ટૉપ ન્યૂઝ જામનગર ST વિભાગમાં ડ્રાઇવર હનીફભાઈ મુદ્રાખની નિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારોહ યોજાયો
જામનગર એસટી વિભાગના જામનગર ડેપો વર્કશોપ ખાતે વયમર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલા ડ્રાઇવર શ્રી હનીફભાઈ જે. મુદ્રાખનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો. આ સમારોહ વિભાગીય નિયામકશ્રી બી.સી. જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક અને જવાબદારીપૂર્વક ફરજ બજાવનાર હનીફભાઈને અધિકારીઓ, કર્મચારીઓ અને સંગઠનના આગેવાનો દ્વારા ભાવભીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
વિદાય સમારોહમાં જામનગર એસટી વિભાગના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિભાગીય યાંત્રિક ઈજનેરશ્રી એસ.કે. કલોલા, ઇન્ચાર્જ ડેપો મેનેજરશ્રી શીખાબેન પંડ્યા, હેડ મિકેનિક મનોજભાઈ પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત જામનગર વિભાગ એસટી મજૂર સંઘના મહામંત્રી ભીમશીભાઈ ચાવડા, લાઈન ચેકિંગ ઇન્ચાર્જ અને સંઘના ઉપપ્રમુખ સંજયભાઈ ડોડીયા, સહમંત્રી હિતેન્દ્રસિંહ જાડેજા, કાર્યાલય મંત્રી સોલંકીભાઈ સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓએ હનીફભાઈ મુદ્રાખની લાંબી સેવા યાત્રાને બિરદાવી હતી. તેમણે એસટી નિગમમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતી વખતે પોતાની જવાબદારી, સમયપાલન અને મુસાફરો પ્રત્યેની સેવાભાવનાની પ્રશંસા કરી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે, એક કર્મચારી તરીકે હનીફભાઈએ નિષ્ઠા અને ઈમાનદારી સાથે ફરજ બજાવી છે, જે અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ છે.
આ પ્રસંગે લાઈન ચેકિંગ સ્ટાફ, ટી.આઈ. અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં ટી.આઈ. કાપડીભાઈ, ટી.આઈ. મઢવીભાઈ, એ.ટી.આઈ. રાજેન્દ્ર ગોસાઈ, કે.પી. જાડેજા, મનસુખભાઈ લૈયા સહિતના કર્મચારીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત અન્ય સંગઠનોના આગેવાનો જીતેન્દ્રસિંહ જાડેજા,શિવભદ્રસિંહ ચુડાસમા સહિતના મહાનુભાવો પણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
વિદાય સમારોહ દરમિયાન હનીફભાઈ મુદ્રાખનું ઉપસ્થિત તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. પરિવારજનો અને સંબંધીઓની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સૌએ હનીફભાઈના નિવૃત્ત જીવન માટે સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની શુભકામનાઓ પાઠવી હતી.
સમારોહના અંતે હનીફભાઈએ પણ એસટી વિભાગમાં મળેલા સહકાર અને સન્માન બદલ અધિકારીઓ, સહકર્મચારીઓ તથા સંગઠનના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. લાંબી સેવા પૂર્ણ કરીને નિવૃત્ત થતા કર્મચારીને આપવામાં આવેલ આ વિદાય સમારોહ ભાવનાત્મક વાતાવરણમાં સંપન્ન થયો હતો.