતો હતો. આ અભિયાનને મળેલી સફળતાને કારણે જ તેને વધુ 10 દિવસ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે પણ સફળ રહ્યો છે.

માત્ર 10 દિવસના આ વધારાના અભિયાનમાં શોધી કાઢવામાં આવેલા 500 નાગરિકોમાં 288 મહિલાઓ, 88 બાળકીઓ, 21 છોકરાઓ અને 103 પુરુષોનો સમાવેશ થાય છે. ગુજરાત પોલીસની આ કામગીરીના પરિણામે 500 પરિવારોના જીવનમાં ફરી ખુશીઓ પરત ફરી છે. રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા ગુમ થયેલા નાગરિકોને શોધવા માટે સતત ટેક્નોલોજી આધારિત તપાસ, આંતરરાજ્ય સંકલન અને સંવેદનશીલ અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે, જેના કારણે અનેક પરિવારોને પોતાના સ્વજનો ફરીથી મળી રહ્યા છે. પોલીસ વિભાગે આગામી સમયમાં પણ આવી ઝુંબેશોને વધુ અસરકારક રીતે આગળ વધારવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ