સમાજ જામનગરમાં સગીરાના અપહરણ મામલે દલિત સમાજમાં રોષ, 24 કલાકમાં કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી.
જામનગર શહેરના વિભાપર વિસ્તારમાંથી 12 વર્ષની સગીર બાળકીના કથિત અપહરણની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પરિવારની ફરિયાદના આધારે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં આશરે 40 વર્ષીય વ્યક્તિ પર સગીરાને લઈ જવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાને લઈને દલિત સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. દલિત સમાજના આગેવાનો અને વિવિધ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓએ જિલ્લા પોલીસ વડા (SP)ને મળીને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી. રજૂઆત દરમિયાન સગીર બાળકીને સુરક્ષિત રીતે શોધી કાઢવા અને સમગ્ર કેસમાં ઝડપી તથા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.
સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે ઘટનાને 24 કલાકની અંદર આરોપીની ધરપકડ કરીને બાળકીને સુરક્ષિત પરત લાવવા માટે પોલીસ દ્વારા અસરકારક પગલાં લેવામાં આવે. તેમણે ચેતવણી આપી હતી કે જો નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ પરિણામ નહીં આવે તો દલિત સમાજ દ્વારા ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.
પોલીસ તંત્ર દ્વારા હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું અને ઉપલબ્ધ તમામ તકનિકી તથા અન્ય પુરાવાના આધારે આરોપીની શોધખોળ કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને તપાસને અસર થાય તેવી કોઈપણ અપ્રમાણિત માહિતી સોશિયલ મીડિયામાં શેર ન કરવાની અપીલ પણ કરી છે.
હાલ પોલીસે સત્તાવાર રીતે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. કેસની પ્રગતિ અંગે પોલીસ તરફથી વધુ વિગતો જાહેર કરવામાં આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.