રાજકારણ જૂનાગઢ જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે જયસુખભાઈ પાઘડાળની વરણી, આમ આદમી પાર્ટીએ સોંપી મહત્વની જવાબદારી.
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા વિરોધ પક્ષના નેતા તરીકે જયસુખભાઈ પાઘડાળની વરણી કરવામાં આવી છે. મોટી મોણપરી જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટાયેલા જયસુખભાઈ પાઘડાળને પક્ષે આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપતાં તેમણે પક્ષના વરિષ્ઠ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો છે.
આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, જિલ્લા પંચાયતમાં પક્ષના પ્રતિનિધિત્વને વધુ મજબૂત બનાવવા તેમજ જનતાના પ્રશ્નોને અસરકારક રીતે રજૂ કરવા માટે જયસુખભાઈ પાઘડાળને વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નવી જવાબદારી મળ્યા બાદ જયસુખભાઈ પાઘડાળે જણાવ્યું હતું કે, પક્ષે તેમના પર વિશ્વાસ મૂકીને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે, જેના માટે તેઓ ગુજરાત પ્રદેશના તમામ વરિષ્ઠ આગેવાનો અને પક્ષના કાર્યકરોના હૃદયપૂર્વક આભારી છે.
તેમણે જણાવ્યું કે, "જૂનાગઢ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે મળેલી જવાબદારીને હું સંપૂર્ણ નિષ્ઠા, પ્રામાણિકતા અને સમર્પણ સાથે નિભાવીશ. જનતાના પ્રશ્નોને મજબૂતાઈથી ઉઠાવીશ અને લોકોના હિતના મુદ્દાઓને જિલ્લા પંચાયતના મંચ પર અસરકારક રીતે રજૂ કરીશ."
જયસુખભાઈ પાઘડાળે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ પક્ષના સિદ્ધાંતોને વરેલી રાજનીતિ સાથે જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપશે અને જિલ્લાના વિકાસલક્ષી પ્રશ્નો, સ્થાનિક સમસ્યાઓ તેમજ નાગરિકોના હકો માટે સતત અવાજ ઉઠાવશે.
તેમણે કાર્યકરો અને મતદારોનો પણ આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે તેઓ સતત પ્રયાસશીલ રહેશે અને પક્ષ દ્વારા સોંપવામાં આવેલી દરેક જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવશે.
પોતાના સંદેશના અંતમાં તેમણે કહ્યું, "આપનો વિશ્વાસ જ મારી તાકાત છે. જનતાની સેવા અને તેમના હિતોની રક્ષા માટે હું સતત કાર્યરત રહીશ."
જયસુખભાઈ પાઘડાળની વરણી બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પક્ષના આગેવાનોનું માનવું છે કે તેમના નેતૃત્વ હેઠળ જિલ્લા પંચાયતમાં જનહિતના મુદ્દાઓને વધુ અસરકારક રીતે રજૂ કરી શકાશે અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે મજબૂત વિરોધ પક્ષની ભૂમિકા ભજવવામાં આવશે.
રિપોર્ટ હરેશ મહેતા