મારું શહેર મોરબી પોક્સો કેસમાં આરોપી નિર્દોષ: પુરાવા અને જુબાનીમાં વિરોધાભાસને આધારે કોર્ટે શંકાનો લાભ આપ્યો.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને પોક્સો એક્ટ હેઠળના ગંભીર ગુનામાં સ્પેશિયલ પોક્સો અદાલતે આરોપી રમેશકુમાર નાનુરામ યાદવને પુરાવાના અભાવે અને શંકાનો લાભ આપતાં નિર્દોષ જાહેર કર્યો છે.
આ કેસમાં વ્રજ સિરામિકમાં કામ કરતા ફરિયાદીએ પોતાની 16 વર્ષ 5 માસની સગીર પુત્રીને લગ્નની લાલચ આપીને અપહરણ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તેમજ એટ્રોસિટી એક્ટ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે કુલ 8 સાક્ષીઓની જુબાની નોંધાવી હતી અને 29 દસ્તાવેજી પુરાવા અદાલત સમક્ષ રજૂ કર્યા હતા. ભોગ બનનાર સગીરાએ મુખ્ય જુબાનીમાં બનાવને સમર્થન આપ્યું હતું, પરંતુ બચાવ પક્ષની ઉલટતપાસ દરમિયાન તેની જુબાનીમાં અનેક વિરોધાભાસ અને અસંગતતાઓ સામે આવી હતી.
અદાલતે નોંધ્યું કે સરકાર પક્ષ દ્વારા રજૂ કરાયેલા સાક્ષીઓની જુબાની અને અન્ય પુરાવાઓ આરોપ સામેના આરોપોને શંકાથી પર સાબિત કરવામાં પૂરતા નહોતા. બચાવ પક્ષે પણ વિવિધ કાનૂની મુદ્દાઓ અને ઉચ્ચ અદાલતોના ચુકાદાઓનો આધાર લઈને દલીલો રજૂ કરી હતી.
આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશે આરોપી રમેશકુમાર નાનુરામ યાદવને શંકાનો લાભ આપતાં તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.
આ કેસમાં આરોપી તરફથી એડવોકેટ કલ્પનાબેન એસ. બજાણી, યુવા એડવોકેટ રવિભાઈ કોબિયા તેમજ આસિસ્ટન્ટ નિશા શખનપરાએ બચાવ પક્ષની વકીલાત સંભાળી હતી.