હેલ્થ જામનગરમાં ચાંદીપુરા વાયરસના ત્રણ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ: ત્રણેય દર્દીઓની હાલત ગંભીર, બાળકોના માતા-પિતાને ખાસ તકેદારી રાખવા અપીલ.
જામનગર શહેરના બે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક બાળકને જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા; લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર હોસ્પિટલ પહોંચવાની તબીબોની સલાહ
જામનગરમાં બાળકોમાં જોવા મળતા ચાંદીપુરા વાયરસના ત્રણ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. નોંધાયેલા ત્રણ પૈકી બે દર્દીઓ જામનગર શહેરના છે, જ્યારે એક બાળક દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. ત્રણેય બાળકોને હાલ સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમની તબિયત પર નિષ્ણાત તબીબોની ટીમ સતત નજર રાખી રહી છે.
જી.જી. હોસ્પિટલના પેડિયાટ્રિક વિભાગના વડા ડો. સોનલ શાહએ જણાવ્યું હતું કે હાલમાં દાખલ ત્રણેય દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાથી તેમને ઇન્ટેન્સિવ મેડિકલ કેર આપવામાં આવી રહી છે. હોસ્પિટલમાં જરૂરી દવાઓ, નિષ્ણાત તબીબો અને સારવારની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે. દર્દીઓના આરોગ્ય પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને દરેક જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકોમાં જોવા મળતો ચેપજન્ય રોગ છે. આ વાયરસના ફેલાવા પાછળ ખાસ પ્રકારની સેન્ડફ્લાય (Sand Fly) જવાબદાર માનવામાં આવે છે. તેથી આ માખીના ઉપદ્રવને નિયંત્રિત કરવો, ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી અને બાળકોને ખાસ કરીને સાંજના સમયે સંપૂર્ણ શરીર ઢંકાય તેવા ફૂલ સ્લીવ્ઝના કપડાં પહેરાવવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ બાળકોને માખીના કરડવાથી બચાવવા મચ્છરદાની અથવા અન્ય સુરક્ષા ઉપાયો અપનાવવા પણ તબીબોએ અપીલ કરી છે.
તબીબોના જણાવ્યા અનુસાર ચાંદીપુરા વાયરસના પ્રારંભિક લક્ષણોમાં અચાનક ઊંચો તાવ આવવો, ઉલટી થવી, ખેંચ આવવી, ચક્કર આવવા, બેભાન જેવી સ્થિતિ સર્જાવી અથવા બાળક અસામાન્ય વર્તન કરતું હોય તેવા લક્ષણોનો સમાવેશ થાય છે. આવા કોઈપણ લક્ષણો દેખાય તો સમય ગુમાવ્યા વિના નજીકની સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર લેવી અત્યંત જરૂરી છે. સમયસર સારવાર મળવાથી દર્દીને વધુ સારી સારવાર મળી શકે છે.
આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જિલ્લામાં સર્વેલન્સ પણ વધારવામાં આવ્યું છે. જો આવનારા દિવસોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થશે તો જી.જી. હોસ્પિટલમાં વધારાના બેડ, વિશેષ સારવાર અને તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આરોગ્ય વિભાગે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી હોવાનું પણ જણાવ્યું છે.
તબીબોએ સ્પષ્ટ કર્યું છે કે આ રોગ અંગે ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી અને લક્ષણો દેખાય ત્યારે તરત સારવાર લેવી સૌથી મહત્વપૂર્ણ છે. માતા-પિતાને બાળકોના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખવા, આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા અને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.