મારું ગુજરાત મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટ બેઠક પૂર્ણ: ખેડૂતોના હિતમાં વીજ પોલ વળતર મુદ્દે મંત્રીઓ એકમત.
ખેડૂત સંગઠનો સાથે ચર્ચા બાદ લેવાશે અંતિમ નિર્ણય
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ખેડૂતોના ખેતરોમાં વીજ પોલ અને વીજ લાઈનો સ્થાપવા બદલ આપવામાં આવતા વળતરના મુદ્દે વિસ્તૃત ચર્ચા, બેઠકમાં હાજર તમામ મંત્રીઓએ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર એકમત વ્યક્ત કર્યો હતો અને હાલના વળતર કરતાં વધુ યોગ્ય અને વાજબી વળતર આપવાની તરફેણ કરી,
તાજેતરમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખેડૂતો દ્વારા ખેતરોમાં વીજ પોલ ઊભા કરવા બદલ મળતા વળતર અંગે રજૂઆતો કરવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે વીજ પોલ, ટ્રાન્સમિશન લાઈન અને અન્ય વીજ માળખાના કારણે ખેતીલાયક જમીનનો ઉપયોગ મર્યાદિત બને છે, પાકને નુકસાન થાય છે તેમજ લાંબા ગાળે ઉત્પાદન ક્ષમતા પર પણ અસર પડે છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કેબિનેટ સ્તરે તેની ગંભીરતાથી ચર્ચા હાથ ધરી હતી.
બેઠક દરમિયાન ઊર્જા વિભાગના અધિકારીઓ દ્વારા હાલની વળતર વ્યવસ્થા, વિવિધ પ્રકારના વીજ માળખાં માટે અપાતા વળતરના ધોરણો તથા અન્ય રાજ્યોની નીતિઓ અંગે પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ મંત્રીઓએ પોતાના વિસ્તારોમાં ખેડૂતો પાસેથી મળેલી રજૂઆતો અને અનુભવોના આધારે સૂચનો આપ્યા હતા.
ચર્ચા દરમિયાન તમામ મંત્રીઓએ એવો મત વ્યક્ત કર્યો હતો કે વિકાસકાર્યો અને વીજળીના માળખાના વિસ્તરણ સાથે ખેડૂતોના હિતોનું પણ સમાન રીતે રક્ષણ થવું જોઈએ. ખેતરમાં વીજ પોલ ઊભા કરવાના કારણે થતી અસુવિધા અને જમીનના ઉપયોગ પર પડતી અસરને ધ્યાનમાં રાખીને વળતરની રકમમાં વધારો કરવાની દિશામાં વિચારણા થવી જોઈએ.
સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, કેબિનેટ બેઠકમાં કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકાર આ મુદ્દે ખેડૂત સંગઠનો, ખેડૂત આગેવાનો અને સંબંધિત વિભાગો સાથે વિગતવાર ચર્ચા કરશે. ચર્ચા દરમિયાન ખેડૂતોના સૂચનો અને રજૂઆતોને પણ મહત્વ આપવામાં આવશે, ત્યારબાદ અંતિમ નીતિ જાહેર કરવામાં આવશે, સરકારનું માનવું છે કે વીજ પુરવઠાના માળખાને મજબૂત બનાવવું રાજ્યના વિકાસ માટે જરૂરી છે, પરંતુ તેની સાથે ખેડૂતોના હિતોનું સંતુલન જાળવવું પણ એટલું જ આવશ્યક છે. તેથી કોઈપણ નિર્ણય ઉતાવળમાં નહીં પરંતુ તમામ પક્ષોની સહમતી અને વ્યવહારિક પાસાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.
ખેડૂતો લાંબા સમયથી એવી માંગ કરી રહ્યા છે કે ખેતરમાં વીજ પોલ, હાઈટેન્શન લાઈન અથવા અન્ય વીજ સુવિધાઓ સ્થાપિત કરવામાં આવે ત્યારે જમીનના ઉપયોગમાં થતી મર્યાદા, પાકના નુકસાન અને ભવિષ્યમાં થનારી અસરને ધ્યાનમાં રાખીને વધુ વાજબી વળતર આપવામાં આવે. કેબિનેટમાં થયેલી ચર્ચા બાદ ખેડૂતોમાં આશા જાગી છે કે સરકાર તેમની માંગને હકારાત્મક રીતે વિચારશે, આગામી દિવસોમાં ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે યોજાનારી બેઠક બાદ વીજ પોલ વળતર અંગે અંતિમ નિર્ણય જાહેર થવાની શક્યતા છે. ખેડૂતોના હિતો અને રાજ્યના વિકાસ વચ્ચે સંતુલન જાળવીને સર્વસંમતિથી ઉકેલ લાવવાનો રાજ્ય સરકારનો પ્રયાસ હોવાનું કેબિનેટ બેઠક બાદ સ્પષ્ટ સંકેતો મળ્યા છે......